સ્વાતંત્ર્ય
શકુંતલાબેન ના પતિ એન્જીનિયર હતા.ભારતમા સારી નોકરી હતી પણ બાળકોને વિદેશમા ભણવાની તક મળે એમ વિચારી કેનેડા ના વીસા માટે ફોર્મ ભર્યું હતું ને નસીબ જોગે કેનેડા ના વીસા મળી ગયા.
રૂપેન બારમા ધોરણમા હતો અને એના પપ્પાને પોઈંટ સીસ્ટમ પર કેનેડા આવવાનુ થયું. પપ્પા એંન્જિનીયર અને મમ્મી મુંબઈમા સ્કુલમા શિક્ષીકા એટલે થોડા જ વખતમા બન્નેને સારી નોકરી મળી ગઈ. રૂપેનને પણ સારી કોલેજમા એડમિશન મળી ગયું. પપ્પાને પગલે એને પણ એન્જીનિયર કોલેજમા એડમિશન લીધું. શકુંતલાબેન નો પરિવાર સારી રીતે કેનેડા ગોઠવાઈ ગયો.
રૂપેન ને પણ ભણતર પત્યાં પછી સારી કંપની મા નોકરી મળી ગઈ. રૂપેન એકનો એક દિકરો અને કુટુંબ પણ ખાનદાન, એટલે સારા ઘરની છોકરીઓના માંગા આવવા માંડ્યા.
શકુંતલાબેન-“દિકરા તારી ઉમર પરણવાની થઈ છે પણ અમારા તરફથી કોઈ દબાવ નથી. તને કોઈ છોકરી પસંદ હોય તો મને ખુલ્લા દિલે જણાવ. તારી પસંદગી પર અમને પુરો ભરોસો છે.”
રૂપેન-“મમ્મી મારી ઈચ્છા આપણા દેશમા થી છોકરી પસંદ કરવાની છે.અહીં જન્મી મોટી થયેલી છોકરીઓ ના વિચારો સાથે કદાચ મારા વિચાર મળતા ન આવે, અને હવે ભારતમા પણ છોકરીઓ સારૂં ભણે છે, નોકરી અર્થે દેશ પરદેશ જાય છે માટે મારી પહેલી પસંદ આપણો દેશ છે.”
રૂપેનને સંધ્યા મળી ગઈ, જેવી એને જોઈતી હતી એવી, અને સંસાર સુખે વહેવા માંડ્યો. સરસ મજાના બે બાળકો અમી અને શોધન ઘરમા કિલ્લોલવા માંડ્યા.કેનેડામા રહેવા છતાં સહુ સાથે રહેતા અને સંધ્યાને નોકરીએ જતાં બાળકોની ચિંતા ના રહેતી.શકુંતલાબેને પોતાની નોકરીમા થી રાજીનામુ આપી ઘરે રહેવાનુ પસંદ કર્યું અને બાળકોને સંભાળવાની જવાબદારી સ્વેચ્છાએ પોતાના હાથમા લઈ લીધી.અમી અને શોધન દાદા દાદી ના પ્રેમ સાથે મોટા થવા માંડ્યા.
વર્ષો પસાર થયા ને અમી સોસીઓલોજી સાથે ગ્રેજ્યુએટ થઈ.
એક દિવસ સંધ્યાએ અમી ને પુછ્યું “બેટા હવે આગળ શો વિચાર છે? વધુ અભ્યાસ કરવો છે? તારા મિત્રો માથી તને કોઈ પસંદ છે? લગ્ન કરવા તૈયાર છે?
અમી-” મા, આગળ ભણવાની તો હમણા ઈચ્છા નથી. હું તને વાત કરવાની જ હતી. ગયા વર્ષે આપણે ભારત ગયા અને ત્યાંથી આપણે વડોદરા ગયા, ત્યાં આપણા પાડોશી ડો. દીનાનાથ મહેતાનો છોકરો મહેશ મને ગમી ગયો હતો અને નશીબજોગે ગયા વર્ષે વધુ અભ્યાસ અર્થે એને અહીં ટોરન્ટો ની કોલેજમા જ એડમિશન મળ્યું અને એ અહીં ભણે છે.” સંધ્યાએ એની વાત વચ્ચે જ કાપતાં કહ્યું ” મને એની ખબર છે. આપણા ઘરે જ તો ફોન આવ્યો હતો અને દીનાનાથ ભાઈ અને સુમનભાભી એ એનુ ધ્યાન રાખવાની ભલામણ પણ કરી હતી. આપણે કેલગરી અને એ ટોરન્ટો પણ નાતાલના વેકેશનમા આપણા ઘરે આવ્યો હતો.
બસ મા ત્યારેજ અમારા વચ્ચે વધુ વાતચીત થઈ અને અમે બન્ને એકબીજા સાથે ફેસબુક અને ઈમૈલ થી સતત સંપર્કમા છીએ, એકબીજાને પસંદ કરીએ છીએ અને પરણવા માંગીએ છીએ.
સંધ્યાએ તરતજ ઘરમા રૂપેન, શકુંતલાબેન સસરા રમેશભાઈ સહુને વાત કરી. બન્ને કુટુંબ વચ્ચે વાતચીત થઈ અને ઉનાળાની રજામા વડોદરા મા લગ્ન લેવાયાં.
પરણીને થોડા જ દિવસોમા અમી અને મહેશ પાછા આવ્યા. અમીએ ટોરન્ટોમા નોકરી શોધવા માંડી અને થોડા વખતમા નોકરી મળી પણ ગઈ.
લગ્નને છ મહિના પણ નહોતા થયા અને એક દિવસ બપોરે અમી નો ફોન આવ્યો. ફોન શકુંતલાબેને ઉપાડ્યો. “દાદી હું મહેશ સાથે રહી શકું એમ નથી, મારે છુટાછેડા લેવા છે” શકુંતલાબેન ના હાથમાથી ફોન પડતાં રહી ગયો. સ્તબ્ધ બની બોલી ઊઠ્યા, “અમી બેટા શું થયું વાત તો કર, આમ સાવ છેલ્લે પાટલે બેસવાની વાત કેમ કરે છે? તારા મમ્મી પપ્પા કામે ગયા છે, એક કામ કર તું થોડા દિવસ અહીં આવ અને આપણે શાંતિથી પરીસ્થિતી નો ઉકેલ લાવવા પ્રયત્ન કરીએ.”
અમી-“દાદી ત્યાં આવવાની કોઈ જરૂર નથી, મહેશ માવડિયો છે અહીં રહીને પણ બધું એની મમ્મીને પુછીને જ કરવાનુ. એના સ્વભાવની આ બાજુ મે પહેલા જોઈ જ નહોતી. માબાપને માન આપવું એક વાત છે અને માને પુછી ને જ બધું કરવું એ બીજી વાત છે. આ રીતે હું ના રહી શકું.”
દાદી-“અમી બેટા આ કોઈ મોટી વાત નથી શાંતિ થી મહેશ સાથે વાત કર, તારા વિચાર એને જણાવ. મને ખાત્રી છે કે મહેશ જરૂર સમજશે.
અમી-“દાદી તમને શું લાગે છે? મે મહેશ સાથે વાત નહિ કરી હોય? મહેશ સમજવા તૈયાર જ નથી તો હું શા માટે નમતું આપું? ભણેલી છું સારી નોકરી છે, હું મારા પગ પર ઉભી રહી શકું એમ છું.મારું અસ્તિત્વ મારી સ્વતંત્રતા મારે ગુમાવવી નથી.
શકુંતલાબેન સ્તબ્ધ બની અમીની વાત સાંભળી રહ્યાં.શું પોતાના ઉછેર મા કોઈ ખામી રહી કે યુવા પેઢીની સહનશક્તિ ને મર્યાદા આવી ગઈ? નારી સ્વાતંત્ર્ય ક્યાં જઈ પહોંચશે?????
શૈલા મુન્શા તા ૦૭/૩૦/૨૦૧૩