પ્રકશભાઈ મજુમદાર-૭૫મા જન્મદિન પ્રસંગે
જીંદગી અને એને જોવાની દ્રષ્ટિ બધાની કેટલી નિરાળી હોય છે. માન્યતા ઓ પણ ઉમર સાથે બદલાતી રહેતી હોય છે. બાળપણ કે કુમારાવસ્થામા જ્યારે હું મારી આસપાસ કોઈ વડીલને જોતી કે એમની વાતો સાંભળતી ત્યારે લાગતું કે સીત્તેર કે પંચોતેર વર્ષે ખરે જ એ ફક્ત તન થી જ નહિ પણ મન થી પણ વૃધ્ધ થઈ ગયા છે. એમને કાકા કે દાદા કે કાકી કે દાદી કહી બોલાવતા જરાય અજુગતું નહોતુ લાગતું. કદાચ એમા એમના ખુદના વર્તન નો પણ મોટો ફાળો હોઈ શકે. ખાસ તો ભારતમાં તેઓ ખુદ પોતાને વૃધ્ધ માની ને “બસ હવે તો દેવ દર્શન કરી ભગવાન નુ નામ લઈ જીંદગી પુરી કરવાની” જેવા વિચારો દર્શાવતા. બધાને આ વાત લાગુ પડે એ જરૂરી નથી પણ આ પ્રવાહ વધુ જોવા મળતો.
આ વાત કરવાનુ મન થયું એનુ કારણ આજે આપણે પ્રકાશભાઈની ૭૫મી વર્ષગાંઠ ઉજવવા ભેગા થયા છીએ. પ્રકાશભાઈ મનથી જ નહિ તનથી પણ જુવાન લાગે છે એમાં એમના સંગીત પ્રત્યેના અને ચોક્કસ ભારતીબહેનના પ્રેમનો મોટો ફાળો છે. કોઈપણ વ્યક્તિ સદા જુવાન રહી શકે છે જો એ કોઈ હોબી, કોઈ શોખ ને અપનાવી લે જે એના મનને આનંદિત રાખે. મને ખુબ આનંદ એ વાતનો છે કે પ્રકાશભાઈએ પોતાના મનગમતા શોખ દ્વારા જીવન જીવી ૭૫ વર્ષે પણ સદાબહાર મનથી જુવાન રહી જીવન જીવી રહ્યા છે.
પ્રકાશભાઈ અમારી ગુજરાતી સાહિત્ય સરિતાના વોઈસ ઓફ મુકેશ તરીકે ઓળખાય છે, હમેશ દરેક બેઠકમાં એમના મધુર સ્વરે ગુજરાતી ગીત, ગઝલ સંભળાવતાં હોય છે. હમેશ શાંત અને સ્મિતવદન પ્રકાશભાઈ સદા સહુની મદદ કરવા તત્પર.
નાની હતી ત્યારે કદાચ સીત્તેર પંચોતેર વર્ષની વ્યકતિ મને વૃધ્ધ લાગતી હશે પણ આજે જ્યારે હું એ વયે પહોંચી છું ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ એ તો નજર નજર નો ભેદ છે. માનો તો હમેશ જુવાન નહિ તો કાયમ ઘરડાં.
પ્રકાશભાઈ અને ભારતીબહેનને મારી કાવ્ય પંક્તિઓ અર્પણ આ વરસાદી મોસમમાં
વરસાદી આ મોસમમાં, ચાલ વરસતા જઈએ,
ને ભીની એ મોસમ સંગ, ચાલ ને ભીંજાતા જઈએ.
ધરતી નભ બન્યા એકાકાર,ગરજંતા એ મેઘ-મલ્હારે,
સખા થઈ એકાકાર બસ તુ ને હું આ વરસાદી મોસમે,
ચાલ ને મનભર વરસતા જઈએ.
શૈલા મુન્શા
તા.૨૮/૧૧/૨૦૨૦