April 26th 2021

શનિવાર… આઠમી ઓગસ્ટ ૨૦૧૫ અહેવાલ -શ્રી નવીનભાઈ બેંકર

હ્યુસ્ટનમાં, રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી , મનોરંજક સાંજ

અહેવાલ- શ્રી. નવીન બેન્કર

શનિવાર… આઠમી ઓગસ્ટની એ ખુશનુમા સાંજ….

એ સાંજ હતી ગઝલ અને કવિતાના અભિસારની…

એ સાંજ હતી હ્યુસ્ટનના સાહિત્યપ્રેમીઓના હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની…

આઠમી ઓગસ્ટ ૨૦૧૫ ને શનિવારની સાંજે, સૂગરલેન્ડ,ટેક્સાસ ના ટી.ઈ. હરમન સેન્ટર ખાતે, ગુજરાતી સાહિત્ય સરિતાના ઉપક્રમે, સુરતના ખ્યાતનામ કવિ, હાસ્યકાર, નાટ્યકાર, ગીતકાર અને ગઝલકાર ડોક્ટર રઈશ મનીઆરનો એક યાદગાર કાર્યક્રમ, લગભગ ૨૫૦ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં ઉજવાઇ ગયો હતો.

થોડી રંગત, થોડી ગમ્મત, કવિતાની સંગત, હાસ્યની હેલી અને ગઝલના ગુલદસ્તાએ મઢેલી વાતો લઈને આવેલા શ્રી. રઈશ મનીઆર ગુજરાતના વર્તમાન સમયની એક વિલક્ષણ પ્રતિભા છે. કુલ અઢાર જેટલા પુસ્તકો અને બાર જેટલા નાટકો લખીને તેમણે પ્રથમ પંક્તિના કવિ, હાસ્યકાર અને નાટ્યકાર તરીકે નામના મેળવી છે. પોતે બાળમનોવિજ્ઞાની છે. પેરેન્ટીંગ વિશેના લેક્ચર્સ અને સેમિનારો પણ કરે છે. ખુદ જાવેદ અખ્તર અને ગુલઝારજી સાથે કાવ્યપાઠ કરવાની તેમને તક મળી છે. કૈફી આઝમી વિશેનું, તેમના લખેલા પુસ્તકનું વિમોચન, આ સદીના મહાનાયક શ્રી. અમિતાભ બચ્ચનને શુભ હસ્તે થયું છે. એમના ‘લવ યુ જિન્દગી’, ‘અંતીમ અપરાધ’, અને અનોખો કરાર જેવા નાટકો માટે સતત ત્રણ વાર શ્રેષ્ઠ નાટ્યલેખક તરીકે પારિતોષિક પણ એનાયત થયેલા છે. રણબીરસિંગ અને દીપિકા પદુકોણ અભિનીત ફિલ્મ ‘રામલીલા’ નું પેલું ખુબ જાણીતું ગીત પણ શ્રી. મનીઆરનું લખેલું છે. આઠેક જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે. ગુજરાતી વર્તમાનપત્રોમાં તેઓશ્રી. કોલમો પણ લખે છે.

સાંજના ટકોરે, કાર્યક્રમની શરૂઆત , ભાવનાબેન દેસાઇના પ્રાર્થનાગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ, ડોક્ટર કોકિલાબેન પરીખે રઈશ મનીઆરનો, તેમની લાક્ષણિક શૈલિમાં પરિચય આપ્યો હતો. અને આવકારના બે શબ્દો કહ્યા હતા.

સોહામણું વ્યક્તિત્વ અને મીઠી જબાન ધરાવતા આ યુવાન કવિ જો એકલી કવિતાઓ અને ગઝલો જ ઠપકારે તો કદાચ શ્રોતાઓ કંટાળી જાય એવા ખ્યાલથી તેમણે ત્રણ કલાકના આ સમગ્ર કાર્યક્રમના જાણે કે બે ભાગ પાડી નાંખ્યા હતા. પ્રથમ ભાગમાં, થોડી રંગત, થોડી ગમ્મત અને હાસ્યની હેલી અંતર્ગત શરૂઆત એકદમ હળવી વાતો અને જોક્સથી કરી હતી. ગુજરાતની શાળાઓમાંથી ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે એ અંગે ખેદ પ્રકટ કર્યો. અંગ્રેજી મીડીયમમાં ભણતા બાળકોની ગુજરાતી માતાઓ કેવું અંગ્રેજી મિશ્રિત ભેળસેળિયું ગુજરાતી બોલે છે એના રમુજી કિસ્સાઓ કહ્યા અને શ્રોતાઓને ખુબ હસાવ્યા. ગુજરાતી ભાષા એની સમૃધ્ધી ખોઇ બેઠી છે એના રમુજી કિસ્સા કહ્યા.આપણી જુની કહેવતોના ગુજરાતી ભાષાંતરની રમુજે શ્રોતાઓને ખુબ હસાવ્યા. પોતાની જાણિતી હાસ્યસભર કવિતાઓ પણ રજૂ કરી. કવિ અને બહેરા શ્રોતાની જોક્સ…સુરેશ દલાલ અને તરલા દલાલની જોક્સ…કબરમાં ફાફડા-ચટણી લઈને પોઢી જવાનું હાસ્યરસિક કાવ્ય…લગ્ન તથા શુભપ્રસંગોએ વાડી ભાડે આપવાની જાહેરાતની મજાક…વિવાહ અને વિવાદ તથા MEAT and EGG ( મીત અને ઇન્દુ ) વાળી જોક્સ…’ પરણીને પસ્તાય તો કે’તો ન’ઇ’ વાળી જાણીતી હઝલ…ને એવી બધી, ઘણી હાસ્યપ્રધાન વાતોએ ,શ્રોતાઓની તાળીઓની ખંડણી તેમણે મેળવી હતી.

કાર્યક્રમના બીજા દૌરમાં, શ્રી. રઈશભાઇએ શેર, શાયરી, કવિતા, ગઝલ, હઝલ, અને નઝમ ની મહેફિલ માંડી હતી.

ઇશ્ક હૈ કતરા કિ દરિયામેં ફના હો જાના

દર્દકા હદસે ગુજરના હૈ કિ દવા હો જાના…….

કવિતા એ નિરાલંબી છે. એને કાગળ, કલમ કે તબલા-પેટી ન જોઇએ…

ગાલિબ, મરીઝ જેવા ગઝલકારોની રચનાઓની અજાણી વાતો સાથે પોતાના કાવ્યો અને ગઝલોની પણ મહેફિલ માંડીને શ્રોતાઓને મુગ્ધ કરી મુકયા હતા.

બે દિવસ પહેલાં, છ્ઠ્ઠી ઓગસ્ટે, ડોક્ટર કોકિલાબેનના નિવાસસ્થાને મળેલી એક અનૌપચારિક ગઝલ વર્કશોપમાં, બે કલાક સુધી , ત્રીસેક જેટલા સર્જકો અને ગઝલનું સ્વરૂપ અને બાંધણી સમજવાની જિજ્ઞાસા ધરાવતા સુજ્ઞ સાહિત્યપ્રેમીઓ સમક્ષ પણ રઈશભાઈએ, પાવર પોઇન્ટ પ્રોજેક્શનની મદદથી, ગઝલના સ્વરૂપ અંગે વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય આપ્યું હતું. ‘ કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ’ જેવી જાણીતી નઝમના બંધારણ અંગેની તેમ જ આપણી ઘણી હિન્દી ફિલ્મોના જાણીતા ગીતો કયા રાગ પર લખાયા છે એની ‘લગાગા…લગાલગા’ જેવી ટેક્નીકલ ભાષામાં સમજ આપીને, શ્રોતાઓને પણ એક ઢાળ પરથી એ ફિલ્મી પંક્તિઓ પર લઈ જઈને ગાતા કર્યા હતા એ અનુભવ અદભુત હતો. ગઝલકાર તરીકે ત્રણ કાવ્યસંગ્રહો ઉપરાંત ગઝલના સ્વરૂપ વિશેની સમજ આપતા પુસ્તકો, ‘ગઝલના રૂપ અને રંગ’, તેમજ ‘ગઝલનું છંદોવિધાન’ લખ્યા છે. આ પુસ્તકો હવે યુનિવર્સિટીમાં રેફરન્સ બુક તથા ટેક્સ્ટ બુક તરીકે વપરાય છે. શાયરશિરોમણી મરીઝ વિશેનું, ‘મરીઝ-અસ્તિત્વ અને વ્યક્તિત્વ’ તેમજ, ચુનંદા ઉર્દુ શાયરોનો, ગુજરાતીમાં આસ્વાદ કરાવતું પુસ્તક, ‘માહોલ મુશાયરાનો’ જેવા પુસ્તકો ગઝલરસિકોમાં ખુબ લોકપ્રિય નીવડ્યા છે.

ત્રણ કલાક ચાલેલો આ કાર્યક્રમ સાંજે સાત વાગ્યે પુરો થયા પછી,ખીચડી, કઢી, મસાલાના થેપલા અને મોહનથાળની મજા માણીને સૌ વિખરાયા ત્યારે જાણે કે પુનમની રાતે ઉછળી ગયેલો સાગર અધવચાળે જ અચાનક એના વિપુલ જલરાશિ સાથે અધ્ધર જ સહેમીને થંભી ગયો ન હોય !

કાર્યક્રમની સફળતા માટે, સંસ્થાના કો-ઓર્ડીનેટરો શ્રી. નિખીલ મહેતા અને ધવલ મહેતા, ખજાનચી શ્રી. નરેન્દ્રભાઈ વેદસાહેબ, માનનીય સલાહકાર કવયિત્રી શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, ડોક્ટર કોકિલાબેન પરીખ. શ્રી. પ્રશાંત મુન્શા, કવયિત્રી શૈલાબેન મુન્શા, નિતીન વ્યાસ, દીપક ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, શ્રી. ફતેહ અલી ચતુર તથા ‘સાસ’ ( સાહિત્ય સરિતા ) ના અન્ય નામી-અનામી સભ્યોએ તનતોડ મહેનત કરી હતી.

શ્રી. રઈશભાઇ મનીઆર હ્યુસ્ટનના એરપોર્ટ પર ઉતર્યા અને હ્યુસ્ટનથી વિદાય થયા ત્યાંસુધી તેમની સાથે ને સાથે રહેનાર અને તેમની આગતાસ્વાગતાથી માંડીને તેમના ટ્રાન્સ્પોર્ટેશન સુધીની જવાબદારી ઉઠાવનાર, રઈશભાઇના અંગત મિત્ર એવા શ્રી. વિશ્વદીપભાઇ અને રેખાબેન બારડને તો કેમ ભુલાય ? થેન્ક યુ, વિશ્વદીપભાઇ !

લખ્યા તારીખ-૧૯ ઓગસ્ટ ૨૦૧૫- રઈશ મનીઆરનો જન્મદિવસ

December 31st 2020

વરસાદી મોસમ!

વરસાદી આ મોસમમાં, ચાલ વરસતા જઈએ,
ભીની એ મોસમ સંગ, ચાલ ને ભીંજાતા જઈએ.!

ટહુક્યો એ મોરલો ને વરસી રે હેલી,
મોરલા ના ટહુકારે, ચાલ ને ટહુકતા જઈએ!

નીતરતું એ નીર,નેવા ની ધારે ધારે,
ટપકંતા એ ટીપે ટીપે,ચાલ ને ટપકતાં જઈએ!

કાનો રમતો ગેડીદડે,ચમકંતી વીજ સંગ,
વીજળી ના ચમકારે,ચાલ ને ચમકતા જઈએ!

ધરતી નભ બન્યા એકાકાર,ગરજંતા એ મેઘ-મલ્હારે,
થઈ એકાકાર બસ તુ ને હું મનભર નીતરતા જઈએ!

વરસાદી આ મોસમમાં, ચાલ ને વરસતા જઈએ!
શૈલા મુન્શા. તા.૧૨/૩૧/૨૦૨૦

November 28th 2020

પ્રકશભાઈ મજુમદાર-૭૫મા જન્મદિન પ્રસંગે

જીંદગી અને એને જોવાની દ્રષ્ટિ બધાની કેટલી નિરાળી હોય છે. માન્યતા ઓ પણ ઉમર સાથે બદલાતી રહેતી હોય છે. બાળપણ કે કુમારાવસ્થામા જ્યારે હું મારી આસપાસ કોઈ વડીલને જોતી કે એમની વાતો સાંભળતી ત્યારે લાગતું કે સીત્તેર કે પંચોતેર વર્ષે ખરે જ એ ફક્ત તન થી જ નહિ પણ મન થી પણ વૃધ્ધ થઈ ગયા છે. એમને કાકા કે દાદા કે કાકી કે દાદી કહી બોલાવતા જરાય અજુગતું નહોતુ લાગતું. કદાચ એમા એમના ખુદના વર્તન નો પણ મોટો ફાળો હોઈ શકે. ખાસ તો ભારતમાં તેઓ ખુદ પોતાને વૃધ્ધ માની ને “બસ હવે તો દેવ દર્શન કરી ભગવાન નુ નામ લઈ જીંદગી પુરી કરવાની” જેવા વિચારો દર્શાવતા. બધાને આ વાત લાગુ પડે એ જરૂરી નથી પણ આ પ્રવાહ વધુ જોવા મળતો.
આ વાત કરવાનુ મન થયું એનુ કારણ આજે આપણે પ્રકાશભાઈની ૭૫મી વર્ષગાંઠ ઉજવવા ભેગા થયા છીએ. પ્રકાશભાઈ મનથી જ નહિ તનથી પણ જુવાન લાગે છે એમાં એમના સંગીત પ્રત્યેના અને ચોક્કસ ભારતીબહેનના પ્રેમનો મોટો ફાળો છે. કોઈપણ વ્યક્તિ સદા જુવાન રહી શકે છે જો એ કોઈ હોબી, કોઈ શોખ ને અપનાવી લે જે એના મનને આનંદિત રાખે. મને ખુબ આનંદ એ વાતનો છે કે પ્રકાશભાઈએ પોતાના મનગમતા શોખ દ્વારા જીવન જીવી ૭૫ વર્ષે પણ સદાબહાર મનથી જુવાન રહી જીવન જીવી રહ્યા છે.
પ્રકાશભાઈ અમારી ગુજરાતી સાહિત્ય સરિતાના વોઈસ ઓફ મુકેશ તરીકે ઓળખાય છે, હમેશ દરેક બેઠકમાં એમના મધુર સ્વરે ગુજરાતી ગીત, ગઝલ સંભળાવતાં હોય છે. હમેશ શાંત અને સ્મિતવદન પ્રકાશભાઈ સદા સહુની મદદ કરવા તત્પર.
નાની હતી ત્યારે કદાચ સીત્તેર પંચોતેર વર્ષની વ્યકતિ મને વૃધ્ધ લાગતી હશે પણ આજે જ્યારે હું એ વયે પહોંચી છું ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ એ તો નજર નજર નો ભેદ છે. માનો તો હમેશ જુવાન નહિ તો કાયમ ઘરડાં.

પ્રકાશભાઈ અને ભારતીબહેનને મારી કાવ્ય પંક્તિઓ અર્પણ આ વરસાદી મોસમમાં

વરસાદી આ મોસમમાં, ચાલ વરસતા જઈએ,
ને ભીની એ મોસમ સંગ, ચાલ ને ભીંજાતા જઈએ.

ધરતી  નભ બન્યા એકાકાર,ગરજંતા એ મેઘ-મલ્હારે,
 સખા થઈ એકાકાર બસ તુ ને હું આ વરસાદી મોસમે,

ચાલ ને મનભર વરસતા જઈએ.

શૈલા મુન્શા
તા.૨૮/૧૧/૨૦૨૦

July 4th 2020

હાઈકુ

૧ – વાગ્યો કાંટો ને,
ઉઝરડાતો જીવ;
ઘા ન રૂઝાય!

2- આક્રોશ ભારી!
ભીતર ધૂંધવાય,
જ્વાળા ના દિસે!

૩ – લીંપણ કરે,
છુપાય ના જખમ,
મૂળ તો ઊંડા!

૪ – ચરમ સીમા,
લાંઘી હેવાનિયત,
પ્રભુને પૂજે!!

શૈલા મુન્શા તા.૦૭/૦૩/૨૦૨૦

June 12th 2020

જૂન બેઠક વક્તાઓની પંક્તિઓ

તારીખ ૨૦ જૂન ૨૦૨૦ શનિવાર સવારે ૧૦.૦૦ વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની ઝુમ બેઠકમાં યોજાયેલ ક થી હ સુધીની કક્કાવરી પર શેર, શાયરી ગીતના બોલ, જેમાં દસ સભ્યોએ ભાગ લીધો હતો. દરેક વક્તાએ કવિના નામ સાથે પોતાને મળેલા અક્ષર ઉપર રજૂઆત કરી હતી.

શૈલા મુન્શા ક
કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે, સંગીતા
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.
સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું અમે. કવિ બરકત વિરાણી “બેફામ”

ખ – ઈન્દુબહેન
ખોબો ભરીને અમે એટલું હસ્યાં શૈલા
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં – કવિ જગદીશ જોશી
ખટમીઠા સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યાં
કે હોડી ખડક થઈ અમને નડ્યાં કવિ જગદીશ જોશી

ગ – ફતેહ અલીભાઈ ચતુર ભારતી
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો,
જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો – કવિ નાઝિર દેખૈયા

ચ – ભાવનાબહેન દેસાઈ
ચાંદનીએ વાદળીથી ગોઠડી કરી. કવિ હરિંદ્ર દવે. સંગીતા

છ – પ્રકાશભાઈ મજુમદાર શૈલા
છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે,
બન્ને દિલોમાં પ્રેમનો ઝણકાર બાકી છે;
સંસારના વહેવારનો વેપાર બાકી છે
બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે
અભિમાનમાં ફુલાઈ ગયા, જોયું ના ફરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને બિમાર કરીને
મારા ભોળા દિલનો કવિ રમેશ ગુપ્તા
ના
ઝ – ભારતીબહેન મજુમદાર ભારતી
ઝટ જાવો ચંદનહાર લાવો,
ઘુંઘટ નહિ ખોલું રે! કવિ ચીમનલાલ ભીખાલાલ જોશી

ટ – શૈલાબહેન મુન્શા સંગીતા
ટચલી આંગળીનો નખ,
હું તો લટમાં પરોવી બેઠી સાજન,
મુ’ને એકવાર કાગળ તો લખ! કવિ વિનોદ જોશી

ઠ – દેવિકાબહેન ધ્રુવ શૈલા
ઠોકરની સાથે તુજ નામ લેવાય છે ઈશ્વર,
તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર!
ને દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં,
લાગે છે તને દૂરના ચશ્મા છે ઈશ્વર!! કવિ સૌમ્ય જોશી

ડ – પ્રશાંતભાઈ મુન્શા ભારતી
ડૂબતા સૂરજથી રૂઠી જાય છે સૂરજમુખી,
રાતરાણી એને આવીને મનાવી જાય છેઃ
ક્યાં રહે બાકી અભિવ્યક્તિની કોઈ શક્યતા,
કક્કા સાથે કાનો-માતર પણ ઉઠાવી જાય છે! કવિ અદમ ટંકારવી

ઢ – જનાર્દનભાઈ શાસ્ત્રી સંગીતા
ઢળેલી આંખ તારા સ્નેહનું પ્રતિબિંબ છે
ખરેખર તો હ્રદયની વાતનું પ્રતિબિંબ છે. કવિ રશ્મિ શાહ

ત – રક્ષાબહેન પટેલ શૈલા
તમારાં આજ અહીં પગલાં થવાના,
ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે;
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે! કવિ ગની દહીંવાળા

થ – દેવિકાબહેન ધ્રુવ ભારતી
થઈ ગયાં છે ગાંધી અહીં ને થઈ ગયાં લોખંડીવીર,
ઈતિહાસને પલટી રહ્યાં, મોદી ખડા ગુજરાત છે.
વાણી મારી ગુજરાતીનને ભૂમિ આ ગુજરાત છે! કવયિત્રિ દેવિકા ધ્રુવ

દ – શૈલાબહેન મુન્શા સંગીતા
દ્રૌપદીની આબરૂ દુઃશાસને લુંટાય છે,
એ પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે!
માછલીની એક આંખે તાકવું જો તીર તો,
સાધવા સંધાન તો શું પાર્થએ રોકાય છે? કવયિત્રિ શૈલા મુન્શા

ધ – ઈન્દુબહેન શાહ શૈલા
ધારો કે એક સાંજ આપણે મળ્યાં;
આપણે હળ્યાં, પણ આખા આ આયખાંનુ શું? કવિ જગદીશ જોશી

ન – ફતેહ અલીભાઈ ચતુર ભારતી
નજર મિલાવી નજરથી દિલને લૂંટી કોણ ગયું?
ખીલી ન ખીલી કળિયો ત્યાં તો ચૂંટી કોણ ગયું? – કવિ અમર પાલનપુરી

પ – ભવનાબહેન દેસાઈ સંગીતા
પીઠી ચોળી લાડકડી કવિ બાલમુકુંદ દવે

ફ – પ્રકાશભાઈ મજુમદાર શૈલા
ફૂલોમાં ડંખો કદી ક્યારેક કાંટાંમાં સુવાસ
લાગણીની આ રમત
આદમથી શેખ આદમ સુધી
એ જ દોરંગી લડત
આદમથી શેખાદમ સુધી કવિ શેખાદમ આબુવાલા

બ – ભારતીબહેન મજુમદાર ભારતી
બસ એક વેળા નજરથી કવયિત્રિ ધીરૂબહેન પટેલ

ભ – રક્ષાબહેન પટેલ સંગીતા
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી
જોવી’તી કોતરોને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. કવિ શ્રી ઉમાશંકર જોશી

મ – પ્રશાંતભાઈ મુન્શા શૈલા
મૈત્રીભાવનુ પવિત્ર ઝરણુ
મુજ હૈયામાં વહ્યાં કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનુ
એવી ભાવના નિત્ય રહે. મુનિ ચિત્રભાનુ

ય – જનાર્દનભાઈ જોશી ભારતી
યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું
કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું – કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન

ર – દેવિકાબહેન ધ્રુવ સંગીતા
રેત ભીની તમે કરો છો પણ,
રણ સમંદર કદી નહિ લાગે;
શબને ફૂલ ધરો છો પણ,
મોત સુંદર કદી નહિ લાગે… કવિ ‘કામિલ’ વટવા

લ – શૈલા મુન્શા શૈલા
લાગણીનું નામ આવ્યું,શ્વાસ સૂનો થઇ ગયો,
શબ્દ જેવો શબ્દ પણ બેબાક મૂંગો થઇ ગયો.
હું કશું સમજું એ પહેલાં સાવ અળગો થઇ ગયો,
ફિલસૂફીમાં હું ગળાડૂબ મિત્ર શાણો થઇ ગયો. કવિ ગુલામ અબ્બાસ.

વ – ઈન્દુબહેન શાહ ભારતી
વગડા વચ્ચે તલાવડી રે તલાવડીની સોડ
ઊગ્યો વન ચંપાનો છોડ વસંત આવ્યો
વરણાગી રે ઝૂલે કેસરિયા ઝૂલ -કવિ બાલમુકુંદ દવે

સ – ફતેહ અલી ચતુર સંગીતા
સપના રૂપે ય આપ ના આવો નજર સુધી
ઊડી ગઈ છે નિંદ હવે તો સહર સુધી – કવિ બેફામ

હ – ભાવના બહેન દેસાઈ શૈલા
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
– કવિ અવિનાશ વ્યાસ

June 12th 2020

કવિ, લેખકોના નામની અંતાક્ષરી

શૈલા બહેન દેવિકાબહેન
અવિનાશ વ્યાસ સુંદરમ
મકરંદ દવે વિનોદ જોશી
શૂન્ય પાલનપુરી રઈશ મણિયાર
રાજેંદ્ર શાહ હરિંદ્ર દવે
વિવેક ટેલર રમેશ પારેખ
ખબરદાર રાજેંદ્ર શુક્લ
લતા હિરાણી નર્મદ
દલપતરામ માધવ રામાનુજ
જોસેફ મેકવાન નિરંજન ભગત
તુશાર શુક્લ લાભશંકર ઠાકર
રામનારાયણ પાઠક કલાપી
પ્રિયકાંત મણિયાર રન્નાદે શાહ
હરનીશ જાની નરસિંહ મહેતા
તુલસીદાસ સૈફ પાલનપુરી
રવિંન્દ્રનાથ ટાગોર રાજેશ વ્યાસ
સ્નેહ રશ્મિ મનોજ ખંડેરિયા
અનિલ ચાવડા દુલા ભાયા
યોસેફ મેકવાન નીતિન વડગામા
મરીઝ ઝવેરચંદ મેઘાણી
નાનાલાલ લલિત ત્રિવેદી
દયારામ મેગી અસનાની
નરેંદ્ર મોદી

March 17th 2020

વળતર!

સાત વરસનો મનુ ત્રણ વાગ્યે શાળાએથી પાછો આવ્યો ને બાપાને ઘરની બહાર નીકળતા જોયા.
રાવજીભાઈનો ધંધો દરજીનો. સ્વભાવના સાલસ અને સહુ કોઈના કપડાં પ્રેમથી સીવી આપે. વારે તહેવારે કોઈની સગવડ ના હોય તો ઉધારીમાં પણ કપડાં સીવી આપે. વાત ૧૯૫૩ ૫૪ના જમાનાની. મુંબઈ જેવા શહેરમાં પણ લોકો એકબીજાનો વિશ્વાસ કરે. હેત પ્રેમ અને સંબંધને લોકો માન આપે. સગવડે એકબીજાની ઉધારી ચુકવાય. રવજીભાઈ પણ મહિનાના અંતે એક દિવસ ઉઘરાણીનો રાખે. દુકાન એ દિવસે બંધ હોય.
ઘરેથી જમી આરામ કરી, નાનકડો મનુ શાળાએથી ઘરે આવ્યો અને રાવજીભાઈ ઉઘરાણીએ નીકળ્યા. નાનકડા મનુના માથે પ્રેમભર્યો હાથ ફેરવતા કહેતા ગયા “મનિયા આજ તો તારા માટે ખાટી મીઠી ગોળીને નાનકડી રમવાની ગાડી લઈ આવીશ, બહુ દિવસથી જીદ કરતો હતોને!” સાથે સાથે સવિતાબહેન “મનિયાની મા ને ” કહેતા ગયા કે રાતે આવતાં મોડું થાશે, ઉઘરાણી માટે ઘણા ઘરાકોને ત્યાં જાવાનુ છે માટે તમે જમીને સુઈ જાજો.
સાત વરસના મનુને માથે પિતાનો એ છેલ્લો પ્રેમભર્યો સ્પર્શ.
રાવજીભાઈ એ દિવસે બપોરે ઘરેથી નિકળ્યા, એ દિવસને આજની ઘડી. ક્યાં ગયા, કોઈને ખબર નથી. બે દિવસ ઘરના લોકોએ બધે શોધખોળ કરી, જાણતા હતા એટલા ઘરાકોના ઘર ફરી વળ્યા, હોસ્પિટલોમાં કોઈ અકસ્માતનો કેસ આવ્યો છે કે નહિ એની તપાસ કરી, છેવટે થાકીને પોલિસમાં ફરિયાદ નોંધાવી. વરસ સુધી પોલિસ ચોકીએ ધક્કા ખાધા, પણ રાવજી ભાઈનો કોઈ પત્તો ના લાગ્યો.
ઘરમાં સવિતાબહેનનુ જીવવું મુશ્કેલ થતું ગયું. સાસુ સસરાં દિયર સહુ સવિતાબહેનને જવાબદાર ઠેરવવા માંડ્યા. “તું જ છપ્પરપગી છે, અમારા દિકરાને ભરખી ગઈ એવું લાંછન રોજનુ થઈ ગયું”
વરસ દહાડો મેણાટોણા સાંભળ્યા બાદ સવિતા બહેને પોતાને પિયર જતા રહેવાનુ નક્કી કર્યું. પિયરમાં એક ભાઈ ભાભી હતાં, એમની સ્થિતિ પણ સામાન્ય જ હતી એ નો સવિતાબહેનને ખ્યાલ હતો.
માતાના દિલે એક કપરો નિર્ણય કર્યો.
એક રાતે આઠ વરસના મનુને પાસે બેસાડી પુછ્યું ” દિકરા તું ઘરનુ વાતાવરણ જુએ છે, રોજના આ કંકાસથી હું થાકી ગઈ છું, ગામડે મામાને ત્યાં જવાનો વિચાર કરૂં છું, ત્યાં તારે મારી સાથે આવવું છે કે અહીં રહી ભણવું છે. દાદા, દાદી કાકાને મારા પર ગુસ્સો છે, તું તો એમનો લાડકો છે. તારા ભવિષ્યનો વિચાર કરી નિર્ણય લેજે.”
આઠ વરસના મનુ પર એ નાનકડી ઉંમરે કપરો નિર્ણય લેવાનો વારો આવ્યો. એક તરફ મા અને બીજી તરફ પોતાનુ ભવિષ્ય.
કાકાએ ખાતરી આપી કે મનુને મારા દિકરાની જેમ રાખીશ અને સવિતાબહેન કકળતે હૈયે ભાઈને ત્યાં જતા રહ્યાં.
ત્રણ ચાર વર્ષ તો મા દિકરાનો સંપર્ક પત્ર વ્યવહારથી જળવાયો, પણ ધીરે ધીરે ભણવાની લગનમાં મનુનો સંપર્ક માથી છુટતો ગયો. ભણવામાં હોશિયાર અને કિશોરાવસ્થા, મુંબઈનુ જીવન, અને કાકા કાકીના પ્રેમમાં ધીરે ધીરે મનુના દિલમાંથી મા ની છબી ક્યારે ઝાંખી થવા માંડી એનો પણ ખ્યાલ ન રહ્યો.
સવિતાબહેન ગામમાં લોકોના ઘરે કપડાં વાસણ કરી ભાઈને જે મદદ થાય એ કરતાં, દિકરાના કાગળની રાહ જોતાં.
યુવાન મનુ કેમિકલ એંજિનીયર થયો, કોઈકે એની કાબેલિયત જોઈ અમેરિકા આગળ ભણવા જવાનુ સૂચન કર્યું, સારા નસીબે અને મનુની હોશિયારીને લીધે અમેરિકામાં કેલિફોર્નિઆની બર્ક્લે યુનિવર્સીટીમાં એડમિશન મળી ગયું.
અમેરિકા જતાં પહેલા મનુ પોતાની માને એકવાર મળવા માંગતો હતો, પણ મા ક્યાં છે, એનુ સરનામુ શું છે, કાંઈ ખબર નહોતી. કાકાને પુછ્યું તો એમને પણ કોઈ ખબર નહોતી. છેવટે મનુને પોતાના ફોઈ યાદ આવ્યાં જે દ્વારકા રહેતા હતા અને મા નુ ગામ પણ ક્યાંક ત્યાં જ હતું એવું મનુને યાદ હતું.
દ્વારકા પહોંચી મનુએ ફોઈને આજીજી કરી, “ફોઈ મહેરબાની કરી મને એકવાર મા નો મેળાપ કરાવો.” લાગણીશીલ ફોઈએ તરત જ પોતાના દિકરાને ગામ મોકલ્યો અને ભાભીને સાથે લઈ આવવાની તાકીદ કરી.
બાર વર્ષે મા દિકરાનુ મિલન થયું. મનુની આંખમાંથી પસ્તાવાના અને મા ની આંખમાંથી સ્નેહના આંસુ સરવા માંડ્યા. ફુઆએ હસતાં હસતાં સવિતા બહેનને કહ્યું “તમારો દિકરો અમેરિકા જાય છે, એને પૈસાની જરૂર છે, તમે કાંઈ મદદ કરશો?”
આટલા વર્ષોથી લોકોના ઘરના કપડાં વાસણ કરી સવિતાબહેને જે પૈસા મળતાં એમાંથી ભાઈ ભાભીને પોતાનો ખર્ચ આપી થોડા થોડા રૂપિયા ક્યારેક દિકરાને મળીશ એ આશમાં ભેગા કર્યાં હતા તે ચારસો રૂપિયા તરત કમખાના ગજવામાંથી કાઢી દિકરાની હથેલીમાં ધરી દિધાં.
મનુને અમેરિકા જવાની મુડી ભેગી કરવામાં સહુ પ્રથમ દાન મા પાસેથી મળ્યું. મા દિકરાને એક જ અફસોસ રહ્યો, રાવજીભાઈના જિવ્યાં મર્યાં ના કોઈ વાવડ આજ સુધી ના મળ્યાં!
અમેરિકા આવી મનુએ માસ્ટર ડીગ્રી મેળવી અને સાથે ભણતી માલતી સાથે લગ્ન કર્યાં. સરસ મજાની નોકરી મળી અને જેવું અમેરિકાનુ નાગરિત્વ મળ્યું, મનુએ માલતીની સમ્મતિથી માને અમેરિકા બોલાવી લીધી.
સત્તર વર્ષ સાથે રહ્યાં પછી ફક્ત દિકરા વહુનો પ્રેમ જ નહિ પણ બબ્બે પૌત્રીઓના પ્રેમનુ વળતર પામી સવિતાબહેન સ્વર્ગે સિધાવ્યા.

શૈલા મુન્શા તા.૦૩/૧૬/૨૦૨૦

May 18th 2019

કોઈ રાહ બની, તો કોઈ રાઝ બની ધબકે છે.
સમજો તો જીવન મહીં સહુ આશ બની ધબકે છે.

કોઈ નિરાધાર, તો બને વળી કોઇ આધાર,
કોણ જાણે કોણ કોની હામ બની ધબકે છે.

ભભૂકતો જ્વાળામુખી ભીતર, ને સપાટી સમતલ,
ઠારવા અગન, કોણ અમીધાર બની ધબકે છે.

વહેરાય કરવતે વૃક્ષ, ને વહોરાય શબદે માનવી!
ચીરીને છાતી ધરાની કોણ કુમાશ બની ધબકે છે.

માનો તો સંગીત નહિતર કોલાહલ આ જીવન,
જમનાને તીર કોણ બંસરીના નાદ બની ધબકે છે.

પામર થી પરમ તત્વને પામવા ઝુઝે માનવી!
ક્યાંક, જીવ મહીં ઈશ વિશ્વાસ બની ધબકે છે.

શૈલા મુન્શા. તા ૦૬/૨૭/૨૦૧૧.

May 2nd 2019

મૃત્યુનો મહોત્સવ

એક સદીનુ જીવન કેવું અલૌકિક!
ને મરણ તો જાણે મહોત્સવ.
ભર્યું ભાદર્યું કુટુંબ સહુ વિશાળ,
વિંટળાઈ વટવૃક્ષને જાણે વડવાઈ!
દાદા, દાદીની આ ફુલવાડી
ફેલાવી રહી સંબંધોની સુવાસ!
દાદા તો અમારા જીવ્યા બનીને,
કર્મઠ ગાંધીધારી ને ખાદીધારી,
મિતભાષી, ને મંદ એ મુસ્કાન.
જયશ્રી કૃષ્ણ નો સહુને આવકાર.
દિકરા, વહુ,પૌત્ર, પૌત્રી પ્રપૌત્ર,પ્રપૌત્રી,
ચાર ચાર પેઢી પર વરસે આશીર્વાદ.
કેવું અનુપમ સૌભાગ્ય કે,
ઘડી અંતિમ ને સહુ આસપાસ.
ઘરના મોભી તો ગયા માણવા,
મહોત્સવ શ્રીજી સંગ, ને!
આપતા ગયા એ જ શીખ,
મરણને માનો મહોત્સવ
તો જીંદગી રોજ ઉત્સવ.

પરમ પૂજ્ય કાંતિદાદાને શ્રધ્ધાંજલિ
જન્મ-ઓક્ટોબર-૬-૨૦૧૮
મરણ-એપ્રીલ-૩૦-૨૦૧૯

(મારી બેન પારૂલ અને બનેવી જસુના પિતાને શ્રધ્ધાંજલિ)

શૈલા મુન્શા તા૦૫/૦૫/૨૦૧૯

April 27th 2019

છલકાય છે !

લાગણીના તાંતણા જ્યાં જોડાય છે,
સંબંધોમાં ત્યાં જ તો સુવાસ ઉમેરાય છે.
હો પાસ કે દુર, કરી ક્યાં પરવા કદી!
યાદોના મણકા, તો માળામાં પરોવાય છે.
જિંદગીની રમત કેવી હશે એ કોણ જાણે?
દુઃખની ઘડીમા, સદા દોસ્તી પરખાય છે!
વિજ્ઞાનની હરણફાળ તો આંબે અવકાશને,
અંધશ્રધ્ધાના હવનકુંડે, માસુમિયત વધેરાય છે! ,
છે ઘણી હિંમત, કરી લઉં સામનો વિષમતાનો,
બસ, જખમ દિલના ક્યાં બધાને કહેવાય છે?
મળે જો રાહબર સાચો, બતાવે રાહ જીવવાનો!
હર પળ બની ખુશીનો, સાગર છલકાય છે.

શૈલા મુન્શા તા ૦૪/૨૭/૨૦૧૯

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.