April 26th 2021

શનિવાર… આઠમી ઓગસ્ટ ૨૦૧૫ અહેવાલ -શ્રી નવીનભાઈ બેંકર

હ્યુસ્ટનમાં, રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી , મનોરંજક સાંજ

અહેવાલ- શ્રી. નવીન બેન્કર

શનિવાર… આઠમી ઓગસ્ટની એ ખુશનુમા સાંજ….

એ સાંજ હતી ગઝલ અને કવિતાના અભિસારની…

એ સાંજ હતી હ્યુસ્ટનના સાહિત્યપ્રેમીઓના હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની…

આઠમી ઓગસ્ટ ૨૦૧૫ ને શનિવારની સાંજે, સૂગરલેન્ડ,ટેક્સાસ ના ટી.ઈ. હરમન સેન્ટર ખાતે, ગુજરાતી સાહિત્ય સરિતાના ઉપક્રમે, સુરતના ખ્યાતનામ કવિ, હાસ્યકાર, નાટ્યકાર, ગીતકાર અને ગઝલકાર ડોક્ટર રઈશ મનીઆરનો એક યાદગાર કાર્યક્રમ, લગભગ ૨૫૦ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં ઉજવાઇ ગયો હતો.

થોડી રંગત, થોડી ગમ્મત, કવિતાની સંગત, હાસ્યની હેલી અને ગઝલના ગુલદસ્તાએ મઢેલી વાતો લઈને આવેલા શ્રી. રઈશ મનીઆર ગુજરાતના વર્તમાન સમયની એક વિલક્ષણ પ્રતિભા છે. કુલ અઢાર જેટલા પુસ્તકો અને બાર જેટલા નાટકો લખીને તેમણે પ્રથમ પંક્તિના કવિ, હાસ્યકાર અને નાટ્યકાર તરીકે નામના મેળવી છે. પોતે બાળમનોવિજ્ઞાની છે. પેરેન્ટીંગ વિશેના લેક્ચર્સ અને સેમિનારો પણ કરે છે. ખુદ જાવેદ અખ્તર અને ગુલઝારજી સાથે કાવ્યપાઠ કરવાની તેમને તક મળી છે. કૈફી આઝમી વિશેનું, તેમના લખેલા પુસ્તકનું વિમોચન, આ સદીના મહાનાયક શ્રી. અમિતાભ બચ્ચનને શુભ હસ્તે થયું છે. એમના ‘લવ યુ જિન્દગી’, ‘અંતીમ અપરાધ’, અને અનોખો કરાર જેવા નાટકો માટે સતત ત્રણ વાર શ્રેષ્ઠ નાટ્યલેખક તરીકે પારિતોષિક પણ એનાયત થયેલા છે. રણબીરસિંગ અને દીપિકા પદુકોણ અભિનીત ફિલ્મ ‘રામલીલા’ નું પેલું ખુબ જાણીતું ગીત પણ શ્રી. મનીઆરનું લખેલું છે. આઠેક જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે. ગુજરાતી વર્તમાનપત્રોમાં તેઓશ્રી. કોલમો પણ લખે છે.

સાંજના ટકોરે, કાર્યક્રમની શરૂઆત , ભાવનાબેન દેસાઇના પ્રાર્થનાગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ, ડોક્ટર કોકિલાબેન પરીખે રઈશ મનીઆરનો, તેમની લાક્ષણિક શૈલિમાં પરિચય આપ્યો હતો. અને આવકારના બે શબ્દો કહ્યા હતા.

સોહામણું વ્યક્તિત્વ અને મીઠી જબાન ધરાવતા આ યુવાન કવિ જો એકલી કવિતાઓ અને ગઝલો જ ઠપકારે તો કદાચ શ્રોતાઓ કંટાળી જાય એવા ખ્યાલથી તેમણે ત્રણ કલાકના આ સમગ્ર કાર્યક્રમના જાણે કે બે ભાગ પાડી નાંખ્યા હતા. પ્રથમ ભાગમાં, થોડી રંગત, થોડી ગમ્મત અને હાસ્યની હેલી અંતર્ગત શરૂઆત એકદમ હળવી વાતો અને જોક્સથી કરી હતી. ગુજરાતની શાળાઓમાંથી ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે એ અંગે ખેદ પ્રકટ કર્યો. અંગ્રેજી મીડીયમમાં ભણતા બાળકોની ગુજરાતી માતાઓ કેવું અંગ્રેજી મિશ્રિત ભેળસેળિયું ગુજરાતી બોલે છે એના રમુજી કિસ્સાઓ કહ્યા અને શ્રોતાઓને ખુબ હસાવ્યા. ગુજરાતી ભાષા એની સમૃધ્ધી ખોઇ બેઠી છે એના રમુજી કિસ્સા કહ્યા.આપણી જુની કહેવતોના ગુજરાતી ભાષાંતરની રમુજે શ્રોતાઓને ખુબ હસાવ્યા. પોતાની જાણિતી હાસ્યસભર કવિતાઓ પણ રજૂ કરી. કવિ અને બહેરા શ્રોતાની જોક્સ…સુરેશ દલાલ અને તરલા દલાલની જોક્સ…કબરમાં ફાફડા-ચટણી લઈને પોઢી જવાનું હાસ્યરસિક કાવ્ય…લગ્ન તથા શુભપ્રસંગોએ વાડી ભાડે આપવાની જાહેરાતની મજાક…વિવાહ અને વિવાદ તથા MEAT and EGG ( મીત અને ઇન્દુ ) વાળી જોક્સ…’ પરણીને પસ્તાય તો કે’તો ન’ઇ’ વાળી જાણીતી હઝલ…ને એવી બધી, ઘણી હાસ્યપ્રધાન વાતોએ ,શ્રોતાઓની તાળીઓની ખંડણી તેમણે મેળવી હતી.

કાર્યક્રમના બીજા દૌરમાં, શ્રી. રઈશભાઇએ શેર, શાયરી, કવિતા, ગઝલ, હઝલ, અને નઝમ ની મહેફિલ માંડી હતી.

ઇશ્ક હૈ કતરા કિ દરિયામેં ફના હો જાના

દર્દકા હદસે ગુજરના હૈ કિ દવા હો જાના…….

કવિતા એ નિરાલંબી છે. એને કાગળ, કલમ કે તબલા-પેટી ન જોઇએ…

ગાલિબ, મરીઝ જેવા ગઝલકારોની રચનાઓની અજાણી વાતો સાથે પોતાના કાવ્યો અને ગઝલોની પણ મહેફિલ માંડીને શ્રોતાઓને મુગ્ધ કરી મુકયા હતા.

બે દિવસ પહેલાં, છ્ઠ્ઠી ઓગસ્ટે, ડોક્ટર કોકિલાબેનના નિવાસસ્થાને મળેલી એક અનૌપચારિક ગઝલ વર્કશોપમાં, બે કલાક સુધી , ત્રીસેક જેટલા સર્જકો અને ગઝલનું સ્વરૂપ અને બાંધણી સમજવાની જિજ્ઞાસા ધરાવતા સુજ્ઞ સાહિત્યપ્રેમીઓ સમક્ષ પણ રઈશભાઈએ, પાવર પોઇન્ટ પ્રોજેક્શનની મદદથી, ગઝલના સ્વરૂપ અંગે વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય આપ્યું હતું. ‘ કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ’ જેવી જાણીતી નઝમના બંધારણ અંગેની તેમ જ આપણી ઘણી હિન્દી ફિલ્મોના જાણીતા ગીતો કયા રાગ પર લખાયા છે એની ‘લગાગા…લગાલગા’ જેવી ટેક્નીકલ ભાષામાં સમજ આપીને, શ્રોતાઓને પણ એક ઢાળ પરથી એ ફિલ્મી પંક્તિઓ પર લઈ જઈને ગાતા કર્યા હતા એ અનુભવ અદભુત હતો. ગઝલકાર તરીકે ત્રણ કાવ્યસંગ્રહો ઉપરાંત ગઝલના સ્વરૂપ વિશેની સમજ આપતા પુસ્તકો, ‘ગઝલના રૂપ અને રંગ’, તેમજ ‘ગઝલનું છંદોવિધાન’ લખ્યા છે. આ પુસ્તકો હવે યુનિવર્સિટીમાં રેફરન્સ બુક તથા ટેક્સ્ટ બુક તરીકે વપરાય છે. શાયરશિરોમણી મરીઝ વિશેનું, ‘મરીઝ-અસ્તિત્વ અને વ્યક્તિત્વ’ તેમજ, ચુનંદા ઉર્દુ શાયરોનો, ગુજરાતીમાં આસ્વાદ કરાવતું પુસ્તક, ‘માહોલ મુશાયરાનો’ જેવા પુસ્તકો ગઝલરસિકોમાં ખુબ લોકપ્રિય નીવડ્યા છે.

ત્રણ કલાક ચાલેલો આ કાર્યક્રમ સાંજે સાત વાગ્યે પુરો થયા પછી,ખીચડી, કઢી, મસાલાના થેપલા અને મોહનથાળની મજા માણીને સૌ વિખરાયા ત્યારે જાણે કે પુનમની રાતે ઉછળી ગયેલો સાગર અધવચાળે જ અચાનક એના વિપુલ જલરાશિ સાથે અધ્ધર જ સહેમીને થંભી ગયો ન હોય !

કાર્યક્રમની સફળતા માટે, સંસ્થાના કો-ઓર્ડીનેટરો શ્રી. નિખીલ મહેતા અને ધવલ મહેતા, ખજાનચી શ્રી. નરેન્દ્રભાઈ વેદસાહેબ, માનનીય સલાહકાર કવયિત્રી શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, ડોક્ટર કોકિલાબેન પરીખ. શ્રી. પ્રશાંત મુન્શા, કવયિત્રી શૈલાબેન મુન્શા, નિતીન વ્યાસ, દીપક ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, શ્રી. ફતેહ અલી ચતુર તથા ‘સાસ’ ( સાહિત્ય સરિતા ) ના અન્ય નામી-અનામી સભ્યોએ તનતોડ મહેનત કરી હતી.

શ્રી. રઈશભાઇ મનીઆર હ્યુસ્ટનના એરપોર્ટ પર ઉતર્યા અને હ્યુસ્ટનથી વિદાય થયા ત્યાંસુધી તેમની સાથે ને સાથે રહેનાર અને તેમની આગતાસ્વાગતાથી માંડીને તેમના ટ્રાન્સ્પોર્ટેશન સુધીની જવાબદારી ઉઠાવનાર, રઈશભાઇના અંગત મિત્ર એવા શ્રી. વિશ્વદીપભાઇ અને રેખાબેન બારડને તો કેમ ભુલાય ? થેન્ક યુ, વિશ્વદીપભાઇ !

લખ્યા તારીખ-૧૯ ઓગસ્ટ ૨૦૧૫- રઈશ મનીઆરનો જન્મદિવસ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.