ડો. ઉષાબહેન ઉપાધ્યાય
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તથા આપણાં સહુના આદરણીય ડો. ઉષાબહેન ઉપાધ્યાય નિવૃતિ લઈ રહ્યા છે ત્યારે એમના પ્રત્યેની લાગણી, એમની સાથે ગાળેલ મધુર સમયને શબ્દોમાં વ્યક્ત કરવાનો મને મોકો મળ્યો એને હું મારું સદ્ભાગ્ય ગણુ છું.
ગયા વર્ષની વાત છે. ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની ૨૦૧૯માં હું ઉપપ્રમુખ હતી.
ડો.ઉષાબહેન ઉપાધ્યાયનુ નામ સાંભળ્યું હતું, એમની જૂઈ મેળાની પ્રવૃતિ વિશે થોડીઘણી માહિતી હતી. ૨૦૧૯માં ઉષાબહેન
નોર્થ અમેરિકાની લીટરરી એકેડેમીના માનવંતા મહેમાન બની આવ્યા હતાં. અમે એમને ગુજરાતી સાહિત્ય સરિતા હ્ય્સ્ટન તરફથી મુખ્ય અતિથિ રુપે અત્રે પધારવાનુ આમંત્રણ આપ્યું, જે એમને સહર્ષ સ્વીકારી એમના સ્વભાવની નમ્રતાનો પરિચય આપી દીધો. તેઓ અઠવાડિયું વહેલા આવ્યા અને અમને એમના સહવાસનો લાભ મળ્યો.
એક દિવસ અમારા સલાહકાર દેવિકાબહેનને ત્યાં રહી, હ્યુસ્ટનનુ જાણીતા BAPS મંદિરની મુલાકાતે અમે સહુ ગયાં.
ત્યાંથી હું એમને મારા ઘરે લઈ આવી, અને ત્રણ દિવસ એમની સાથે રહેવાનો મોકો મળ્યો. આટલા મોટા પદ પર ગુજરાતી ભાષાના સંવર્ધનનુ કાર્ય કરનાર, ભારતમાં ખાસ સ્ત્રીલેખિકાને મંચ મળે, એમની પ્રતિભા ખીલે એ માટે જૂઈ મેળાની સ્થાપના કરી એની સુગંધ ચારેકોર ફેલાવનાર બહુમુખી પ્રતિભાની સાદગી અને સરળ સ્વભાવે મારો સંકોચ દુર કરી એક સખીપણાનો અહેસાસ કરાવી દીધો. હ્યુસ્ટન સાહિત્ય સરિતાના સભ્યોને વિશેષ લાભ મળે એ માટે મારા ઘરે ખાસ સર્જકો સાથે એક સાંજમાં ડો. ઉષાબહેનને અંગત રીતે સાંભળવાનો અને મળવાનો સહુ સર્જકોને લાભ મળ્યો. બીજા દિવસે અમારા પ્રમુખ શ્રી અલીભાઈ સાથે અમે આખો દિવસ નાસામાં ગાળ્યો. નાસાના ચીફ સાયંટીસ્ટ અને અમારી સાહિત્ય સરિતાના સભ્ય શ્રી કમલેશભાઈ લુલ્લા ખાસ ઉષાબહેનને મળવા આવ્યા અને નાસામાં એમના યોગદાનની માહિતી આપી.
બહોળા શ્રોતાગણની હાજરીમાં ડો.ઉષાબહેને ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યો અને અનેક મહેમાનોને પોતાની જૂઈ જેમ મઘમઘતી વાણીના અસ્ખલિત પ્રવાહથી રસ તરબોળ કરી દીધા.
જૂઈમેળાની પૂર્વભૂમિકા, નામકરણ અને પ્રસારની રસપ્રદ માહિતી આપી. પુરોગામી સ્ત્રી લેખિકાઓના ઊંડા સંશોધન પછી તૈયાર કરેલા પુસ્તકો ‘શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ’, ‘રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા’અને તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ ‘અમેરિકા નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા’ની સવિશેષ માહિતી આપી. સાથે સાથે તેમણે પુરોગામી કવિઓની ઉત્તમ પંક્તિઓ ટાંકી કવિતા એટલે શું?, કાવ્યત્ત્વ કેવું અને ક્યાં ઝબકતું હોય છે તે તથા કાવ્યસર્જનની પ્રક્રિયા વગેરે સ્વાનુભવો સાથે સુપેરે સમજણ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.
સાહિત્ય સરિતાની કમિટીએ સાથે મળી ઉષાબહેનને સન્માન પત્ર, સંસ્થાના ઈતિહાસની ઝાંખી કરાવતું પુસ્તક અને ખાસ તો ડો. કમલેશ લુલ્લાના સૌજન્યથી, હ્યુસ્ટનની Fortbend County Judge Proclamation Award અર્પણ કર્યો.
બીજું મારું પરમ સૌભાગ્ય કે આ વર્ષે યોજાયેલ આંતર રાષ્ટ્રિય જૂઈ મેળામાં એક કવયિત્રિ તરીકે મારી ત્રણ રચના રજૂ કરવાનુ મને સૌભાગ્ય મળ્યું.
કોરોનાની મહામારીને કારણે જૂઈ મેળાનુ આયોજન ના થઈ શક્યું, પણ ઉષાબહેન એમ હિંમત હારે એમ નહોતા. ૨૮ જુન ૨૦૨૦ ના દિવસે ભવ્ય આંતરરાષ્ટ્રિય જૂઈમેળાનુ આયોજન કર્યું જેમાં ૬૫ જેટલી દેશ વિદેશથી કવયિત્રિઓ જોડાઈ. આટલા ભવ્ય આયોજન પાછળની અથાક મહેનત, સાત કલાક ચાલેલા આ ફેસબુક લાઈવ કાર્યક્રમનુ સંચાલન, આગોતરા વ્યવસ્થિત વોટ્સેપ ગ્રુપથી સહુનુ માઈક ટેસ્ટીંગ, કલાક કલાકના જુદા સૂત્રધાર. અમેરિકાથી કે લંડન વગેરેથી જોડાનાર કવયિત્રિના સમયનુ ધ્યાન ઓહોહો….
સમયસર કાર્યક્રમ શરૂ થયો અને સમયસર પત્યો.
મારું અહોભાગ્ય કે મારો પરિચય સ્વયં ડો. ઉષાબહેને આપ્યો. દિવ્ય્ભાસ્કર, મુંબઈ સમાચાર વગેરે છાપાંમાં આ કાર્યક્રમનો વિસ્તાર પૂર્વક અહેવાલ આવ્યો હતો. એમાં દેશ વિદેશમાંથી રજૂ થયેલી કેટલીક રચનાઓમાં ત્રણેક કવયિત્રિની પંક્તિઓ નામ સાથે છપાઈ હતી, એમાં એક નામ મારું હતું.
ઉષાબહેન એમની લેખન પ્રવૃતિ, જૂઈમેળાનો વિકાસ, વિવિધ સંસ્થામાં ભાષાના વિકાસને લઈ આગવું પ્રદાન આપે એજ અભ્યર્થના…
આપણે સહુ અને અંગત રીતે હું અભિન્ન લાગણીથી એમની સાથે જોડાયેલી છુ. એમની સાથે રહેવાનો જે લાભ મળ્યો છે એ મારા જીવનનો અવિસ્મરણિય સમય છે. મારા જીવનમાં એમણે કરેલ અમૂલ્ય યોગદાનને હું મારી અંગત મૂડી ગણુ છું
આદર અને ભાવ સાથે પ્રભુને એટલી જ પ્રાર્થના કે ઉષાબહેનનુ સ્વાસ્થ્ય હમેશા નિરોગી રહે અને હમેશ સહુના માર્ગદર્શક બની રહે.
અસ્તુ,
શૈલા પ્રશાંત મુન્શા તા ઓક્ટોબર ૦૬.૨૦૨૦