શિખામણ ધીરૂદાદાની
(૯૭ વર્ષના ધીરૂદાદા, અમારી ગુજરાતી સાહિત્ય સરિતા ના માનવંતા વડીલ, અડીખમ લેખક, બધા માટે પ્રેરણાદાયી, સદા યુવાન શ્રી ધીરૂભાઈ શાહ પર લખાયેલી અછાંદસ કવિતા જે દાદા ને અર્પણ છે.)
કહેવાની વાત કોઈ રહી જાય ના,
જીવવાની રીત કોઈ વહી જાય ના!
આજ તો આજ છે, વિતેલા નો વિચાર શું!
કાલ ગઈ વીતી, ને કાલની ચિંતા શું?
બસ આજ છે જિંદગી, રળિયામણી!
છે એક ગુપ્ત રહસ્ય દીર્ઘ વયનુ કહું છું ખાસ,
દોસ્તી પુસ્તકો સંગ, તો ઉંમર નો શો હિસાબ!
લીધી કલમ હાથમાં પત્નિ વિયોગે ઢળતી વયે,
શરૂ થયો નવો અધ્યાય જીવનનો સાહિત્ય સંગ
સરળતા અને ભાવ ભક્તિ વહી કાવ્ય રૂપે,
થયો આત્મસંતોષ, પામ્યા પ્રસિધ્ધિ દેશ પરદેશ!
ચાલશે, ફાવશે અને ગમશે જો ઉતારો જીવનમાં,
એ મંત્રને, પ્રેમાળ સ્વભાવ અપાવે આદર ને માન!
છે નિરામય તંદુરસ્ત જીવન ચાર પેઢી સંગ,
ના કોઈ ફરિયાદ કદી, રહસ્ય એ સત્તાણુ વર્ષનુ!
ભરી દીધું જોમ દાદા તમે, આજ અમ જીવનમા,
મળીને તમને, મળ્યો મારગ આ જીંદગી માણવાનો.
શૈલા મુન્શા. તા ૧૧/૧૮/૨૦૧૮