November 28th 2020

સ્મૃતીની છીપમાંથી….લેખ શ્રી પંકજ મલ્લિકનો-લેખક કેપ્ટન નરેન્દ્ર ફણસે “જિપ્સી”

સ્મૃતીની છીપમાંથી…

ઈન્હેં ના ભુલાના…” (ભાગ ૧)

સ્મૃતીની છીપમાં સુષુપ્તાવસ્થામાં પડી રહેલાં મોતી ગુપ્ત ભંડાર સમા હોય છે. અચાનક આ છીપના હાર્દને એકાદ સ્વર, સૂર કે નાદના ઝંકારની લહેર સ્પર્શ કરી જાય ત્યારે આ છીપ ખુલે છે, અને તેમાંથી નીકળે છે ઝળહળતાં મોતી. આવી જ એક લહેર આવી ગઈ મારા મિત્ર શ્રી તુષારભાઇ ભટ્ટના એક લેખમાં વાંચેલા બે શબ્દોમાંથી: “ખરજનો સ્વર”.
આ શબ્દોએ સ્મૃતીની છીપ ખોલી અને તેમાંથી પ્રશાંત મહાસાગરના ખળખળ કરતા મોજાંઓનો ધ્વનિ સંભળાતો હોય તેવું લાગ્યું. કોણ જાણે કઇ ધરા પરથી કે અદૃષ્ટ પરા-ભૂમિ પરથી ઉતરતા ગંધર્વની પડછંદ તાન અંતર્મને સાંભળી અને શબ્દો નીકળ્યા:
“મદ ભરી…..” અને એ ઉત્તાન તાનનું આવર્તન અદ્ભૂત વિશ્વમાં લઇ ગયું તાન પૂરી થતાં ગીતના શબ્દો ‘ઋત જવાન હૈ!’ ગીતની બીજી પંક્તિના અંતમાં ગીતના અંતરાના શબ્દ, ‘ઋતુ જવાન હૈ! ગાલ રંગ ભરે, મન ઉમંગ ભરે! આંખ રસ ટપકાયે, ઋતુ જવાન હૈ..” ગીતના શબ્દે શબ્દમાં યૌવનભરી વનશ્રીનું વર્ણન સાંભળીને ગીતના શબ્દોની જેમ હું પણ સૂરજગતમાં ખોવાઇ ગયો!
હા, આ ગીત અને અવાજ હતા ખરજના અભૂતપૂર્વ ગાયક પંકજ કુમાર મલ્લિકનાં! પોતાની જાતિવંત ઋજુતા અને નમ્રતાએ તેમને કેવળ પંકજ મલ્લિકના નામે ઓળખાવ્યા.
પંકજબાબુનું આ ગીત પહેલી વાર સાંભળ્યું ત્યારે જિપ્સી કેવળ પાંચ કે છ વર્ષનો હતો. તેમના ગીત-અવાજમાં કોણ જાણે કેવી મોહિની હતી, શો જાદુ હતો, મેં પિતાજીને આ ગીત ફરી વગાડવા વિનંતિ કરી. તેમણે HMVના ગ્રામોફોનને ચાવી આપી ગીત ફરી વાર વગાડ્યું. ગીત પૂરૂં થતાં મેં પિતાજીને ‘હજી એક વાર’ વગાડવાનું કહ્યું.

“તને પંકજબાબુનાં બીજા ગીત સંભળાવું. દરેક ગીત સુંદર છે. તને ઘણો આનંદ આવશે,” કહી તેમણે બીજી રેકર્ડ ચઢાવી. મૃદુતા અને ગંભીરતાના અજબ સંમિશ્રણમાં ગવાયેલું બીજું ગીત સાંભળી જિપ્સી અવાક્ થઇ સાંભળતો ગયો! અને ગીતોની હારમાળા શરૂ થઇ ગઇ:

“યહ કૌન આજ આયા સવેરે સવેરે!”
“તેરી દયાસે..”
“પ્રેમકા નાતા ઝૂઠા”

મારૂં હૃદય તો પહેલા ગીતની પહેલી પંક્તિના પહેલા શબ્દ ‘મદભરી’ની તાન સાંભળીને એક વિશાળ ધોધના cascading આવર્તન પર સવાર થઇ જાણે સાતમા આસમાન પર પહોંચી ગયું હતું!

ગીતો પૂરા થયા ત્યારે પિતાજીએ કહ્યું, “આ અવાજના ઓક્ટેવને ખરજ કહેવાય છે. ખરજનો ગાયક ભાવપૂર્ણ ગીતને પંકજબાબુ જેવી તન્મયતાથી ગાય ત્યારે તે ગીત, સંગીત તથા ગાયક, બધા અમર થઇ જાય છે. તેમને સાંભળવા એક અભૂતપૂર્વ લહાવો બની જાય છે.”

પાંચ છ વર્ષના બાળકને આ બધી વાતો શી રીતે સમજાય? હું તો કેવળ મંત્રમુગ્ધ બની સાંભળતો રહ્યો. બસ ત્યાર પછી તો પંકજબાબુનાં ગીતો ચિત્તમાં કાયમ માટે અંકાઇ ગયા. ઘણી વાર ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે બારી પાસે બેઠો હોઉં ત્યારે નિશ્ચીત અંતરે આવેલા પાટાના જોડાણ પરથી ડબો પસાર થાય ત્યારે તબલાંનો ઠેકો વાગતો હોય તેવું લાગે. ખુલ્લી બારીમાંથી આવતા હવાના મધુર અવાજ અને પાટાના ઠેકામાં પંકજબાબુનું ગીત સંભળાવા લાગ્યું: “ચલે પવનકી ચાલ, જગમેં ચલે પવનકી ચાલ…”*

વર્ષો વિતતા ગયા. સ્મૃતીપટલ પર પંકજબાબુનાં નવાં ગીતો ઉમેરાતા ગયા અને RAMની છીપમાં કંડારાઇ ગયા. એવી કોઇ હવાની લહેર આવે જેમાં જુની યાદો છુપાયેલી હોય, જેનો સંબંધ સંગીત સાથે હોય, આ છીપ ધીરેથી ખુલવા લાગતી અને તેમાંથી એકાદું ગીત બહાર આવતું. તે પણ પંકજબાબુનું. બસ ત્યારથી મનમાં ઝંખના જાગી, પંકજબાબુને પ્રત્યક્ષ સાંભળવા. ભાવનગરમાં તો એ શક્ય જ નહોતું. બસ, અમારી એમ.જે. કૉમર્સ કૉલેજના ફંક્શનમાં મારા ક્લાસમેટ દેવીપ્રસાદ દવે “સંસારકે આધાર” અથવા કોઇ ‘મોટા’ મહેમાન કૉલેજની મુલાકાતે આવવાના હોય ત્યારે “ઘુંઘરીયા બાજે રૂમઝુમ..” ગાતાં તેમાં મનનું સમાધાન કરી લેતો.

ભાવનગર છોડ્યા બાદ જિપ્સી અમદાવાદ આવીને વસ્યો હતો. ૧૯૫૮ કે ૧૯૫૯ની સાલ હતી. એક દિવસ અચાનક રિલીફ સિનેમાના પગથિયા પર પાટિયું જોયું: “શ્રીયુત પંકજ મલ્લીકના ગીતોના ફક્ત બે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ટિકીટ માટે બુકીંગ ઓફિસનો સંપર્ક સાધો.” હું તરત દોડતો ગયો. કમનસીબે બન્ને કાર્યક્રમોની ટિકીટો વેચાઇ ગઇ હતી. ઘણો નિરાશ થયો. મનમાં પ્રાર્થના કરી, “હે ભગવાન! આ જન્મમાં એક વાર તો પંકજબાબુનાં ગીતો સાંભળવાનો લહાવો લેવાનું સદ્ભાગ્ય બક્ષો!”

પ્રભુએ પ્રાર્થના સાંભળી. બે વર્ષ બાદ પંકજબાબુના ખાસ ચાહક – બનતાં સુધી અજીતભાઇ અને નિરૂપમાબેન શેઠના ખાસ નિમંત્રણથી પંકજબાબુ અમદાવાદ આવ્યા. એલીસબ્રીજના છેડે આવેલા ટાઉનહૉલમાં તેમના બે કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. મને બન્ને દિવસની ટિકીટો મળી. કાર્યક્રમની રાતે તેમનાં નજીકથી દર્શન કરવાના આશયથી મારા મિત્ર રમણીકભાઇ પુજારાની સાથે સ્ટેજ ડોરની પાસે ઉભો રહ્યો. થોડી વારે એક મોટર આવી અને તેમાંથી છ ફીટ ઉંચા, ભવ્ય આભાથી નિતરતા દિવ્યપુરૂષ અવતરીત થતા હોય તેમ પંકજબાબુ ઉતર્યા. મેં આગળ વધીને તેમને નમીને બંગાળી ઢબથી ચરણસ્પર્શ કરીને બંગાળીમાં જ અભિવાદન કર્યા.
નમસ્કારનો પ્રત્યુત્તર આપી તેમણે પૂછ્યું, “બાંગ્લા પોઢતે પારો તો?” (બંગાળી વાંચતા આવડે છે?)
જી હા! મને બંગાળી વાંચતા આવડે છે.
મારા ખભા પર હાથ મૂકી તેમણે કહ્યું, “આમાર શોંગે ચોલો.” કોઇ પણ કાર્યક્રમમાં પંકજબાબુ એક ગીત પૂરૂં થયા બાદ બીજા ગીતની પ્રથમ પંક્તિ ગાય ત્યારે તેમની સાથે બેસેલા સહકારી તેમની નોટબુકના ઇંડેક્સ પરથી તે ગીતનું પાનું ખોલી આપે. તેઓ પોતે તો હાર્મોનિયમની ધમણ ચલાવતા હોય તેથી ગીતના સૂર-લયમાં વિઘ્ન ન પડે તે માટે આવું કરતા. મને આ કામ માટે તેમણે આજ્ઞા કરી કરી હતી. આ વાતની મને તે વખતે જાણ નહોતી. મેં તેમને નમ્રતાપૂર્વક કહ્યું કે હું મારા મિત્રની સાથે આવ્યો છું. તેમને મૂકીને હું કેવી રીતે આવી શકું? મેં કહેતાં તો કહી દીધું, પણ તેનું મને તત્કાળ દુ:ખ થયું. તેમણે કહ્યું, “કશો વાંધો નહિ. તમે તમારા મિત્ર સાથે જઇ શકો છો.”
મેળાપની આ અદ્ભૂત તક હતી જે હું કોઇ હિસાબે ખોવા તૈયાર નહોતો. મેં તેમને પૂછ્યું, “આપ ક્યાં ઊતર્યા છો? આપને મળવા આવી શકું?”
“જરૂર. અમે હોટેલ રૂપાલીમાં રોકાયા છીએ. કાલે સવારે દસ વાગે આવી શકો છો.”
અમે અમારી બેઠક પર બેસી ગયા.
શરૂઆતમાં કવિગુરૂ રવીંદ્રનાથની એક પ્રાર્થના ગાયા બાદ તેમણે હાર્મોનિયમ પર એક સૂર પકડ્યો, ધમણ ચાલુ રાખીને માઇકમાં કહ્યું, “હવે જે ગીત હું ગાઇ સંભળાવવાનો છું, તેમાં આપ સહુએ જોડાવાનું છે. આ ગીત એકઠા ગાવામાં કેટલો આનંદ છે તે આપ સહુ જરૂર અનુભવશો.”
હવે ધમણ વેગથી હાલવા લાગી અને બચપણમાં પ્રથમ વાર સાંભળેલ અને ત્યાર બાદ શબ્દહીન, અવાજહીન એવી અદૃષ્ટ અને અગમ્ય આકાશગંગામાંથી અવતરતા ઝરણાંની જેમ આવી મારા મનને સંભળાવતું ગીત તે દિવસે અન્ય કોઇને ન દેખાય, પણ મારા અંતર્મનને દેખાતા દિવ્ય પ્રપાતની જેમ સ્ટેજ પર છલક્યું અને આખા ટાઉનહૉલમાં પ્રકાશની જેમ પથરાયું.
“આયી બહાર આજ, આયી બહાર!!!”
સંકોચને કારણે કે કેમ, શ્રોતાઓ તરફથી પ્રતિભાવ ન મળતાં પંકજબાબુ રોકાયા અને ફરીથી બોલ્યા, “ગાઓ, હમારે સાથ ગાઓ!”
હવે શ્રોતાઓ ખીલ્યા અને મુક્ત સ્વરે બધા ગીતના કોરસમાં જોડાયા. ગીતના શબ્દ આગળ વધતા ગયા. પંકજબાબુ ગાઇ રહ્યા હતા…

“આજ ગુલોંકા બુલબુલસે બ્યાહ, હોને કો હૈ!
આજ થાલોંમેં ચંદન હોને કો હૈ,
આજ પ્યાલોંમેં ઉબટન હોને કો હૈ,
આઓ તરાને છેડે નયે,
આઓ મિલજુલકે ગાને ગાયેં નયે,
આઓ શાદી રચાયેં હમ સબ નયી,
હૈ યે શાદી નયી, આઓ દુનિયા બદલને કા દિન આ ગયા..”
અને ખીચોખીચ ભરાયેલા ટાઉનહોલમાં અમે શ્રોતાઓ જોડાયા, “લિયે ફૂલોંકે હાર, બહાર આજ.
આયી બહાર!”
અમને કોઇને સમયનું ભાન નહોતું. તે સમયે અમને કોઇને ખ્યાલ ન રહ્યો કે અમદાવાદમાં તો શું, આખા ભારતમાં એક નવો પ્રયોગ જન્મ લઇ રહ્યો હતો. તે હતો સ્ટેજ પર ગાઇ રહેલ મહાન ગાયકની સાથે audience participation નો! અને પ્રયોગના જન્મદાતા હતા શ્રી પંકજ કુમાર મલ્લિક!
ત્યાર પછી તો કાર્યક્રમમાં કંઇ રંગત જામી છે! વાહ! ગીત-મૌક્તિકોનો થાળ ઉછાળતા હોય તેમ પંકજબાબુ એક પછી એક ગીત પ્રસ્તુત કરતા રહ્યા:
પિયા મિલનકો જાના…
યહ કૌન આજ આયા સવેરે સવેરે…
મદભરી, ઋત જવાન હૈ…
આજ અપની મહેનતોં કા..
મહેક રહી રહી ફૂલવારી…
મુઝે ભૂલ જાના, ઇન્હેં ના ભુલાના…

સમય કેવી રીતે વીતી ગયો કોઇને ભાન ન રહ્યું. કયા પ્રકારની મદહોશીમાં ઘેર પહોંચી ગયો તેનો જિપ્સીને ખ્યાન ન રહ્યો.

ઇન્હેં ના ભૂલાના (ભાગ ૨- અંતિમ)

બીજા દિવસે જિપ્સી પંકજબાબુને મળવા પહોંચી ગયો. તેમની પાસે એક વૃદ્ધ બંગાળી સજ્જન બેઠા હતા. ચરણસ્પર્શ, અભિવાદન બાદ તેમણે મને બેસવાનું કહ્યું અને વાતચીત બંગાળીમાં શરૂ થઇ. હું તેમને કશું પૂછું તે પહેલાં તેમણે મને જ પ્રશ્ન પૂછ્યો.

“તમે અમદાવાદમાં રહો છો?
“જી.”
“તમે કવિગુરૂનું ‘ક્ષુધીત પાષાણ’ વાંચ્યું છે?”
“જી. મારા કૉલેજના અભ્યાસક્રમમાં ‘Hungry Stones and Other stories’ નામનું પુસ્તક હતું. હું તે શીખ્યો છું!’
“તમને ખબર છે આ કથામાં જે નદી, તેના ઓવારા અને ઘાટનું વર્ણન છે તે ક્યાં આવ્યા છે?”
મેં આ બાબતમાં મારૂં અજ્ઞાન જાહેર કર્યું.
“એ તમારા શહેરના જ છે! અત્યારે જે રાજ ભવન છે, તે મૂળ શહેનશાહ શાહજહાનનો મહેલ હતો. કવિગુરૂના મોટા ભાઇ સત્યેન્દ્રનાથ અમદાવાદમાં રીજનલ કમીશ્નર હતા ત્યારે આ મહેલ તેમનું ‘ઓફિશિયલ રેસીડન્સ’ હતું. રવીન્દ્રનાથ ૧૮-૧૯ વર્ષના હતા ત્યારે તેઓ તેમની પાસે રહેવા આવ્યા હતા. તેમને થયેલ અનુભવનું તેમણે તાદૃશ વર્ણન કર્યું છે આ ‘ક્ષુધીત પાષાણ’માં!”

મને હવે વાત કરવાનો વિષય મળી ગયો. આમ તો મેં તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો વિચાર કર્યો નહોતો. મારે તો તેમના સાન્નિધ્યમાં પાંચ-પંદર મિનીટ ગાળવાનો લહાવો લેવો હતો.

“દાદા, મેં સાંભળ્યું છે કે કવિગુરૂએ તેમના ગીતોને સુરબદ્ધ કરવાની પરવાનગી આપના સિવાય અન્ય કોઇને આપી નહોતી.”

“હા. ગુરૂદેવની મારા પર અસીમ કૃપા હતી. તેમનાં ગીતોથી હું તો શું, આખું વિશ્વ પ્રભાવિત હતું. મને તેમના ગીતને સુરબદ્ધ કરવાની અદમ્ય ઇચ્છા હતી. અનેક પ્રયત્નો બાદ તેમણે મને બોલાવ્યો અને મેં સ્વરબદ્ધ કરેલ ગીત સંભળાવવાનો આદેશ આપ્યો. મેં તેમને ‘દિનેર શેષે,ઘૂમેર દેશે’ ગાઇ સંભળાવ્યું. તેમણે મને તે પ્રકાશિત કરવાની રજા આપી.”

એક રીતે તો આ એક ઇતિહાસ રચાયો હતો. ગુરૂદેવે પંકજદા’ સિવાય કોઇને પોતાના ગીતોને સૂર આપવાની રજા આપી નથી. ‘દિનેર શેષે..’ અમર ગીત બની ગયું!

“ઘણા સમયથી મારા મનમાં એક પ્રશ્ન ઉઠતો રહ્યો છે. આપની અનુમતિ હોય તો પૂછું? આપે ગાયેલા હિંદી ગીતોમાંના બે ગીત સાવ જુદા તરી આવે છે. તેમાં આપને સાથ આપનાર વાદ્યવૃંદ પૂરી રીતે પાશ્ચાત્ય છે!” મારો નિર્દેશ ‘યાદ આયે કે ન આયે તુમ્હારી’ તથા ‘પ્રાણ ચાહે નૈન ન ચાહે’ તરફ હતો.

પંકજદા’ સ્મિત સાથે બોલ્યા, “ઓ રે બાબા! જરૂર કહીશ. તે જમાનામાં કલકત્તામાં કૅસાનોવાનો ડાન્સ બૅન્ડ અત્યંત પ્રખ્યાત હતો. ફિર્પોઝ જેવી મોટી પ્રતિષ્ઠિત રેસ્ટોરાં તથા હોટેલમાં તેમનો કાર્યક્રમ રખાતો. એવા સંજોગો બની આવ્યા કે ભારતીય ગીત કોઇ પાશ્ચાત્ય ઓર્કેસ્ટ્રાના સંગીત પર ગાઇ શકાય કે કેમ એવો વિચાર આવ્યો. આ એક મોટી ચૅલેન્જ હતી. અમે ફ્રાન્ચેસ્કો કૅસેનોવા સાથે મળી રવીન્દ્ર સંગીતના ગીતનું સમન્વય કરવાનું નક્કી કર્યું. મૂળ ગીત હતું ‘મોને રોબે કિના રોબે આમારે’. અમે તેનું હિંદી રૂપાંતર કર્યું, “યાદ આયે કે ના આયે તુમ્હારી!” બીજું ગીત હતું ‘પ્રાણ ચાહે નૈના ન ચાહે”. આ બન્ને ગીતો બેહદ લોકપ્રિય થયા. ત્યાર પછી ત્રીજું ગીત “જબ ચાંદ મેરા નીકલા/છાયીંથીં બહારેં” પ્રસિદ્ધ થયું.

આ વાત થઇ તે સાલમાં – અને અત્યારના જમાનામાં પણ કોઇને ખ્યાલ નહોતો કે વિશ્વમાં કદાચ પહેલી વાર કોઇ લોકપ્રિય ગીતના આધુનિક બૅન્ડ કે ઓરકેસ્‌ટ્રા સાથે ‘રિમિક્સ’નો પ્રયોગ પંકજદા’એ કર્યો હતો! સંગીતની દુનિયામાં તેઓ સાચે જ સ્વપ્નદૃષ્ટા હતા. આનો અનુભવ સતત રીતે લોકોને થતો રહ્યો. શરૂઆતમાં રવીન્દ્રસંગીતમાં તબલાંનો સાથ નહોતો અપાતો. ગુરૂદેવની રજાથી પંકજદા’એ સૂર સાથે તાલનું આયોજન કર્યું અને રવીન્દ્રસંગીતના પ્રસારમાં અગ્રેસર બની બંગાળના ઘરઘરમાં તેને પહોંચાડ્યું. કન્યાને જોવા જનાર વરપક્ષના લોકો પહેલો પ્રશ્ન એ પૂછવા લાગ્યા કે કન્યાને રવીન્દ્રસંગીત આવડે છે કે કેમ, અને આવડતું હોય તો તેની પાસે ગવડાવતા. પંકજદા’એ તો બિન-બંગાળી એવા સાયગલસાહેબ પાસે રવીંદ્રસંગીત ગવડાવીને તેમને એટલી પ્રસિદ્ધિ અપાવી કે તેનું વર્ણન ન થઇ શકે. આજે પણ સાયગલસાહેબે ગાયેલ ‘આમી તોમાય જાતો” કોઇ ભુલી શક્યું નથી. આનાં ઘણા કારણ હતા. એક તો સાયગલ high pitch એટલે હાર્મોનિયમની કાળી પાંચની પટ્ટી પર ગાતા. પંકજદા’એ તેમની પાસેથી ઉપરના સૂરમાં ગવડાવ્યું. બીજું, કુંદનલાલ સાયગલ ઉર્દુ/પંજાબી ભાષીક ગાયક હતા. પંકજદા’એ તેમની પાસેથી અણીશુદ્ધ બંગાળી ઉચ્ચાર કરાવ્યા! એવી જ રીતે તેમણે કાનનદેવીને રવીંદ્રસંગીતનો મર્મ, તેના nuances, ભાવાર્થ એવી રીતે સમજાવ્યા, કાનનદેવીએ તેમના ગીતો ભાવપૂર્ણ થઇને ગાયા. તેમના ફિલ્મી ગીતો સુદ્ધાં લોકો હજી યાદ કરે છે. ‘ઐ ચાંદ છુપ ના જાના/જબ તક મૈં ગીત ગાઉં’ યાદ છે ને?
કલકત્તામાં તેમણે સાયગલ સાહેબ, કાનનદેવી, રાય ચંદ બોરાલ, કે.સી.ડે, ઉમાશશી વ. સાથે મળીને એવું સંગીત રચ્યું, એવું ગાયું, બસ, વાહ! સિવાય બીજો શબ્દ ન નીકળે. તેમણે સાયગલસાહેબ અને ઉમા શશી સાથે મળીને ‘ધરતીમાતા’ ફિલ્મમાં ગાયેલા ગીતો ‘દુનિયા રંગ રંગીલી બાબા‘ તથા ‘મનકી બાત બતાઉં‘ જેવા ગીતોમાં ધરતીની ખુશ્બૂ પમરાતી જણાશે.
પંકજદા’એ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં ગીતોને સંગીત આપવા ઉપરાંત તેમણે તે ગાયા હતા. તેમાંની સૌથી પ્રખ્યાત ફિલ્મ હતી ‘ડૉક્ટર’. ભારતીય સિનેમામાં ઘોડાગાડીમાં બેસી, ઘોડાની ચાલના ઠેકા પર સૌથી પહેલું કોઇ ગીત ગવાયું હોય તો તે પંકજદા’નું ‘ચલે પવનકી ચાલ’ હતું. ત્યાર પછી તો ઘણાં ગીતો આવ્યા અને ગયા – દિદારનું ‘બચપનકે દિન ભુલા ન દેના’થી માંડીને નયા દૌર, હાવરા બ્રીજ (ઇંટકી દુગ્ગી, પાનકા ઇક્કા..”) આવ્યા અને ગયા, પણ ‘ચલે પવનકી ચાલ’ જેવી તાજગી, તેનું તત્વજ્ઞાન (કટ ના સકે યે લંબા રસ્તા, કટે હજારોં સાલ/જહાં પહુંચને પર દમ છૂટે, હૈ વહી કાલા કાલ, જગમેં ચલે પવનકી ચાલ) કદી પણ જુનું લાગતું નથી.
પંકજદા’ના જીવનમાં દુ:ખદ બનાવો બની ગયા તેમાં બે મુખ્ય હતા. એક તો સાયગલસાહેબ કલકત્તા છોડી મુંબઇ જતા રહ્યા, અને ત્યાં દારૂની લતમાં આવી અકાળે કાળવશ થઇ ગયા. બીજો બનાવ હતો ન્યુ થિયેટર્સના બી.એન. સરકારે આંતરીક ખટપટ કરનારાઓની કાનભંભેરણીથી અચાનક, એક કલાકની નોટિસ પર તેમને કામ પરથી કાઢી મૂક્યા. આ થયું તેના એક વર્ષ પહેલાં મુંબઇના નિર્માતાઓ તેમને ભારે પગારે બોલાવી રહ્યા હતા. ન્યુ થિયેટર્સ પરત્વે તેમની વફાદારી એટલી મજબૂત હતી, તેમણે પ્રસ્તાવ નમ્રતાપૂર્વક નકાર્યા હતા. હવે પરિસ્થિતિ એવી આવી ગઇ કે તેમની પાસે ન કોઇ પેન્શન, ન કોઇ આજીવિકાનું સાધન હતું. જુની મૈત્રીના આધારે તેમને કેટલીક ફિલ્મોમાં સંગીત નિર્દેશનનું કામ મળ્યું અને તેમાં તેમણે સાયગલસાહેબ માટે આપેલ સંગીત ‘અય કાતિબે તકદીર મુઝે ઇતના બતા દે’, ‘દો નૈના મતવાલે, તિહારે, હમ પર ઝૂલ્મ કરે’ હજી સંભળાય છે અને યાદ કરાય છે.
પંકજદા’ના સંગીતની ખુબી તેમની સાત્ત્વીકતા, દાર્શનિકતા અને ભારતીય સંગીતની પરંપરાની સભરતામાં હતી. ફિલ્મ ‘યાત્રીક’માં તેમણે આપેલ સંગીત ‘તુ ઢુંઢતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’, અથવા બિનોતા ચક્રવર્તીએ ગાયેલ ‘સાધન કરના ચાહે રે મનવા/ભજન કરના ચાહે’ શ્રોતાને ભક્તિરસમાં તરબોળ કરી દે. આવા જ બિન-ફિલ્મી ભજન, ‘મેરે હઠીલે શ્યામ’, ‘તેરે મંદિરકા હું દીપક જલ રહા..’ મનને એવી સ્થિતિએ પહોંચાડે કે આપણે પોતે આપણા આરાધ્યને પ્રશ્ન કરતા હોઇએ એવું લાગે.

અહીં તેમના સાત્વીક ગીતોની વાત કરીએ તો તેમણે ગાયેલા બે પ્રેમગીતોનો ઉલ્લેખ કર્યા વગર રહી શકતો નથી. એક તો ચિરસ્મરણીય ગીત છે “યે રાતેં, યે મૌસમ, યે હંસના-હંસાના/મુઝે ભુલ જાના – ઇન્હેં ના ભુલાના…” મનમાં એવી કસક ઉઠાવે, એવા સ્મરણ-ક્ષિતીજને પેલે પાર લઇ જાય, આકાશમાં ઉગતા પહેલા તારકમાં આપણી મુગ્ધાવસ્થામાં જ વિખુટી થયેલી પ્રિયતમાની ભાવનાસભર છબી ઉપસતી લાગે. હા, મને ભૂલી જશો, પણ….” બીજું ગીત યાદ આવે છે, ‘મૈંને આજ પિયા હોંઠોંકા પ્યાલા..” આ ગીતમાં કેવળ ઉલ્લાસની ભાવના જણાઇ આવે છે. નથી તેમાં અશીષ્ટ શૃંગાર, નથી અતિ મોહનો આવિર્ભાવ.

પંકજદા’નું જીવન એક ચિત્રપટકથા જેવું હતું. તેમણે સંગીત શીખવા માટે કેવા પરિશ્રમ કર્યા અને ઘેર ઘેર જઇ સંગીત શીખવતા તે જાણવા જેવું છે. કલકત્તાની ભિષણ વર્ષામાં તેમની પાસે છત્રી પણ નહોતી! અને તેને કારણે જ તેમને જીવનમાં પ્રથમ ‘બ્રેક’ મળ્યો! એક દિવસ વરસાદથી બચવા નજીકના મકાનના ઓટલા પર તેઓ ઉભા રહ્યા. વરસાદ રોકાતો નહોતો. તેમણે ખરજના સ્વરમાં રવીંદ્રસંગીતમાંનું એક વર્ષા ગીત ગાવાનું શરૂ કર્યું. તેમનો અદ્ભૂત અવાજ સાંભળ્યો મકાનમાં રહેતા સજ્જને. તેમણે પંકજદા’ને અંદર બોલાવ્યા અને પૂછપરછ કર્યા બાદ તેમના ખાસ મિત્ર, જે ઓલ ઇન્ડીયા રેડીયોના સ્ટેશન ડિરેક્ટર હતા, તેમની પાસે મોકલ્યા. અને બસ, ભારતને એક અણમોલ રત્ન મળી ગયું.

પંકજદા’એ આત્મકથા લખી, અને તેનું ભાષાંતર/સંપાદન કર્યું તેમના શિષ્ય શ્રી. અજીત શેઠે. ગુજરાતી પુસ્તકનું નામ છે “ગુજર ગયા વહ જમાના‘ અને પ્રસિદ્ધ કરનાર છે મુંબઇના ‘સંગીત ભવન ટ્રસ્ટ’.
‘અખંડ આનંદ’માં જ્યારે આ લેખ પ્રસિદ્ધ થયો ત્યારે તે સમયના તેના સંપાદક આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજાએ લેખને અંતે પંકજદા’નું આખું ગીત ઉતાર્યું હતું: ‘ગુજર ગયા વહ જમાના…’
સાચે જ, એક જમાનો વિતી ગયો, પણ નથી ઓસરી યાદ પંકજદા’ની કે તેમના ગીતની, “ઇન્હેં ના ભુલાના…’ની.
તમે મને ભલે ભૂલી જજો, પણ આપણે સાથે ગાળેલી પેલી સુવર્ણમય, ખુશનૂમા સંગીતમય રજનીને ભૂલતાં નહીં… બસ, પંકજદાની આ પંક્તિઓ સંગીત જગતમાં અવિસ્મરણીય બની રહી છે.

(આ લેખમાળા મારા પિતા મધુસુદન દેસાઈને સમર્પિત છે, જેઓ પંકજદાના અનન્ય ભક્ત હતાં. દિલથી આભાર કેપ્ટન નરેન્દ્રભાઈ “જિપ્સી” નો જેમની આ લેખમાળાએ મારી બચપણની યાદોને જીવંત કરી. પંકજદાના ગીતો રોજ મારા પિતાના કંઠે ગવાતા સાંભળી અમે મોટા થયાં છીએ.
શૈલા મુન્શા)

લેખક શ્રી નરેન્દ્રભાઈ ફણસે “જિપ્સી”

January 19th 2014

“વિચાર લહેરી” બ્લોગ નો વેબ ગુર્જરી પર પરિચય

શૈલા મુન્શાનો બ્લૉગ – વિચાર લહેરી – લેખિકા મૌલિકા દેરાસરી

ઇચ્છાઓની વાત કરી આપણે તો ઇચ્છા વિષે એક ઑર વાત એક અન્ય બ્લૉગમાં પણ વ્યક્ત થઈ છે.

“જે ના થઈ પૂરી એ ઇચ્છા અકળાય છે. શોધી નવી કેડી ધપવા આગળ થાય છે.”

વર્ષોને સંગ જિંદગી પણ સતત બદલાતી રહે છે એવી વાત એમના કાવ્યમાં વ્યક્ત થાય છે. આમ તો આ એક શિક્ષકનો બ્લૉગ છે. શિક્ષક અર્થાત શીખવાડનાર…બાળકો સાથેની નાની નાની ઘટનાઓ રોજિંદા પ્રસંગોમાં એમણે એ રીતે આલેખી છે કે, દરેક પ્રસંગ આપણાં મન પર એક છાપ છોડી જાય. પુસ્તકનું નહીં પણ અનુભવનું જ્ઞાન કઈ રીતે જીવનમાં કામ લાગે છે એ સમજાવી જાય છે.

વળી આ પ્રસંગોના એમના અનુભવો “બાળ ગગન વિહાર” નામના પુસ્તકરૂપે પણ પ્રગટ થયા છે. શબ્દ, અર્થ અને વાક્યપ્રયોગો નામની એક શ્રુંખલામાં આ દરેકનું સરસ સંકલન મળશે તો, સાથે વાર્તા, હાઈકુ, વ્યંગકાવ્ય અને ગઝલ પણ નીકળતી રહી છે એમની કલમ દ્વારા…

સ્વાતંત્ર્ય નામની વાર્તામાં આજ-કાલ ઝડપથી તૂટતાં લગ્નજીવનોમાં યુવા પેઢીની સહનશક્તિની મર્યાદા છે કે, વડીલોના ઉછેરમાં ખામી – આ પ્રશ્ન બહુ વિષદતાથી ઉઠાવ્યો છે. તો ‘મિશેલ’ નામની વાર્તામાં પ્રેમાળ પતિ અને દીકરાના મોતનો બેવડો આઘાત છાતી પર ઝીલીનેય હોઠો પર સ્મિત અને પતિ તથા દીકરાને ગમતું રૂપ ધારણ કરીને ખુમારીથી જીવતી સ્ત્રીની વાત છે.

નિઃસંતાન દંપતી માટે દત્તક બાળક કઈ રીતે આશીર્વાદ બનીને આવે છે અને એમની એકલવાયી જિંદગીને ખુશીઓથી ભરપૂર બનાવે છે એ વાત ‘આવકાર’ વાર્તામાં મળશે. મનમેળ કે તનમેળ ના હોવા છતાં આખી જિંદગી પતિને નિભાવતી પત્નીની વાત હોય કે અંતરમાં વેદના છુપાવી હસતા મુખે પત્નીનો દુ:ખમાંય સાથ ન છોડતા પતિની વાત હોય – સાવ સરળ અંદાજમાં મૂકી છે એમણે આપણી સમક્ષ.

હાઈકુ પર હાથ અજમાવતાં એમણે લખ્યું છે કે,

વાસંતી વાયુ

વાયરાનું અડવું,

ફૂલો મલક્યાં…

શૈલા મુન્શાનો બ્લોગ – વિચાર લહેરી

તો… વિચારોની ફૂંકાતી લહરો જ્યાં આપણને સ્પર્શે છે એવો આ બ્લૉગ છેઃ ‘વિચાર લહેરી‘. શૈલા મુન્શાની કલમે ઑગસ્ટ-૨૦૦૭થી જે સતત લખાતો રહ્યો છે. જિંદગીના છ દાયકાની ફિલ્મ રિવાઇન્ડ કરતાં તેઓ કહે છે કે, ‘ બાળ માસિકો, વાંચનનો શોખ, સ્પર્ધાઓએ સાહિત્ય માટે મનમાં લગાવ પેદા કર્યો અને ગુજરાતી સાહિત્યના માંધાતાઓને વાંચવાની પ્રેરણા એક શિક્ષિકાએ એમને આપી. એ પછી સાહિત્ય માટેનો લગાવ સતત વધતો રહ્યો.

કલકત્તા નગરીમાં જન્મ અને મુંબઈમા ઉછેર થયો. B.A., B.Ed થઈ શિક્ષિકા બન્યાં અને ત્યાર પછી અમેરિકા જઈ વસ્યાં. ત્યાર પછી ત્યાંના એમના અનુભવો, અનુભવો પછીનું મનોમંથન શબ્દો થકી આ બ્લૉગ પર પ્રગટ થતું રહ્યું છે… સતત.. બેહિસાબ…

” ખરે એક પાન વૃક્ષથી ને ખરે એક જિંદગી જીવનથી,

કચરાય એક પગ તળે, એક મન તળે… હિસાબ કોણ રાખે!!”

વિના હિસાબ વહેતી વિચાર લહેરોની આ ઝિલમિલ માટે કરો એક ક્લિક અહીં –

શૈલા મુન્શાનો બ્લૉગ – વિચાર લહેરી
www.smunshaw.wordpress.com

•આ લેખનાં લેખિકા મૌલિકા દેરાસરીનાં સંપર્કસૂત્રઃ ◦ઇ-પત્રવ્યવહારઃ maulikaderasari@yahoo.in

December 29th 2013

“મ” શબ્દ-અર્થ-વાક્યપ્રયોગ

ક્રમ- શબ્દ- અર્થ- વાક્યપ્રયોગ

૨૧-મકરપતિ-કામદેવ-
મકરપતિના બાણ વાગ્યા હોય તે જાણે.

૨૨-મકરાખ્ય-મગર- મોટું માછલું
પાણીમા રહીને મકરાખ્ય સાથે વેર ના બંધાય.

૨૩-મક્ષ-ક્રોધ, ગુસ્સો
મક્ષમા બોલાયેલ શબ્દો નિજને અને બીજાને, બન્નેને નુકશાન કરે છે.

૨૪-મખત્રાણ-યજ્ઞનુ રક્ષણ
બ્રાહ્મણો મખત્રાણ નુ કામ ક્ષત્રિય રાજાને સોંપતા.

૨૫-મખરાજ-યજ્ઞોમા શ્રેષ્ઠ એવો રાજસૂય યજ્ઞ
પાંડવોના મખરાજમા દ્રૌપદી એ દુર્યોધન નુ અપમાન કર્યું હતું.

૨૬-મઘવા-ઈંદ્ર, દેવરાજ
દેવો ના દેવ ઈંદ્રનુ એક નામ મઘવા પણ છે.

૨૭-મઘેરુ-શિયાળાનો વરસાદ
માહ મહિનામા આવતા વરસાદને મઘેરુ કહે છે.

૨૮-મઘોની-શચી, ઈંદ્રની પત્નિ
ઈંદ્રાણી, નુ એક નામ મઘોની પણ છે.

૨૯-મજ્જનગૃહ- નાહવાનો ઓરડો
ધનિકોના મજ્જનગૃહ ગરીબોની ઝુંપડી થી મોટા હોય છે.

૩૦-મજ્જારી-બિલાડી
અમેરિકામા મજ્જારીને માણસ કરતા વધુ લાડ મળે છે.

૩૧-મણિક-માટીનો ઘડો
પનિહારી મણિક લઈ કુવે પાણી ભરવા જાય.

૩૨-મણિતારક-સારસ પક્ષી
મણિતારક હમેશ એની માદા સાથે જ જોવા મળે.

૩૩-મણિભૃત-શેષનાગ
કૃષ્ણે બાલ્યાવસ્થા મા મણિભૃત ને નાથ્યો હતો એવી કથા છે.

૩૪-મણિવીજ-દાડમનુ ઝાડ
મણિવીજ ના ફળ ખાવામા ખટમધુરા હોય છે.

૩૫-મત્તકીશ-હાથી
મત્તકીશ જીવતો લાખનો અને મરેલો સવા લાખનો.

૩૬-મત્તશ્વાન-હડકાયેલું કૂતરું
મત્તશ્વાન કરડે તો પેટમા ૧૪ ઈંજેક્શન લેવા પડે.

૩૭-મદકરી-મદિરા, દારૂ
મદકરીનુ અતિ સેવન નુકશાનકારક છે.

૩૮-મદનકદન-શંકર, મહાદેવ
કામદેવને મારનાર શંકર મદનકદન ના નામે પ્રસિધ્ધ છે.

૩૯-મદનકાકુરવ- કબૂતર, પારેવું
પ્રાચીનકાળમા રાજા મદનકાકુરવ નો ઉપયોગ સંદેશવાહક તરીકે કરતાં.

૪૦-મધુ-અશોક વૃક્ષ, આસોપાલવનુ ઝાડ
મધુના પાન શુભ પ્રસંગે તોરણ બનાવવા ના ઉપયોગમા આવે છે.

૪૧-મધુઋતુ-વસંતઋતુ
મધુઋતુમા કુદરત અવનવા રંગે સોહી ઊઠે છે.

૪૨-મધુગર-ભમરો
જ્યાં ફુલોના બગીચા હોય ત્યાં મધુગર જોવા મળે.

૪૩-મનભંગ-નિરાશા, અસંતોષ
મનભંગ થાય તો માણસ હિંમત હારી જાય.

૪૪-મનાક-થોડું, જરાક
સંતોષી જીવ મનાક મા ઘણુ માની તૃપ્ત રહે છે.

૪૫-મનીષિત-ઈચ્છા, મનથી ઈચ્છેલું
માગ્યા વગર મનીષિત પુર્ણ થાય એના જેવું કોઈ સુખ નહિ.

૪૬-મનોજ્ઞતા-મનોહરતા, સુંદરતા
મનુષ્યમા મનોજ્ઞતા ફક્ત બાહ્ય નહિ પણ ભીતરની પણ હોવી જોઈએ.

૪૭-મનોતાપ-માનસિક દુઃખ
શારિરીક દુઃખ કરતાં મનોતાપ માણસને ખલાસ કરી નાખે.

૪૮-મનોલૌલ્ય-મનનો તરંગ, મનનુ ચંચળપણુ
મનોલૌલ્યના સહારે માનવી ક્યાંનો ક્યાં જાય.

૪૯-મમત-હઠ, આગ્રહ
નાના બાળકોની મમત સામે ક્યારેક નમવું પડે છે.

૫૦-મષિધાન-શાહીનો ખડિયો
પહેલા ના જમાનામાં મષિધાન અને બરૂની કલમ વડે સંદેશા લખાતા.

શૈલા મુન્શા

December 27th 2013

“ઘ” શબ્દ, અર્થ અને વાક્ય પ્રયોગ

૧- ઘટપટ -અર્થ-અસંગત વગર સંબંધનુ ભાષણ
આજકાલના નેતાઓના ભાષણ ઘટપટ હોય છે.

૨-ઘટિઘટ-મહાદેવ, શંકર
ઘટિઘટ જેટલા ભોળા દેવ છે, તેટલા જ ક્રોધિત પણ છે.

૩-ઘચૂમલો-ગુંચવાડો, અવ્યવસ્થા
શાંત ચાલતા સરઘસમાં પથરો પડ્યો અને ઘચૂમલો થઈ ગયો.

૪-ઘટકાર-કુંભાર
ઘટકાર જેવા માટીના વાસણ કોઈ બનાવી ના શકે.

૫-ઘટડું-અંતર, હ્રદય
પોતાના પારકાં થાય તો ઘટડું વલોવાય.

૬-ઘડોઘાટ-નિકાલ, ફેંસલો
બદલાની ભાવનાથી એણે મિત્રનો ઘડોઘાટ કરી નાખ્યો.

૭-ઘણિયું-ડોકનુ એક ઘરેણુ
રબારણનુ ઘણિયું અનેરી ભાતનુ હોય છે.

૮-ઘતન-મારનાર
આવરદા હોયતો ઘતન પણ વાળ પણ વાંકો ના કરી શકે.

૯-ઘનકફ-વરસાદમા પડતાં કરાં
અતિશય ઠંડીમા ઘણીવાર વરસાદ સાથે ઘનકફ જોવા મળે છે.

૧૦-ઘન કવચ- જાડું પડ, આવરણ
ઘન કવચનો ધાબળો ઠંડીથી રક્ષણ કરે.

૧૧-ઘનકોદંડ-ઈન્દ્રધનુષ
ધનકોદંડ એ વર્ષાઋતુ જવાની નિશાની છે.

૧૨-ઘનઘનૌઘ-જળ ભરેલા મેઘનો સમૂહ
ઘનઘનૌઘ જોઈ ખેડૂતનુ હૈયું આનંદિત થઈ જાય.

૧૩-ઘનજ્વાલા-વીજળી
ઘનજ્વાલાના ચમકારે વરસાદ પડે એ જરૂરી નથી.

૧૪-ઘનતનવરણ- કૃષ્ણ, વાદળાના રંગ જેવા શરીરવાળું
મેઘસમાન વર્ણને કારણે કૃષ્ણનુ એક નામ ઘનતનવરણ પણ છે.

૧૫-ઘનઘોષ-વરસાદનો અવાજ
નિરવ શાંતિમાં ઘનઘોષ કદી ડરાવનારો પણ લાગે છે

૧૬-ઘનતોલ-ચાતક પક્ષી
ઘનતોલ હમેશ વરસાદની આશમા ઊંચે આભમા જોતું હોય છે.

૧૭-ઘરણી-પત્ની
ઘરણી એ તો ઘરની લાજ છે.

૧૮-ઘરઘળું-સ્ત્રી નુ પુનઃલગ્ન
કાચી વયે વિધવા થનાર સ્ત્રીનુ ઘરઘળું થવું જરૂરી છે.

૧૯-ઘરબોળ-પાયમાલી, સત્યાનાશ
આવડત ન હોય એવો ધંધો કરવાથી ઘરબોળ થાય.

૨૦-ઘર્મોદક-પરસેવો
ગરમી મા દોડવાથી શરીરે ઘર્મોદક વળે છે.

૨૧-ઘર્ઘરિકા-નાની ઘંટી
પહેલા ના જમાનામાં લોકો ઘર્ઘરિકામા અનાજ દળતાં.

૨૨-ઘસડબોરો-કામનો બોજો, વૈતરૂં, વેઠ
જમીનદાર મજૂરો પાસે ઘસડબોરો કરાવે.

૨૩-ઘસ્ત્ર-કેસર
ઘસ્ત્ર ઘૂંટવાથી તેનો રંગ અસલ પીળાશવાળો નીકળે છે.

૨૪-ઘંટાતાડન-ઘંટ વગાડવો તે
મંદિરો મા મોટી આરતી સમયે ઘંટાતાડન થાય છે.

૨૫-ઘંટાપથ-જાહેરમાર્ગ, રાજમાર્ગ
રાજસવારી નીકળે ત્યારે ઘંટાપથ શણગારવામા આવે છે.

૨૬-ઘાણ્ય-સુગંધ, મહેક
મોગરા ના ફુલની ઘાણ્ય દુરથી પણ પરખાય.

૨૭-ઘાતતિથિ-અશુભ દિવસ
ઘાતતિથિએ લોકો કોઈ શુભ કાર્ય કરતાં નથી.

૨૮-ઘામોડો-ચોરી
ઘામોડો કરી કોઈની ચીજ લઈ લેવી તે યોગ્ય ના કહેવાય.

૨૯-ઘાંયજો-વાળંદ, હજામ
ઘાંયજા પાસે વાળ કપાવનારે મૂંડી નીચી કરવી જ પડે.

૩૦-ઘાંસણી- ક્ષયરોગ
પહેલાના જમાનામાં ઘાંસણી એ ભયંકર બિમારી ગણાતી.

૩૧-ઘુષિત-પ્રખ્યાત, જાહેર કરેલું
ગાંધીજીની છબીનુ અનાવરણ ઘુષિત કરવામા આવે છે.

૩૨-ઘૂકારિ-કાગડો
ઘૂકારિ બધે કાળા જ હોય.

૩૩-ઘૂઘર-અવાજ કરવો
બળદની ડોકે બંધાતી ઘૂઘર મધુર અવાજ કરે છે.

૩૪-ઘૂઘરપાટ-ઘૂઘરી વાળી ઘાઘરી
ઘૂઘરપાટ પહેરીને ઘૂમતી કન્યા ઘરને સંગીતથી ભરી દે છે.

૩૫-ઘૂર્ણન-ગોળ ચક્કર ફરવું તે
રાસ રમતા નરનારી ઘૂર્ણન ફરે છે.

૩૬-ઘૂંચવવું-આંટી પાડી દેવી.
ઊન નો દડો એવો ઘૂંચવાયો કે છૂટો પડે જ નહિ.

૩૭-ઘૄણાલું-અનુકંપાવાળું,દયાળું
ઘૃણાલું માણસ હમેશ બધાની મદદ કરે છે.

૩૮-ઘૃણાવતી-ગંગાનદી
ગંગા નદીનુ એક નામ ઘૃણાવતી પણ છે.

૩૯-ઘૃતકેશ-અગ્નિ
ઘૃતકેશની ઝપટમાં જે આવે તે બધું સ્વાહા થઈ જાય.

૪૦-ઘૃતપક્વ-ઘીમાં પકવેલ, ઘીમાં તળેલું
આજકાલના જુવાનિયા ઘૃતપક્વ વાનગી ખાસ ખાતા નથી.

૪૧-ઘૃતહેતુ-દહીં, દૂધ, માખણ
ઘૃતહેતુ ગોપીની મટકી ફોડી ખાવાની કાનાને મજા આવતી.

૪૨-ઘૃષ્ણા-અધીરતા, અધીરાઈ
દરેક કામમા ઘૃષ્ણા સારી નહી.

૪૩-ઘોઘળો-ઘાંટો, સાદ, ભારે અવાજ
શરદી ઉધરસમા અવાજ ઘોઘળો થઈ જાય.

૪૪-ઘોટકશાલ-ઘોદાનો તબેલો
રાજાઓના ઘોટકશાલમાં ઉમદા ઘોડા જોવા મળે.

૪૫-ઘોરતમ-ખરાબમાં ખરાબ
જીવહિંસા એ ઘોરતમ પાપ છે.

૪૬-ઘોરદર્શન-ઘુવડ
ઘોરદર્શન એક પ્રકારનુ પક્ષી છે.

૪૭-ઘોષવતી-વરિયાળી
ભોજન ના અંતે ઘોષવતી નો મુખવાસ સહુને ભાવે.

૪૮-ઘ્રાણદુઃખદા-છીંક
ઘણા માણસોની ઘ્રાણદુઃખદા આજુબાજુ વાળાને ગભરાવી દે એવી હોય છે.

૪૯-ઘૂંજુ-ખીસું, ગજવું
ઘણી જાતિમાં કુળવાન વર મેળવવા વરના બાપના ઘૂંજે ધન ઘાલવું છે.

૫૦-ઘટન-પ્રયત્ન
ઘટન કર્યા સિવાય કોઈ કાર્ય પૂર્ણ થાય નહિ.

શૈલા મુન્શા.

April 28th 2013

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ;ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ…
પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણપાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છેએ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ
આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા,બલકે ભગવાનનો આભાર માનો કે આપણને ભૂલની સજા તરત નથી આપતા.
‎”ખાઈ” માં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ”અદેખાઈ” માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી…
દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે,આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે….
‎’ફૂલ ને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે;ચારિત્ર્યશીલ બનો, વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.’
પ્રસાદ એટલે શું ? પ્ર -એટલે પ્રભુ, સા -એટલે સાક્ષાત, દ -એટલે દર્શન માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ,અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાયતે મહાપ્રસાદ
‎”ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી…તોસહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો…..
પૈસા માટે તો બધા પરસેવો પડે છે !!! પર-સેવા માટે પરસેવો ના પડાય ? કશું ના હોય ત્યારે “અભાવ” નડે છે, થોડું જ હોય ત્યારે “ભાવ” નડે છે, જીવન નું આ એક કડવું સત્ય છે, બધું જ હોય ને ત્યારે “સ્વભાવ” નડે છે..
કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે..કે”ટકોરા” મારી ને મારા માટલા ને ચકાસતો આ માનવીઆટલી જલ્દી કેમ તૂટી જાય છે ?
કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા?ખાલી એ જ તો દેખાય છે જ્યારે કંઇ નથી દેખાતું..!!
તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું….
સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ,ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ ….. આટલું માનવી કરે કબુલ, તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ …
કોણ કહે છે “સંગ એવો રંગ”માણસ “શિયાળ” સાથે નથી રેહતો તોયે “લૂચ્ચો” છે, માણસ “વાઘ” સાથે નથી રેહતો તોયે “ક્રૂર” છે, અને માણસ “કુતરા” સાથે રહે છે તોયે “વફાદાર” નથી…..
‎ “માણસને પ્રેમ કરો વસ્તુને નહી,વસ્તુને વાપરો માણસને નહી”…

(મિત્ર દ્વારા ઈ-મૈલ મા મળેલ, જે સહુએ જીવનમા ઉતારવા જેવું છે.)

August 31st 2011

A Touching Farewell !! Must Read…..

It is a story worth sharing !!! 🙂

This about Mr. Zavere Poonawala who is a well-known industrialist in Pune. He had this driver named Ganga Datt with him for the last 30 years on his limousine, which was originally owned by Acharya Rajneesh.

Ganga Datt passed away recently and at that time Mr. Poonawala was in Mumbai for some important work. As soon as he heard the news, he canceled all his meetings, requested the driver’s family to await him for the cremation and came back to Pune immediately by a helicopter.

On reaching Pune he asked the limo to be decorated with flowers as he wished Ganga Datt should be taken in the same car which he himself had driven since the beginning. When Ganga Datt’s family agreed to his wishes, he himself drove Ganga Datt from his home up to the ghat on his last journey.

When asked about it, Mr. Poonawala replied that Ganga Datt had served him day and night and he could at least do this being eternally grateful for him. He further added that Ganga Datt rose up from poverty and educated both his children very well. His daughter is a Chartered accountant and that is so commendable.

His comment in the end, is the essence of a successful life in all aspects:.“Everybody earns money which is nothing unusual in that, but we should always be grateful to those people who contribute for our success. This is the belief, we have been brought up with which made me do, what I did”.
An inspiring example of humility.
This is INDIA……..!!!!!

આ ઇમૈલ મને મારા ભાઈ વિરલ તરફથી મળી અને હું આ real incidants જગતને જણાવવા માંગુ છું.

શૈલા મુન્શા. તા ૦૮/૩૧/૨૦૧૧.

February 1st 2011

જીવન-મૃત્યુ

રોજના જેવી ઍ સવાર હતી. મારે ઓફિસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપુ ઉઠાવી મે પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. આ શું? છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈને હું ચોંકી ઉઠ્યો. ઍ મારા અવસાનના સમાચાર હતા! મને ઍક્દમઆઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાત્રે સુતો હતો ત્યારે છાતીમાં થોડું દુખતુ હતું ખરૂં. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને? ‘

હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફિસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે? મારો બૉસ મારા પર ખીજાશે. અરે! બધા ક્યાં જતા રહ્યાં? અરે! મારા આ રૂમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’ ‘અરે! આટલા બધા લોકો! ચોક્કસ કાંઇક ગરબડ લાગે છે. અરે ! કોઈક રડી રહયાં છે તો બીજા ચુપચાપ ઉભા છે.’ ‘અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, ઍ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળેજ છે? અલ્યાઓ! હું મુઓ નથી જો આ રહ્યો.’

મે કરાઝીંને રાડ પાડી. પણ કોઈઍ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ ના હોય તેવું લાગ્યું. બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યાં હતા. હું ફરીથી મારા સુવાના ઓરડામાં ગયો.

મે મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું? અરે! મારી પત્ની, મારા બાળકો, મારા મા-બાપ, મારા મિત્રો – બધા ક્યાં છે?’

હું બાજુના ઓરડામાં ગયો. બધા ત્યાં રડી રહયાં હતા. ઍકમેકને આશ્વાસન આપી રહ્યાં હતા. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેવું જણાતું હતું. મારા બંને નાનકડા બાળકોને આ શું થઈ રહ્યું છે, તેની કોઈ સમજણ પડતી હોય તેમ ના લાગ્યું. પણ તેમની મા રડી રહી હતી ઍટલે તેઓ પણ રડી રહ્યાં હોય તેમ લાગ્યું.

અરે! મારા ઍ વ્હાલસૉયા બાળકોને હું બહુજ પ્રેમ કરું છું, ઍમ કહ્યાં વીના હું શી રીતે વિદાય લાઇ શકું? અરે! મારી પત્નીઍ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યાં વગર હું શી રીતે મરી શકું? ઍક વાર તો ઍને હું કહીં દઉં કે, હું તેને અત્યંત ચાહું છું. અરે! માબાપ ને તો ઍક વાર કહી દઉં, કે હું જે કાંઇ પણ હતો તે તેમના કારણે હતો. મારા મિત્રો વીના મે જીવનમાં ઘણી ભૂલો કરી હોત; ઍમ ઍમને કહ્યાં વીના હું કઈ રીતે વિદાય લઉં? ઍ લોકોને મારી ખરેખર જરૂર હતી ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી; ઍની દિલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું? જોને પેલા ખૂણામાં કોઈક છાના આંસુ સારી રહયો છે. અરે! ઍ તો ઍક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાનકડા મતભેદ અને ગેરસમજના કારણે અમે બે છુટા પડ્યાં; અને અમારા અહંને કારણે કદી ભેળા જ ના થયા.

હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દિલગીરી સમજાવવી હતી. ફરી ઍનો જીગરી દોસ્ત બની જવું હતું. મારા દોસ્ત મને માફ કરી દે.’ : ઍમ કહેવું હતું.

‘અરેરે! ઍને મારો હાથ દેખાતો નથી? ઍ કેવો નિષ્ઠુર છે? હું આટલી સરળતાથી મારું હૈયુ ઠાલવી રહ્યો છું; તો પણ હજું કેટલો અભિમાની છે? ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઇઍ. પણ ઍક સેકન્ડ. કદાચ ઍને મારો હાથ નહીં દેખાતો હોય? ભૂલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન હું તો ખરેખર મરી જ ગયો છું.’

હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું. ‘અરે! મારા ભલા ભગવાન મને થોડાક દિવસો માટે જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારા માબાપ, બાળકો, મિત્રો ઍ બધાને ઍક વખત સમજાવી દઉં કે, ઍ બધા મને કેટલા વ્હાલા છે?’ ઍટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. ઍ કેટલી સુંદર દેખાય છે? હું બરાડી ઉઠું છું: ‘ અલી ઍ! તું ખરેખર સુંદર છે.’ પણ ઍને ક્યાં મારા શબ્દો સંભળાય છે? ‘મે કદી ઍને આવા શબ્દો પ્રેમથી કહ્યાં હતા ખરા?’ હું મોટી ચીસ પાડી દઉં છું,’ અરે ભગવાન મને થોડીક ક્ષણો માટે જીવતો કરી દે.’ હું રડી પડુ છું.

‘મને ઍક છેલ્લી તક આપી દે મારા વ્હાલા. હું મારા વ્હાલસૉયા બાળકોને ભેટી લઉં. મારી મા ને છેવટનું ઍક સ્મિત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય ઍવા બે શબ્દ ઍમને કહીં દઉં. મારા બધા મિત્રોને મે જે કાંઇ નથી આપ્યું, ઍ માટે ઍમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે ઍમનો આભાર માની લઉં.’ મે ઉંચે જોયું અને ચોધાર આંસુઍ રડી પડ્યો. મે ફરી ઍક પોક મુકી. ‘અરે! પ્રભુ, મને છેલ્લી ઍક તક આપી દે મારા વ્હાલા!’….

અને….. મારી પત્નીઍ મને હળવેથી જગડ્યો અને વ્હાલથી કહ્યું, ” તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યાં છો? તમને કાંઇ થાય છે? તમને કોઈ ખરાબ સપનુ આવ્યું લાગે છે.” ઍક્દમ જ મને ભાન થયું, ‘અરે! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.’

મારા જીવનની ઍ સૌથી સુખદ પળ હતી.

કાલે જ મરણ આવવાનું હોય ઍમ વિચારીને આજે જીવીઍ તો ?

મારી નાનકડી બહેન મોના દ્વારા ઈ-મૈલ મા મળેલ જીવનની સચ્ચાઈ જે આપણે બધાએ જાણવી જોઈએ. મરણ ખરેખર ક્યારે આવશે એની કોઈને ખબર નથી તો શીદને જીવન બને એટલી મધુરતાથી ન ભરીએ. કોઈના પ્રત્યે દ્વેષભાવ રાખવાને બદલે પ્રેમ કાં ન રાખીએ.

બીજાની તો ખબર નહિ પણ હું જરૂર પ્રયત્ન કરીશ.

શૈલા મુન્શા. તા૦૨/૦૧/૨૦૧૧

.

January 17th 2011

સાત પગલા જીંદગીના

પગલા………… ……… ……… ..
(૧) જન્મ….
એક અણમોલ સોગાદ છે,
જે ભગવાનની ભેટ છે…..

(૨) બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
જે ડુબી શક્યો તે તરી ગયો છે….

(૩) તરુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે.
મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.
તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…
અને અનેક નવી મૂંઝવણો….

(૪) યુવાવસ્થા
બંધ આંખોનું એ આંધળુ સાહસ છે…
તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..
અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા
ખુદને માટે કશુ ન વિચારતા…
બીજા માટે કરી છુટવાની ખુશી છે.
કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

(૬) ઘડપણ
વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,
જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…

(૭) મરણ
જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે…
નાડીએ નાડીએ કર્મ તૂટશે..
પાપ-પૂણ્યનો મર્મ ખુલશે…
ધર્મ-કર્મનો હિસાબ થશે…
સ્વર્ગ-નરકનો માર્ગ થશે….
પોતાનાનો પ્યાર છુટશે………
અને… સાત પગલા પુરા થશે…..
માટે..
સાત પગલાની..
પાણી પહેલા પાળ બાંધો….

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.
(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!
(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે…
તે .. પોતે જ… ચાલાક છે…!
પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે
ત્યારે——–
માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો!

(૪) જો તમને…
પહેરવા કપડા, રહેવા ઘર અને..
બે ટાઇમ અન્ન મળતું હોય તો…
ઉપરવાળાનો આભાર માનજો..

તમારાથી બીજા કેટલા સુખી છે..
તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..

તે જોશો તો… તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(૫) તમે પૈસાદાર હો કે ગરીબ..
બધા અંતે મ્રુત્યુને જ વરે છે!
મુખ્ય વાત તો એ જ છે કે..
તમારી ખોટ કેટલાને પડી?
તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

મિત્ર દ્વારા ઇ-મૈલ મા મળેલ જીવન જીવવાની જડીબુટ્ટી.

December 25th 2010

સવાલ ના જવાબ વજુ કોટક દ્વારા-

(2) સવાલ-જવાબ

ચંદન (ચક્રમ) સામયિકમાં સવાલ-જવાબનો એક વિભાગ આવે છે. વર્ષો પહેલાં સ્વ. વજુ કોટક સાહેબે પણ આવી જ રીતે અજબસવાલોના ગજબ જવાબ આપ્યા હતા. ચાલો માણીએ… તેમનોલેખઃ
વજુકોટકના ગજબ જવાબો

■ સ: મારો મિત્ર કહે છે ટાઢનું વજન સવા મણ, દસશેર અને બે મુઠ્ઠી તો તે કેવી રીતે?
જ: જ્યારે ઠંડી પડે છે ત્યારે શ્રીમંત સવામણની રજાઈમાં પોઢે છેમાટે ઠંડીનું વજન સવા મણ ગણાય. સાધારણ માણસ દસશેરની રજાઈ વાપરે છે ત્યાં ટાઢનુંવજન દસ શેર થયું, અનેગરીબ માણસ ટુંટિયું વાળી બે મુઠ્ઠી બંધ કરીને સુએ છે. માટેત્યાં ટાઢનું વજન બે મુઠ્ઠી થયું.

■ સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછીઆવતી નથી.

■ સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.

■ સ: પુરુષના જીવનમાં સ્ત્રીનું સ્થાન શું?
જ: પાનના બીડા ઉપર લવીંગનું સ્થાન છે તે.

■ સ: ટાલ પડવાનાં ત્રણ મુખ્ય કારણો ક્યાં?
જ: માથાભારે બૈરી, વધુ પડતી ચિંતા અને શરીરમાં રહેલી ખોટી ગરમી.

■ સ: બાળક એટલે?
જ: લગ્નજીવનનું વ્યાજ.

■ સ: શુ ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.

■ સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.

■ સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા

■ સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.

■ સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.

■ સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક

■ સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ

■ સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.

■ સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાનીખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.

■ સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા

■ સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારોવાદ કયો?
જ: આશિર્વાદ

■ સ: તાજમહાલ શું છે ?
જ: આંસુની ઈમારત.

■ સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ

■ સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.

■ સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!

■ સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એશું મોટામાં મોટી ભૂલ નથી?

■ સ: યૌવન શું છે?
જ: યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથીલાગતી. નક્કી કરો કાંઈક અને નીકળો કાંઈક

(મિત્ર દ્વારા ઈ-મૈલ મા મળેલ લેખ)

December 15th 2010

ગુજરાતની ગરિમા

દોસ્ત, હું ગુજરાત છું.
જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

વ્હાલા, હું ગુજરાત છું.

મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ મેં નીરખ્યા છે.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!

મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું… અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અને ખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

ડાર્લંગ, હું ગુજરાત છું!

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કરતી કરચલિયાળી હથેળી છું. પંગુ મંગુની અમરતકાકી માટે ઉઠતી ચીસ મેં સાંભળી છે. સંતુ રંગીલીની તળપદી ગાળો ય મારા કાને ઉઠી છે. કાળુ અને રાજુની આંગળી ઝાલીને મેં છપ્પનિયો ભોગવ્યો છે. સરસ્વતીચંદ્રની કુમુદસુંદરીનો ઘરસંસાર ડોકિયાં તાણીને જોયો છે. જાણી જાણીને ઝેર પીધાં પછી યે મેં અમૃતાનું આચમન કર્યું છે. પ્રોફેસર કોનારક શાહ ક્યાંક લીલા અંધકારમાં જટાયુ બની મારા અક્ષરદેહ ફરતે ચકરાવો લે છે. ઉપનિષદના અસ્તિત્વનો ઉત્સવ ક્યાંક રાતદિવસના રસ્તે પ્રેમ કરતા વ્હાલમની જેમ મને જડી જાય છે. મારા ખભે શિયાળાની સવારનો તડકો કૂદાકૂદ કરે છે. હું ધરતીની આરતી ઉતારૂં છું. હું સત્યના પ્રયોગોનો ચરખો છું, અને માણસાઇના દીવાનો તણખો છું. ક્ષિતિજ અને કુમારના પીળા પડી ગયેલા પાનાઓને કોરી ખાતી ઉધઈ પણ હું જ છું.

મિયાં ફૂસકીની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી યે મારી જ હતી. બકોર પટેલના હાથ પર પડતી વાઘજીભાઈની હું તાળી છું. મેં અનુભવી છે પીળા રૂમાલની ગાંઠની ભીંસ, સેના બારનિશની ચુસ્ત છાતીએ સંપુટ આપનારી મારી હથેળીના સળ ઉઠેલા છે. નૌતમલાલની ચાંદીની મૂઠવાળી લાકડીની ઠક ઠક મને હજુ સંભળાય છે. છ અક્ષરના નામમાંથી ઉઠેલો ત્રણ અક્ષરના નામનો સોનલવરણો પોકાર મારા કાળજે ત્રોફાય છે. મોબાઈલની કોલર ટયુનમાં નયનને બંધ રાખીને ગઝલ સંભળાય ત્યાં હું રણકું છું. પન્નાભાભી જાય છે, પણ આભડછેટ જતી નથી એ વિચારે હું ઝબકું છું. ઉપેન્દ્ર ત્રિવેદી-રમેશ મહેતાનો લહેકો પણ હું છું અને કાંતિ મડિયા- સિઘ્ધાર્થ રાદેરિયાનો રંગીલો ચટકો પણ હું છું. હું તોફાની ટપુડો છું, હું તુલસી વિરાણી છું, મારે ત્યાં કંકુ ખરે ને સૂરજ ઉગે છે, અને મારી આંખે કંકુના સૂરજ આથમે છે.
હા, હું ગુજરાત છું.

મારો બર્થ ડે છે, છતાં ય મને કેમ કોઈ ગંદકીથી દૂર નિર્મળ રાખતા નથી? કેમ મારા આખા ય શરીરની નસેનસમાં પડી ગયેલા ખાડા પુરાતા નથી? હજુ ય હું ફફડું છું કે કોઈ લુખ્ખો મવાલી દાદાગીરીથી મારી કેક પરથી મીણબત્તીઓ ચોરી જશે અને પોલીસ એફઆઈઆર પણ નહીં નોંધે તો? આટઆટલી રમણીયતા પછી શું મારે રમખાણોથી જ ઓળખાવાનું છે? ચકલીને ય ન સાચવી શકનાર મારા ગુજરાતીઓ મને સાચવશે? કે પછી ગૌમાતાની વંદના કરી ગાયનું દૂધ જ ન પીવા જેવો દંભ કરશે? ક્યાં સુધી મારા ગૌરવને બદલે જ્ઞાતિના ગર્વ જ સાંભળી મારે માથું દુખાડવું પડશે? ક્યારે હું અંકિત ફડિયા કે ગીત શેઠી પરફોર્મન્સથી ઓળખાઈશ અને માત્ર એમના બેન્ક બેલેન્સથી નહિ? ક્યારે મારી આંખો ઠારનાર ઉડતા પતંગિયા જેવા મારા ખરા સ્વર્ણિમ ભવિષ્ય જેવા યુવક યુવતીઓને પ્રેમ કરવા, આનંદ કરવા, સત્ય શોધવા માટે મોકળું મેદાન અને અનંત આકાશ મળશે?

રિમેમ્બર, હું એડજસ્ટેબલ છું, ફ્લેક્સીબલ છું અને એટલે જ મોડર્ન એન્ડ પ્રોગ્રેસિવ છું. વેપાર મારી આવડત છે, નબળાઈ નથી. જવાહરલાલથી જીન્નાહના વેવાઈઓ મારી ભાષા બોલ્યા છે. મેં દેશને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ આપ્યા છે. અને આખી દુનિયામાં, આખા દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેન્કની નોટને હાથમાં પકડશે…
…ત્યારે એને એના પર એક ગુજરાતીનું બોખું સ્મિત જોવા મળશે. અત્યાર સુધીમાં મેં પેદા કરેલા સર્વશ્રેષ્ઠ ગુજરાતીનું!

જ્યાં હું છું, ત્યાં સદાકાળ ઉત્સવ છે,હું નર્મદા તીરે વિસ્તરેલો કબીરવડ છું. હું બોસ છું.

બાપુ, હું ગુજરાત છું.

ગુજરાતનુ ગૌરવ વર્ણવતો આ લેખ મિત્રના ઈ-મૈલ દ્વારા મળેલ છે.

Next Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.