મારી દષ્ટિએ મા એ મમતાની મૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગ્રુહે જાય છે. એના વાત્સલ્યનુ સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનુ દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફની એની દયા, મારા અનુભવે, ખુબ જ વિશેષ હોય છે.
દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.
મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનુ સ્વરૂપ છે. પુત્ર એ બાપનો હાથ છે, પરંતુ દિકરી એ બાપનું હૈયું છે, અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદાભાઈએ “કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો” આવી અનુભૂત વાત ગાઈ છે.
દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડા વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો……મારો દીકરો આવ્યો…..
એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો(નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.
ઘરથી દૂર હોવાનુ મારે ખુબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે,કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારૂં મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો. મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારેં બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનુ હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે હું જાઉં છું.
એક વખત શોભનાએ મને પૂછેલું ત્યારે મને આંસુ આવી ગયાં પ્રશ્ન ખુબ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછ્યું, “આ બધી કથાઓ મોટાભાઈ તમારે જ કરવાની છે?” શોભના મને મોટાભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારૂં અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.
રામચરિત માનસમાં લખ્યું છે -”પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ” યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને. એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિદ્વાર, પ્રયાગ, અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિદ્વારછે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.
હા દેશ, કાળ અને વ્યક્તિને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંતઃકરણની પ્રવૃતિ આવું કહે છે ;
‘દીકરી (દુહિતા) દેવો ભવ.”
હાલમાં શ્રી મોરારી બાપુની કથાનો લાભ ન્યુ જર્સી ના લોકો ને મળી રહ્યો છે ત્યારે એમનો આ લેખ રજુ કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવી રહી છું.
અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે!
બોસ આ ગુજરાત છે!
અહીં નર્મદાના નીર છે
માખણ અને પનીર છે
ને ઉજળું તકદીર છે!
યસ, આ ગુજરાત છે!
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે!
અલ્યા, આ ગુજરાત છે!
અહીં ભોજનમા ખીર છે
સંસ્કારમા ખમીર છે
ને પ્રજા શુરવીર છે!
કેવું આ ગુજરાત છે!
અહીં વિકાસની વાત છે
સાધુઓ ની જમાત છે
ને સઘળી નાત-જાત છે!
યાર, આ ગુજરાત છે!
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
શૌર્યનો સહવાસ છે
ને ગાંધી તણો વારસો છે!
દોસ્ત, આ ગુજરાત છે!
મિત્ર દ્વારા ઇ-મૈલમા મળેલ ગુજરાત ની ગાથા.
માળા એટલે શું? તેમા ૧૦૮ મણકા કેમ રખાય છે?
સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એકવાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો.આવી પરિસ્થિતીથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ૠષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમા એકવાર પ્રભુસ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા. જે આગળ વધતાં પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ કરવા કહેતા. પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામા આવે છે.
બહુજ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનુ સાધન એટલે માળા. આ માળા ૧૦૮ મણકાની બનાવવામા આવી તે પાછળનુ રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે ૧ મિનીટમા ૧૫ વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય ૨૪ કલાકમાં ૨૧,૬૦૦ વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે.રાત્રિના ૧૨ કલાક જો બાદ કરી લઈએ તો દિવસના ૧૨ કલાકમાં મનુષ્ય ૧૦,૮૦૦ વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે, પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનુ ૧૦૦ ગણું ફળ મળે છે . ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો ૧૦૮ વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનુ ૧૦૦ ગણું ફળ મળે. તે ગણતરીએ (૧૦૮x ૧૦૦=૧૦૮૦૦) માળામા ૧૦૮ મણકા પરોવવામાં આવ્યા હતાં. ૧૦૮ મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનુ પહેલું પગથિયું ગણાય છે.
૧૦૮ મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ ૨૭ વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમા રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી ૨૭ નક્ષત્રોના મળીને કુલ ૧૦૮ ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા ૧૦૮ રખાઈ છે તેમ આપણા પૂર્વજોનુ માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે ૧૦૮ મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.
માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામા આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામા પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્ય પોતાના મનની શાંતિ માટે અને પરમાત્માના ઉપકારોનુ ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.
માહિતી પ્રાપ્ત ઈ -મૈલ દ્વારા. મોકલનાર(પારૂલ ગાંધી)
માવજીભાઈ એ જમા કરેલો કહેવતો અને રૂઢિપ્રયોગો નો ભંડાર બારાખડી પ્રમાણે સૌના લાભાર્થે અત્રે રજુ કરું છું
અક્કરમીનો પડિયો કાણો
અક્કલ ઉધાર ન મળે
અણીનો ચૂક્યો સો વરસ જીવે
અતિ લોભ તે પાપનુ મૂળ
અત્તર ના છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
અધૂરો ઘડો છલકાય ઘણો
અન્ન અને દાંતને વેર
અન્ન તેવો ઓડકારાવળે અસ્ત્રે મૂંડી નાખવો
અંગૂઠો બતાવવો
અંજળ પાણી ખૂટવા
અંધારામા તીર ચલાવવું
આકાશ પાતાળ એક કરવા
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય
આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
આગળ બુધ્ધિ વાણિયા, પાછળ બુધ્ધિ બ્રહ્મ
આજ રોકડા, કાલ ઉધાર
આજની ઘડી અને કાલનો દિ
આદર્યા અધુરા રહે, હરિ કરે સો હોય
આદુ ખાઈને પાછળ પડી જવું
આપ ભલા તો જગ ભલા
આપ મુવા પીછે ડુબ ગઈ દુનિયા
આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
આપ સમાન બળ નહિ
આફતનુ પડીકું
આબરૂના કાંકરા કરવા
આભ ફાટ્યું હોય ત્યાં થીંગડુ ના દેવાય
આમલી પીપળી બતાવવી
આરંભે શૂરા
આલિયાની ટોપી માલિયાને માથે
આવ પાણા પગ ઉપર પડ
આવ બલા પકડ ગલા
આળસુનો પીર
આંકડે મધ ભાળી જવું
આંખ આડા કાન કરવા
આંગળા ચાટ્યે પેટ ન ભરાય
આંગળી ચિંધ્યાનુ પુણ્ય
આંગળી દેતાં પહોંચો પકડે
આંગળીથી નખ વેગળા જ રહે
આંગળીના વેઢે ગણાય એટલા
આંતરડી દુભવવી
આંધળામા કાણો રાજા
આંધળી દળે ને કૂતરા ખાય
આંધળે બહેરું કુટાય
આંધળો ઓકે સૌને રોકે
ઈંટનો જવાબ પથ્થર
ઉજ્જડ ગામમા એરંડો પ્રધાન
ઉડતા પંખી ને પાડે તેવો હોશિયાર
ઉતર્યો અમલદાર કોડીનો
ઉતાવળે આંબા ન પાકે
ઉંઠા ભણાવવા
ઉંદર બિલાડીની રમત
ઉંદરની જેમ ફૂંકી ફુંકીને કરડવું
ઊલમાથી ચૂલમા પડવા જેવો ઘાટ
ઊંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાંકરો
ઊંટની પીઠે તણખલું
ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
ઊંડા પાણીમા ઉતરવું નહિ
ઊંધા રવાડે ચઢાવી દેવું
ઊંધી ખોપરી
એક કરતાં બે ભલા
એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવુ
એક કાંકરે બે પક્ષી મારવા
એક ઘા ને બે કટકા
એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
એક ન્નો સો દુઃખ હણે
એક નૂર આદમી હજાર નૂર કપડાં
એક પગ દૂધમાં ને એક પગ દહીંમા
એક ભવમાં બે ભવ કરવા
એક મરણિયો સોને ભારે પડે
એક મ્યાનમાં બે તલવાર ન રહે
એક સાંધે ત્યાં તેર તૂટે
એક હાથે તાળી ન પડે
એકનો બે ન થાય
એના પેટમા પાપ છે
એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
એરણની ચોરી ને સોયનું દાન
એલ-ફેલ બોલવું
ઓછું પાત્ર ને અદકું ભણ્યો
ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે
(કક્કાવારી પ્રમાણે આવતા અંકે)
આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
સામે કોણ છે એ જોઈને
સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઈ ગયો
મિસિસને છોડીને મિસને
એ કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પડોશીનુ ઊંચું મોડેલ જોઈ
જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં
કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પારૂલ(મારી બહેન) દ્વારા ઈમૈલ મા મળેલું કાવ્ય.અનામિ કવિ
સંકલન શૈલા મુન્શા તા.૮/૧૫/૨૦૦૯
જુલાઈ માસની સાહિત્યસરીતા ની બેઠકનુ સંચાલન મારે કરવાનુ હતું અને વિષય હતો “વર્ષારૂતુ”
વાતાવરણને વધુ રસમય અને ઝરમરતું બનાવવા મે જે કવિમીત્રો ની પંક્તિઓ નો સાથ લીધો હતો
અત્રે એને રજુ કરતા વિશેષ આનંદ અનુભવું છું, અને ખરા દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું.
મનોજ ખંડેરિયા-
૧- એવા ભર્યાં છે શું ભલા જંતર અષાઢમાં
ફૂલોની જેમ ફોરતાં પથ્થર અષાઢમા
ભુરકી છવાઈ જાય છે આંખોમાં એવી કે
જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં.
૨-મારો અભાવ મોરની જેમ ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ.
મુકેશ માલવણકર -
૧- ખાલી આંગણ ભર ચોમાસે
કોરી પાંપણ ભર ચોમાસે
રેશમના ઢગલાની વચ્ચે
ડંખે નાગણ ભર ચોમાસે
‘કાનો લાવો’ ‘કાનો લાવો’
રાધા માગણ ભર ચોમાસે.
૩-ભગવતી કુમાર શર્મા-
મોસમ અહીં તો કોઈપણ છલનાની હોય છે
શ્રાવણ અષાઢ રાખીએ આ ઝાંઝવા નુ નામ.
૪-સૈફ પાલનપુરી
અમારી જીંદગીનો આ સરળ સીધો પરિચય છે
રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામા અભિનય છે.
૫-મેઘબિન્દુ
મહેકશે માટી ફરીથી પ્રીતની
આંખમાં જળજળ થતો વરસાદ છે.
૬-દિલીપ જોશી
આવનારી પળ બધી વાદળ બની ઘેરાય છે
આ અષાઢી આંગણું કાં ઝરમરી શકતું નથી?
૭-મધુકર રાંદેરિયા
આકાશી વાદળને નામે આ વાત
તમોને કહી દઉ છું
કાં વરસી લો કાં વીખરાઓ
આ અમથાં ગાજો શા માટે?
૮-અંબાલાલ ડાયર
કરશો ન ડોકિયાં ઓ સિતારા! છુપાઈને
સમજે છે કૈંક શિસ્ત દીવાકર અષાઢમા
વાદળ વરસતા હોત તો શું થાત એમનુ!
એના વિના ભીંજાય છે શાયર અષાઢમા.
૯-હરિન્દ્ર દવે
રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો કાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?
૧૦-નીતા રામૈયા
પહેલે વરસાદે કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ,
ઊભા રહો તો રાજ, આંખ ભરી જોઈ લઉં
વાદળને વીજના રૂઆબ.
૧૧-કૈલાશ પંડિત
અમસ્તી કોઈપણ વસ્તુ નથી બનતી જગત માંહે
કોઈનુ રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના “કૈલાશ” દિલમા દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે.
ખરે જ તમ કવિઓના સથવારે અમે સહુ વાણીના વરસાદે તરબોળ થઈ ઊઠ્યા.
ફરી ફરીને આભાર સર્વનો.
સંકલન -શૈલા મુન્શા તા.૭/૧૯/૨૦૦૯.
લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો
આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી
જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?
આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.
બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.
“અનામી કવિ ”
મિત્ર દ્વારા ઈમેલ મા મળેલું કાવ્ય જે મનને અસર કરી ગયું .
શૈલા મુન્શા – તા.૫/૫/૨૦૦૯
| ક્રમ |
શબ્દ |
અર્થ |
શબ્દ પ્રયોગ |
| ૧ |
મંગલારંભ |
ગણેશ |
મંગલારંભ બોલીને શુભ કાર્ય કરવું. |
| ૨ |
મંથજ |
માખણ |
દહીં વલોવવાથી મંથજ નીકળે. |
| ૩ |
મકરંદ |
આંબો ભમરો,પુષ્પ રજ્ |
મકરંદ ફળોનો રાજા ગણાય છે. |
| ૪ |
મચાન |
માંચડો |
સિંહના શિકાર માટે ઝાડ પર મચાન બાંધવામા આવે. |
| ૫ |
મડ |
વ્યંગ |
તે મડમા બોલે છે કે મજાકમા તે ખબર નથી. |
| ૬ |
મત્યા |
ધન |
આ યુગમા જેની પાસે મત્યા હશે તેની બોલબાલા હશે. |
| ૭ |
મધુજા |
પૃથ્વી |
મધુજા નવ ગ્રહમા નો એક ગ્રહ છે. |
| ૮ |
મધુલી |
જેઠીમધ |
ઉધરસની ખાસ દવા મધુલી.
|
| ૯ |
મરાલ |
કાજળ |
મરાલથી આંખોની શોભા વધે છે. |
| ૧૦ |
મલદલ |
દળવું |
અનાજને મલદલ કરવાનો જમાનો ગયો. |
| ૧૧ |
મહ |
તેજ |
સાચા સંતનુ મહ છાનુ ન રહે. |
| ૧૨ |
મહાકાંત |
શિવ |
મહાકાંત એ પ્રલયના દેવ ગણાય છે. |
| ૧૩ |
મહિષી |
પટરાણી, ભેંસ |
રૂક્ષ્મણી ક્રુષ્ણની મહિષી હતી. |
| ૧૪ |
માનભોગ |
મહાપ્રસાદ |
મંદિરમાથી માનભોગ લીધા વગર પાછા ન જવાય. |
| ૧૫ |
મુંગરા |
મોગરાનુ ફૂલ |
મુંગરાની સુગંધ ચારેકોર ફેલાય, મકરંદ ગુંજન સંભળાય રે |
| ૧૬ |
મુખર |
કાગડો |
મુખર અને કોયલ વાને કાળા, ને ગાને તરત પરખાય જી |
| ૧૭ |
મુદા |
આનંદ |
મુદા વહેંચવાથી વધે છે. |
| ૧૮ |
મ્રુગશિર |
માગશર માસ |
કારતક પછીનો માસ એ મ્રુગશિર માસ. |
| ૧૯ |
મંદાદર |
અવિનયી |
વડીલ સામે મંદાદર ના થવાય. |
| ૨૦ |
મણહર |
રમણીય |
ચાંદની રાતની શોભા મણહર હોય છે |
બીજને ખેડૂત પર વિશ્વાસ છે એટલે ધરતીના ખોળામાં દિવસો સુધ નિરાંતે ઊઘી જાય છે.
બાળકને માતા ઉપર શ્રદ્ધા છે એટલે તેની ગોદમાં માથું મૂકીને નિશ્ચિંત ભાવે પોઢી જાય છે.
માણસ જો સર્જનહાર ઉપર પ્રેમાળ વિશ્વાસ કેળવે તો એના જીવનમાં એ સરળતા, હિંમત અને શક્તિ આવી જાય.
તમારું જીવનધ્યેય તમારી યાત્રાની દિશા બાંધશે; એ દિશામાં આગળ ધપવા પ્રેરણા અને શક્તિ આપશે;
દુઃખમાં સહનશીલતા અને સુખમાં વિવેક સુઝાડશે; જીવનમાં અણધારી સફળતા અપાવશે.
તમારું જીવનધ્યેય એ તમારું પ્રેરક બળ, તમારા ચારિત્ર્યનો પાયો તમારા વ્યક્તિત્વનું માપ છે.
સંકલન “અવતરણ ગંગા” ફાધર વાલેસ લિખિત
શૈલા મુન્શા ૨/૧૮/૨૦૦૮