September 17th 2021

સંભારણું -૩

“સદા માટે ચાલી બચપણ ગયું તો પણ કદી,
રહું છું માણી હું શિશુ સહજ ભાવો અવનવા” સુરેશ દલાલ
માનવીની ઉંમર ગમે તે હોય એક બાળક એના દિલના એક ખૂણામાં હમેશા અડિંગો જમાવીને રહેતું હોય છે અને અચાનક ક્યારેક સ્પ્રીંગની જેમ ઊછળીને બહાર આવી જતું હોય છે. સુરેશભાઈની આ પંક્તિઓ સહુના બાળપણને સંવારી સ્મરણોના ખજાના ખોલી દે છે, એ સપના જે પૂરા થયા કે ના થયા, હૈયામાં જાગતાં સ્પંદનોને વાચા મળી કે નહિ, એ ઝુરાપો એ મુસ્કાન એ દર્દ અતૃપ્ત ઈચ્છાઓ, કેટલું સંઘરાયેલું હોય છે દિલના એ ખૂણામાં જેને કોઈ જાણી નથી શકતું. દરિયો અને દરિયાના ઊછળતાં મોજા મારા મનને આનંદવિભોર કરી દે છે. મુંબઈ મરીનલાઈન્સની પાળે ભરતી ટાણે પાળની મર્યાદા તોડી ઊછળી આવતાં મોજાં મેં ઘણીવાર ઝીલ્યાં છે અને એક બાળપણ ફરી ફરી અનુભવ્યું છે. વરસાદમાં નહાવા કોલેજ બન્ક કરી વિલેપાર્લે એરપોર્ટના પરિસર સુધી અમે સહુ મિત્રો પહોંચી જતાં એ અનુભૂતિ ક્યાંથી ભૂલાય!! આજે પણ જીવન સંધ્યાએ પહોંચવા છતાં હ્યુસ્ટનના ધોધમાર વરસતાં વરસાદમાં ઘણીવાર મનભર ભીંજાવાનો આનંદ ફરી મારામાં રહેલી બાળકીને તૃપ્ત કરી દે છે. આજે આ વાતો યાદ આવી જવાનુ કારણ અમારે ત્યાં આવેલ એક મિત્ર દંપતિની વાતો અને એમનો નિખાલસ સ્વભાવ. ઉંમરના આ પડાવ પર જ્યારે બાળકો પોતપોતાના સંસારમાં રમમાણ હોય અને માતા પિતા પોતાની દુનિયામાં, ત્યારે મિત્રો એકબીજાના સહારારુપ હોય છે. જ્યારે પણ મળીએ હસી મજાક, વાતોના તડાકા અને બાળપણના સંસ્મરણો જાગૃત થઈ જાય. સૌરભભાઈને મીનાબહેન મળવા આવ્યાં હતાં, નાસ્તામાં મેં ઈડલી સંભાર બનાવ્યા હતાં. Dining table પર બેઠા બેઠા ગામગપાટાં ચાલી રહ્યાં હતાં. અમારા ઘરમાં નાસ્તાની દુકાન ખોલી શકાય એટલા નાસ્તા હમેશ જોવા મળે અને પતિદેવ એક પછી એક નાસ્તા લાવી મહેમાનને આગ્રહ કરી રહ્યાં હતાં “અરે! આ તો ચાખો પૂનાની ફેમસ ભાખરવડી છે” મિત્રપત્ની બોલી ઊઠ્યા મારા પતિને પણ આટલો જ નાસ્તા ખરીદવાનો શોખ છે, જ્યાં જાય ત્યાંથી કાંઈક નાસ્તો, મિઠાઈનુ બોક્ષ ઉપાડતાં જ આવે અને નાસ્તા જૂના થાય એટલે આપણે ગાર્બેજમાં પધરાવવા પડે. સૌરભભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળી અમે સહુ હસી હસીને બેવડ વળી ગયા. એમના જ શબ્દોમાં “હું બ્રાહ્મણનો દિકરો અને પિતા ગોર, જે દક્ષિણા મળે એમાં ઘર ચલાવવાનુ. પિતા શિસ્તના આગ્રહી, ખોટી કમાણી ના કરે. બાળપણમાં જ્યારે પિતા સાથે બજારમાં જાઉં અને કંદોઈની દુકાને ગરમ ગરમ ભજિયાં તળાતાં હોય, મિઠાઈની દુકાનમાં રંગબેરંગી મિઠાઈ સજાવીને કાચના કબાટમાં મૂકી હોય પણ પિતા પાસે એટલા પૈસા નહિ એ બધું ખરીદવાના અને સાત્વિક ભોજનના આગ્રહી એટલે અમને એ બધું ખાવા ના દે. હવે મોટા થયાં પછી બાળપણની એ અતૃપ્ત ઈચ્છા જ્યારે પણ કોઈ નાસ્તો લેવા કે સ્વામિનારાયણ મંદિરના સાયોનામાં જાઉં તો એક મોનસ્ટર (રાક્ષસ) બની મારા પર હાવી થઈ જાય. અંદરનુ અતૃપ્ત બાળક જાગૃત થઈ જાય, આ લઉં કે પેલું કરતાં કરતાં ઘણુબધું લેવાઈ જાય. અહીંયા તો ઠીક પણ જ્યારે ભારતની મુલાકાતે જાઉં અને મારે વતન એજ કંદોઈની દુકાન અને મિઠાઈની દુકાને જાઉં તો એક પછી એક મિઠાઈ ચાખતાં ચાખતાં દુકાનદારને કહેતો જાઉં ભાઈ અર્ધો કિલો આપી દો અને મારા હાથમાં દસ ડબ્બા મિઠાઈના જોતજોતામાં થઈ જાય. ઘરે આવીને મીનાની વઢ તો સાંભળવાની જ, આટલી મિઠાઈ કોણ ખાવાનુ છે? આપણને બન્નેને ડાયાબિટિશ છે; પણ શું થાય અંદરનુ બાળક જે પરમ આનંદ પામ્યું એની મીનાને શું ખબર પડે!!” જે રીતે એમને વર્ણન કર્યું અને મનમાં એક રાક્ષસ જાગૃત થાય એ વાત કરી અને સાથે સાથે એટલો નિર્દોષ ચહેરો રાખી હસી પડ્યાં કે અમે બધાં પણ હસી હસીને બેવડ વળી ગયાં. આવી કોઈને કોઈ અતૃપ્ત ઈચ્છા પૂરી કરવાની, બાળપણ ફરી જીવવાની હોંશ તો સહુના મનમાં જાગતી હશેને!!!!
આ સાથે જ ફિલ્મ અનમોલ ઘડીનુ ગીત યાદ આવી ગયું,
“ओ बचपनके दिन भुला न देना,
आज हसें कल रुला न देना”
બાળપણ અને આવી ખાટીમીઠી વાતોથી જ તો ડાયરીના પાના ભરાતા જાય છે, અને કાયમના સંભારણા બની જાય છે.

અસ્તુ,
શૈલા મુન્શા તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧
www.smunshaw.wordpress.com

September 17th 2021

ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક– ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ

ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક– ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ August 28, 2021
Posted by devikadhruva
૨૦૧૫ જુલાઈથી ૨૦૨૧ ઑગષ્ટઃ નીચેની લીંક ક્લીક કરી વાંચશો.

GSS 2015 to 2021

September 5th 2021

ज्ञानज्योत

जो ज्ञानज्योत हमने जलाई,
जीवनमें उतारा आपने, और;
हुआ मन त्रुप्त देख यह भक्ति,
किया नाम उज्ज्वल आपने गुरुजनका!

ज्ञानका बीज जो हमने सींचा था,
देखो आज लहलहाता पैड बन;
शीतलता जगमैं फैला रहा!!

निभाई गुरु- शिष्य प्रथा दिलसे,
किया पूजन आदरणिय गुरुका;
मनाके त्योहार गुरु-पूर्णिमाका!

ईस युगमैं कर दिया उन्नत सर,
गुरुको देकर ईतना मान सन्मान!

आशिष यही हम सब गुरुजनकी,
जीवनके हर क्षेत्रमें हो उन्नति सदा;
करो नाम रोशन जगमें जन्मदाताका,
यही प्रार्थना और दुआ निकलती रहे;
हमेशा हर शिष्यके लिए सदा सदा!!

शैला मुन्शा दिनांक ५ सितम्बर २०२१

September 4th 2021

સંભારણુ -૨

એસ.એસ.સીનુ પરિણામ આવ્યું અને શાળાજીવનના દિવસો પુરાં થયા. વાત છે ૧૯૬૭ની, ત્યારે અગિયારમું ધોરણ પાસ કરી કોલેજમાં જવાતું. મેં આર્ટસ કોલેજમાં જવાનુ નક્કી કર્યું કારણ નાનપણથી મને સાહિત્યમાં વધારે રસ હતો, અને એ કારણે શાળાની મારી ખાસ બહેનપણીઓથી છૂટી પડી ગઈ. એ બધાએ વિજ્ઞાન શાખામાં જવાનો નિર્ણય કર્યો હતો. કોલેજમાં નવા મિત્રોનો સાથ મળ્યો. રોજ મલાડથી પાર્લાની ટ્રૈનમાં મુસાફરી. વાંચનનો શોખ તો સાતમા ધોરણથી જ કેળવાયો હતો અને નિબંધ, વકૃત્વ સ્પર્ધામાં ઘણા ઈનામો પણ મેળવ્યા હતાં; પણ ટ્રૈનની આ સફરે રોજ કાંઈક નોંધપોથીમાં ટપકાવવાની આદત પડી. થોડા વખતમાં જ જીવન એવા આઘાતમાં અટવાયું અને જાણે જીવવાની દિશા બદલાઈ ગઈ. પણ મનના તળિયે છુપાયેલી લખવાની ઈચ્છા ક્યારેક જાગી ઊઠતી. વર્ષો બાદ અમેરિકા આવી થોડી મોકળાશ મળી અને મન લખવા તરફ વળ્યું અને સાહિત્યના અવનવા પ્રકારો પર હાથ અજમાવાતો ગયો. અવનવા અનુભવો કાગળ પર ચિતરાતાં ગયાં. આજે કાંઇ નવું લખવા મારો બ્લોગ ખોલ્યો અને અચાનક તાજેતરના અનુભવનુ પાનુ મારી નજરે પડ્યું. હ્યુસ્ટનમાં આ વરસે શિયાળો અતિ આકરો હતો. વર્ષો પછી અહીં હિમવર્ષા થઈ અને લોકો બેહાલ થઈ ગયા. લાઈટ નહિ, પાણી નહિ; એવી અવસ્થામાં ત્રણથી ચાર દિવસ જનજીવન જાણે સ્થગિત થઈ ગયું. પાવર વગર બધા ઈલેક્ટ્રોનિક ઉપકરણૉ કામ કરતાં અટકી ગયાં. લોકો ફોનની બેટરી ચાર્જ કરવા પોતાની ગાડીમાં બેસી, ગાડી ચાલુ કરી ફોન ચાર્જ કરતાં. બહાર કાતિલ ઠંડી, ગરાજ ખોલાય નહિ અને કાર્બન મોનોક્સાઈડના કારણે થતાં મોતના સમાચાર પણ સાંભળવા મળ્યા હતાં. આ વિચારોમાં મન અટવાયેલું હતું, અને જોગાનુજોગ ઘણા વખતે મારી બહેનપણી અનુરાધાનો ફોન આવ્યો. વાત વાતમાં ચમત્કારોની વાત નીકળી અને મેં અમારા મિત્ર નવીનભાઈની છેલ્લી ઈમૈલ વિશે એને વાત કરી કે એમણે છેલ્લી ઈમૈલ છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૦ ના દિવસે મિત્રોને લખી પણ સંબોધનમાં ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ લખ્યું હતું જે ખરેખર એમના અવસાનનો દિવસ હતો. શું વિધાતાએ એમની પાસે આ લખાવ્યું, કોઈ ચમત્કાર થયો, કોઈ આગાહી થઈ??? અને ત્યારે એ ભૂલ કોઈના ધ્યાનમાં પણ આવી નહિ!!! આ બનાવ સાંભળતાં અનુરાધાને એના કુટુંબમાં થયેલા આવા જ એક ચમત્કારિક બનાવની યાદ આવી ગઈ. ક્યાંના તાંતણા ક્યાં જોડાઈ જાય છે!!
અનુરાધાના પપ્પા મોટી કંપનીમાં ટૅકનીકલ વિભાગમાં કામ કરતાં. ઊચ્ચ હોદ્દા પર એટલે વરસમાં છ અઠવાડિઆનુ વેકેશન મળે. મોટાભાગે દિવાળીના સમયે એ વેકેશન લે એટલે બાળકો સાથે ભારતનાં જુદાજુદા સ્થળે ફરવા જઈ શકાય. ક્યારેક પાસેના કોઈ હીલસ્ટેશન પર બંગલો ભાડે રાખી આરામથી સમય વિતાવે. એવું જ એક વેકેશન ૧૯૬૫માં એમણે લીધું જ્યારે અનુરાધા લગભગ ચૌદ વરસની અને એની મોટીબહેન સોળ વરસની, એ વરસે સહુ મુંબઈથી પાસે જ પંચગીની મહિનો રહેવા ગયાં હતા. બંગલો ભાડે રાખ્યો હતો એટલે અનુરાધાના નાના મામા જે વીસેક વર્ષના હતાં એ પણ સાથે આવ્યાં હતાં અને ઘરના કામકાજ માટે એમના ઘરનો ઘરઘાટી પાંડુ પણ સાથે આવ્યો હતો. બધા બાળકોને તો પંચગીનીમાં થતાં ફિલ્મના શૂટિંગ જોવા જવાની મઝા આવતી. ટેબલ લેન્ડ પર ફરવું અને ગુલાબી ઠંડીમાં ગરમ ગરમ ફજને ચીકી ખાવા અને ધમાલ મસ્તી કરવી. મામા પણ એમનાથી બહુ મોટા નહિ એટલે સહુને મજા પડતી. મામા પાછા સુકલકડાં એટલે વીસને બદલે માંડ પંદર સોળના લાગે.
એ જમાનામાં નહાવાનુ પાણી ગરમ કરવાં ઈલેક્ટ્રીક ગીઝર જેવું તો કાંઈ નહોતું. બંગલાની પાછળ એક કુવો અને નહાવાની ઓરડીમાં લ્હાય બંબો મુકેલો હોય એમાં પાણી ભરી અને નીચે કોલસાં મુકી પાણી ગરમ કરવાનુ. એક જણ નાહીને નીકળે એટલે પાછું પાણી ઉમેરવાનુ, એમ રોજ નહાવાનો કાર્યક્રમ ચાલે. પાંડુ ઘરનુ કામ કરતાં એ પણ ધ્યાન રાખે કે એક જણ નાહીને નીકળે એટલે કુવામાંથી પાણી સીંચી એક ડોલ બંબામાં ઉમેરી આવે. એક દિવસ અનુરાધાના મોટાબહેન ન્હાવા ગયાં, ઘણો સમય થયો પણ એ બહાર આવ્યાં નહિ, ઘરના બધાં સભ્યો તો પોતાની પ્રવૃતિમાં મશગુલ હતાં પણ પાંડુનુ ધ્યાન તો ન્હાવાની ઓરડી તરફ હતું. ખાસ્સીવાર થઈ પણ આશાબહેન બહાર આવ્યાં નહિ એટલે એ મમ્મી પપ્પાને બોલાવી લાવ્યો. દરવાજો કેટલીય વાર ઠોક્યો પણ આશાબહેને ખોલ્યો નહિ. ફિજિક્સમાં M.Sc. થયેલા પપ્પાને તરત પરિસ્થિતીની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો, પણ ન્હાવાની ઓરડીને ફક્ત ઊંચે એક કાચની બારી અને એ પણ બંધ. શું કરવું એ મુંઝવણમાં પહેલાં તો સમજ જ ના પડી, પણ તરત મામાને બોલાવ્યા, અને કદાવર પાંડુના ખભે એમને ચડાવી પત્થરથી કાચ ફોડાવ્યો. અંદર બારીનાં સળિયાં એને કેમ તોડવાં; છેવટે ઘરમાંથી હથોડી મળી એનાથી ઠોકી ઠોકીને એકાદ બે સળિઆં વાળીને ઢીલાં કર્યાં અને સળિયાં ખેંચી કાઢ્યાં. મામા જેમતેમ બારી વાટે ભૂસકો મારી અંદર ઊતર્યાં. આશાબહેન તો બેભાન જમીન પર પડ્યાં હતાં મામાએ ઓરડીનુ બારણું ખોલ્યું અને ચાદરમાં વીંટી આશાબહેનને સૂવાના ઓરડામાં લઈ ગયાં. આશાબહેનનું શરીર અક્કડ થઈ ગયું હતું. અજાણ્યા ગામમાં કોઈ ડોક્ટરની ઓળખાણ નહિ. ડિરેક્ટરીમાં જોઈ એક ડોક્ટરને ફોન તો કર્યોં પણ ત્યાં સુધીમાં મમ્મીએ પગના તળિયે ગરમ તેલનુ માલિશ કરવા માંડ્યું, પપ્પાએ હથેળી મસળી ગરમાવો આપવાનો પ્રયત્ન કર્યો છાતી પર પ્રેશર આપી મસાજ કરી શ્વસોચ્છશ્વાસ નિયમિત કરવા મહેનત કરી. છેવટે દસ મીનિટે આશાબહેને આંખો ખોલી અને પગ હલાવ્યાં, સહુના જીવમાં જીવ આવ્યો.
એ વાત કરતાં આજે પણ અનુરાધાના કંઠે ડુમો બાઝી જાય છે. સાચે જ પાંડુની સુઝબુઝે આશાબહેનનો જીવ બચાવ્યો. બંધ ઓરડીમાં લ્હાયબંબામાં બળતાં કોલસાને લીધે ધીમે ધીમે કાર્બન મોનોક્સાઈડ જમા થવા માંડ્યો હતો અને ધીરે ધીરે આશાબહેનનો શ્વાસ રુંધાવા માંડ્યો હતો. આ ગેસની ઘાતક વસ્તુ એ છે કે એનો કોઈ રંગ નથી, સુગંધ નથી કોઈ સ્વાદ નથી એટલે વધુ પ્રાણઘાતક બને છે. આ વાત અનુરાધાએ મને કરી ત્યારે અનાયાસે મારા બ્લોગ પર એજ પાનુ નજર સામે આવ્યું હતું જ્યારે હ્યુસ્ટનમાં પણ ગાડીમાં બેસી ફોન ચાર્જ કરતાં આ કાર્બન મોનોક્સાઈડને લીધે જ કેટલાય લોકો અવસાન પામ્યા હતાં.
સાચે જ ક્યાંના તાર ક્યાં જોડાઈ જાય છે!
આશાબહેન નસીબદાર કે બચી ગયા. એ આજે એમના કુટુંબ સાથે છે એ પણ એક ચમત્કારથી ઓછું નથી.
ડાયરીના પાના આવીજ યાદોથી તો ભરાતા જાય છે!! અને નવા સંભારણા યાદોમાં ઉમેરાતા જાય છે.

અસ્તુ,

શૈલા મુન્શા તા. સપ્ટેમ્બર ૪/૨૦૨૧

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.