March 23rd 2023

મા ની આશિષ!

ઝુરતી આંખો આજે પણ ને,
નીતરતા આંસુ આજે પણ!

રહેતી જે છબી દિલના ખુણે,
હર પળ તુજને શ્વસુ આજે પણ!

ક્યાંથી લાવું એ વહાલભર્યો સ્પર્શ,
નથી પાસે તોય, શોધું આજે પણ!

હતી પાસે તો કરી ના માવજત,
શરમથી મુજને કોસું આજે પણ!

પાલવે બાંધી તુજ વહાલની પોટલી
માવડી નત મસ્તકે વંદુ આજે પણ!

શૈલા મુન્શા. તા. મે ૭/૨૦૧૫

February 28th 2023

સ્વતંત્રતા કે સ્વચ્છંદતા!!


શું છે સાચું સ્ત્રી સ્વાતંત્ર્ય??

સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્વછંદતા, આ બે શબ્દો વચ્ચે બહુ જ સૂક્ષ્મ લક્ષ્મણરેખા છે. સ્વતંત્રતા ઘણી વસ્તુમાં હોઈ શકે. ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં ઘણી બાબતો પર એ માટે લડાઈ, સત્યાગ્રહ કર્યા અને એમાં સફળ પણ થયા. ભારતની આઝાદી માટેના પગરણના એ બીજ ત્યાંજ વવાયા. ગાંધીજીએ ભારત આવી એ જ આંદોલન ગુલામી દૂર કરવા, અંગ્રેજો સામે લડવા સત્યાગ્રહનુ શસ્ત્ર અપનાવ્યું અને દેશને આઝાદી પણ અપાવી, પણ આજના સત્તાધારીઓ વિના તકલીફે મળેલી સ્વતંત્રતાનો, ગાંધીના નામને વટાવવાનો ઉપયોગ જે રીતે કરે છે એને સ્વતંત્રતા કહેવી કે સ્વછંદતા એ એક અલગ જ ચર્ચાનો વિષય છે.
સ્ત્રી સ્વાતંત્ર્યની વાત પર મને હમણાં જ મારી સખી સાથે થયેલ વાતચીત યાદ આવી ગઈ. સુધાબહેનનો ડલાસથી ફોન હતો, વાત કરતી વખતે એમના અવાજની ગમગીની છાની ના રહી. મારાથી પૂછાઈ ગયું કે વાત શું છે સુધાબહેન? એમની વાત સાંભળી દુઃખ થયું અને સાથે વિચાર પણ આવ્યો આધુનિક કહેવાતી સ્ત્રીની સમજ અને સહનશીલતા પર.
એમની પૌત્રીના લગ્ન બે વર્ષ પહેલાં એની પોતાની પસંદગીના છોકરાં સાથે જ થયાં હતા. હવે એને છોકરો માવડિયો લાગે છે અને છૂટાછેડા લેવા છે, કારણ પૂછ્યું તો કહી દીધું કે “હું સરસ નોકરી કરું છું, સારો પગાર છે, હું શા માટે એની મમ્મીના નખરાં સહન કરું?
સુધાબહેન બિચારા જીવ બાળતાં હતા કે અમારા ઉછેરમાં શું કમી રહી ગઈ, જરા સરખી ધીરજ કે સમાધાનનો તો વિચાર જ નથી કરતી આજની દીકરીઓ. આપણે કાંઈ દીકરીને દુઃખના દરિયામાં ધકેલવા નથી માંગતા પણ ઉતાવળિયું પગલું ભરતાં પણ રોકી નથી શકતા એ કમનસીબી છે આપણી. આજની દીકરીઓ માટે લગ્નનુ કોઈ મહત્વ જ નથી કે નથી જરા પણ સહન શક્તિ.
એક બીજો દાખલો,
મારી એક સખી જેને આપણે સીમા તરીકે ઓળખશું. એના લગ્ન લગભગ ત્રીસ વર્ષ પહેલાં થયા હતાં અને માતા પિતાની સંમતિથી થયા હતાં. એનો પતિ પણ માવડિયો હતો. એકનો એક દીકરો અને વિધવા માતા એટલે નાનપણથી મા ની મરજી પ્રમાણે જીવે. સીમા પરણીને આવી અને થોડા વખતમાં સમજી ગઈ પણ ધીરજથી પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન શરુ કર્યો. કોઈ ખાસ ફરક ના પડ્યો અને વરસમાં સીમાએ દીકરીને જન્મ આપ્યો. દીકરીનો જન્મ થતાં જ સાસુનો ત્રાસ વધી ગયો અને જાણે દીકરીને જન્મ આપી સીમાએ મહાપાપ કર્યું હોય એવો વર્તાવ સાસુ અને સીમાના પતિમાં દેખાવા માંડ્યો. માતા પિતાની આબરુ સાચવવા સીમાએ થાય એટલું સહન કર્યું. દીકરાની આશાએ અને ખાસ તો પતિની ઈચ્છાને વશ થઈ સીમા ફરી ગર્ભવતી થઈ.
સીમાને પિયર સુવાવડ કરવાં મોકલતાં પહેલાં સાસુએ ચોખ્ખી ધમકી આપી “જો ફરી પથરો જણ્યો છે તો સાસરે પાછી ના આવતી” પતિની પણ જાણે મુક સંમતિ હતી. ફરી દીકરીનો જન્મ થયો અને સીમાએ સામેથી જ છૂટાછેડા લેવાનો નિર્ણય લઈ લીધો.
સીમા સ્વતંત્ર થઈ પણ એણે પગભર થઈ એ સ્વતંત્રતાનો ગેરલાભ લીધાં વગર સ્વમાનભેર જીવન વિતાવ્યું. દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો. આજે બન્ને દીકરીઓ પણ સરસ હોદ્દા પર છે, સરસ કમાણી છે અને સ્વતંત્રતાથી જીવે છે. બન્નેનો લગ્નજીવન પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. સ્વતંત્ર છે પણ સ્વછંદ નથી. પુરુષમિત્રો છે પણ સમાનતાની ભાવના સાથે પોતાની મર્યાદા લાંઘ્યા વગર સમાન સ્તરે મૈત્રી રાખી શકે છે.
નાની વયે વિધવા થનાર એવી ઘણી સ્ત્રીઓને આસપાસમાં, કુટુંબમાં જોઈ છે જેમણે આત્મનિર્ભર થઈ પોતાના સંતાન જ નહિ પણ સાસુ સસરાં કે કુટુંબની, ઘરની વ્યક્તિની ખેવના, ચાકરી, જવાબદારી એક દીકરો બની ઉપાડી લીધી છે.
એવી પણ કેટલીય યુવતીઓને જોઈ છે જેમણે સ્વતંત્રતાના નામે સહેલાઈથી સ્વછંદતામાં સરી પડતી જોઈ છે. દુનિયા હરણવેગે પ્રગતિના પંથે આગળ વધતી જાય છે વિજ્ઞાન, ટેક્નોલોજી જાણે દિવસે ના વિકસે એટલી રાતે વિકસે એમ કહેવાય છે. પચાસ વર્ષ પહેલાં મોબાઈલ વિશે કોઈ જાણતું નહોતું અને આજે નાના બાળકને પણ મોબાઈલ વગર ચાલતું નથી. દુનિયા જાણે આપણી મુઠ્ઠીમાં સમાઈ ગઈ છે અને હવે તો સ્માર્ટ વોચ દ્વારા આપણા કાંડે આવી ગઈ છે, એ પરિસ્થિતિમાં દેખાદેખી, સ્પર્ધા, આધુનિક દેખાવાની ઘેલછામાં પોતે પુરુષ સમોવડી છે એ દેખાડવાં યુવતીઓ એવા પગલાં ભરે છે જે જુની પેઢીને જુની આંખે નવા તમાશા જેવું લાગે છે.
લગ્ન પ્રથા જે એક સામાજિક સ્તંભ ગણાતી અને એક દીકરી જ્યારે પરણીને પતિગૃહે જતી તો એ બન્ને કુળને તારનારી કુળવધૂ કહેવાતી. સંસારમાં આવતી ઘણી તકલીફોથી સહુની રક્ષા કરતી, કુટુંબની આબરુ સહુની રખેવાળી કરતી. ઘરની પરિસ્થિતિ સાધારણ હોય એમાં પણ મહેમાનોને સાચવી લેવા, બાળકોને ભણાવવા, એવા તો કેટલાય કામ સ્ત્રી વગર બોલે ચુપચાપ કરતી જાય છે. સ્વતંત્રતા તો એને પણ હોય છે, પણ એ એના ઉંબરાનુ સુરક્ષાકવચ બની જાય છે. ઘરની માન મર્યાદા એ ઉંબરો ઓળંગી ના જાય એનુ એ સતત ધ્યાન રાખે છે.
સીતાએ એક ડગલું ભરી જ્યાં લક્ષ્મણરેખા પાર કરી એક સોનાના હરણ માટે, એમાંથી આખું રામાયણ રચાયું, સાથે સાથે એ જ સીતાના સતીત્વના કારણે રાવણ એને સ્પર્ષ પણ ના કરી શક્યો.
સ્ત્રીનુ સ્વત્વ એનુ સ્વાતંત્ર્ય છે એ હમણાં સોની ટીવી પર આવતી સિરિયલ “પુણ્યશ્લોક અહિલ્યા બાઈ”માં બહુ સરસ રીતે દર્શાવ્યું છે. સચ્ચાઈ માટે લડવું પણ સાથે કુટુંબની ગરિમાનો ખ્યાલ રાખવો અને સાચી વાત પુરવાર કરી આપવી એ સાચી સ્ત્રી સ્વતંત્રતા છે.
પાશ્ચાત્ય સમાજનો એક પવન એક રીતભાત આજે ભારત જેવા દેશમાં પણ બહુ ઝડપે ફેલાવા માંડ્યો છે, અને એ છે લીવ ઈન રિલેશનશીપ; એટલે કે લગ્ન વગર યુવક યુવતી સાથે રહે. ફાવે તો ઠીક નહિ તો છૂટાં પડી જવાનુ. સાથે રહેતાં બાળક પણ જન્મે તો બન્ને સાથે મળી એનો ઉછેર કરે પણ લગ્ન તો મન થાય તો જ કરે. લગ્ન કરે તો પણ યુવતી પોતાની અટક ના બદલે. પિતાની અટક ચાલુ રાખે. બાળકના નામ સાથે પિતાનુ જ નામ જોડાય એ જરુરી નહિ. મીડલ નેમ દાદાનુ પણ લગાડે, કોઈ પોતાને ગમતી જાહેર ક્ષેત્રની વ્યક્તિનુ પણ લગાડે આ બધી વાતોને સ્વતંત્રતા સાથે શું લાગે વળગે એ મને સમજાતું નથી.
પાશ્ચાત્ય દેશોમાં લગ્ન વગર સાથે રહેવું, જરા સરખી તકરારમાં છૂટાછેડા લઈ લેવા, બીજે પરણવું એ બહુ સહજ વાત છે. પચાસ વર્ષની ઉંમરે હું ભારતથી અમેરિકા કાયમી વસવાટ કરવા આવી અને શાળામાં શિક્ષિકા તરીકે નોકરીની શરુઆત કરી ત્યારે અમુક શબ્દોની મને સમજ નહોતી પડતી.
દા. ત. બાળકો સાથે વાત કરતાં પોતાના ભાઈ કે બહેનની ઓળખાણ આપે તો એમ કહે કે he is my half brother, or half sister. introduce mother as, she is my father’s wife. આ બધું સાંભળી મને નવાઈ લાગતી કે આ half brother શું છે?? પછી ખબર પડી કે એના પિતાએ બીજા લગ્ન કર્યાં અને જે દીકરો જનમ્યો એ સાવકો ભાઈ કહેવાય. સાવકી મા કહેવાને બદલે she is my father’s wife થી જ ઓળખાણ આપે. પરિસ્થિતિ એવી છે કે અહીં ચાલીસ પચાસ વર્ષથી વસતાં ભારતીય કુટુંબના દીકરા દીકરી વગર લગ્ને સાથે રહેતા હોય અને પછી જ્યારે સંતાનો કહે ત્યારે પાછાં માતા પિતા લાખો ડોલર ખર્ચી ધામધૂમથી લગ્ન કરાવી આપે. અરે! ભાઈ લગ્નની હવે જરુર જ શું છે!! દીકરી હોય તો પાછાં શોખથી અને ગર્વથી કહે “અમે તો દીકરીને બધી છૂટ આપી છે એની સ્વતંત્રતા પર કોઈ આંચ ના આવવી જોઈએ.” એ દીકરી વર્ષ પછી આવીને કહે પપ્પા હું એ માણસ જોડે હવે રહી શકું એમ નથી, હું મારી જિંદગી મારી રીતે જીવવા માંગુ છું, તો પપ્પા પણ કોઈ તપાસ કર્યાં વગર, કોનો વાંક છે એ જોયા વગર હા કહી દે. ખરેખર તો હા કહેવી જ પડે, કારણ આજની યુવા પેઢી પોતાની મરજીના જ માલિક હોય છે. અહીં સ્વતંત્રતા છે કે સ્વચ્છંદતા એ જ સમજાતું નથી!!
આજ કાલ સ્વતંત્રતાને નામે ધનિક નબીરાઓમાં એક નવી ફેશન જોવા મળે છે અને તે પણ કમનસીબે ભારત જેવા સાંસ્કૃતિક દેશમાં વધારે. આજકાલ દારુ પીવો, ડ્રગ્સ લેવું, પૈસાથી જુગાર રમવો એ હાઈ સોસાયટીમાં જાણે પ્રતિષ્ઠાનુ પ્રતિક બની ગયું છે. રમતો પણ એવી હોય કે પાંચ છ પુરુષો ગોળાકારે બેઠા હોય એમની પત્નીઓ હાથમાં વાઈનના ગ્લાસ લઈ સાથે બેઠી હોય અને વચ્ચે એક ખાલી બોટલ મુકી હોય સાથે એક કારની ચાવી હોય. બોટલને ગોળ ફેરવે થંભીને જેની સામે બોટલનુ નાળચું આવે એ નબીરો જેની ચાવી હોય એની પત્ની એક રાત પોતાની સાથે લઈ જઈ શકે. એની ખુદની પત્નીને પણ કોઈ વાંધો ના હોય અને આવી ભદ્દી મજાકને નામ આપે આધુનિકતા ને સ્વતંત્રતાનુ.
યુવા પેઢી અને ખાસ ફિલ્મી નબીરાઓના નામ એમાં યુવતીઓ પણ શામેલ હોય, આજકાલ ક્રુઝ પાર્ટી અને રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેવા માટે ખૂબ ચમકે છે, બાકી હોય તેમ મીડિયા એ વાતને ખૂબ ઉછાળે છે, ને દુઃખની વાત એ છે કે પાછું આખું ફિલ્મ જગત આ વાતને ખરાબ વર્તન કહેવાને બદલે નાદાન છે કહી પંપાળે છે. લાખો રુપિયા ખર્ચી એમને છોડાવવાનો પ્રયત્ન કરે છે.
એક તરફ રોજ ગભરુ બાળાઓ ઉપર બળાત્કારના કિસ્સા વધતાં જાય છે, સમાજ હીનતાની ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને હેવાનિયતનો શિકાર બનેલી યુવતી જો નિડરતાથી બળાત્કારી પર કેસ કરે તો સમાજ, વકીલો એના આત્માને છલની કરે એવા સવાલો પૂછી એનુ જીવવું દુર્ભર કરી દે છે. એના સ્વમાનને એટલું તહસ નહસ કરી દે છે કે એના માટે સ્વતંત્રતાથી જીવવું દુષ્કર કરી દે છે. કોઈક જ હિંમતભેર સમાજની અવહેલનાનો સામનો કરી સ્વમાનભેર જીવી શકે છે અને કેટલીય બિચારી આત્મહ્ત્યા કરી બેસે છે.
સ્ત્રીની દુશ્મન ઘણીવાર સ્ત્રી જ બને છે. આજે જગતભરમાં જે દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે એમાં મહત્વનો ભાગ ઘણીવાર એક સ્ત્રી જ ભજવતી હોય છે. ગરીબીનો શિકાર બનેલ કુટુંબો જાતે ઘણીવાર પોતાની દીકરીનો સોદો કરતાં હોય છે. કેટલીવાર નોકરીની લાલચે યુવતી પોતે આવા કપટનો ભોગ બનતી હોય છે. સ્વતંત્ર જીવન જીવવાની ઘેલછામાં ક્યારે એ સ્વછંદતાના માર્ગે આગળ વધી જાય છે એનુ ભાન ખૂબ મોડું થાય છે
આપણો ઈતિહાસ સાક્ષી પૂરે છે કે સાતંત્ર્ય ખાતર રાણી લક્ષ્મીબાઈ જેવાં એ જાનની કુરબાની આપી અને સતી રાણકદેવીએ સિધ્ધરાજ જયસિંહને મ્હાત કર્યો. આપણો દેશ આવી વિરાંગનાઓથી ભરેલો છે.
સ્ત્રી એ સૃષ્ટિનુ સહુથી ઉત્તમ સર્જન છે. દરેક કાળમાં દરેક સમયે એનુ સ્ત્રીત્વ ઝળકી ઉઠ્યું છે. એ ધારે તો સર્જન પણ કરી શકે અને ધારે તો વિનાશ પણ.
વોટ્સેપ પર મળેલો એક સંદેશો જગતની સર્વ સ્ત્રીને સમર્પિત કરતાં

*woman*. . . . . . . . .

When God created the woman He worked late on Friday …….

An angel came and asked. “Why spend so much time on it?”

Replied the lord. “Did you see all the specifications I had to meet in order to design it?”

● She must function in all kinds of situations.
● She must be able to adopt several children at once.
● Have a hug that can heal anything from a bruised knee to a broken heart.
● She must do it all with just two hands.
● She heals herself when she is sick and can work 18 hours a day.

The angel was impressed “Only two hands ….. impossible!

And this is the standard model? ”

The angel approached and touched the woman.
“But you made her so soft, Lord.”
“She’s soft,” God said.
“But I made her strong. You can not imagine what she can endure and overcome”

“Can she think?” Asked the angel …
Replied the lord. “Not only can she think, she can reason and negotiate.”

The angel touched her cheek ….
“God, this piece seems to be leaking! You’ve put too much of a burden on it.”
“She’s not leaking … it’s a tear.” The Lord corrected the angel …

“What is it for?” Asked the angel ……
Said the lord. “Tears are her way of expressing her sorrow, her doubts, her love, her loneliness, her suffering and her pride.” …

It made a great impression on the angel,
“God, you’re a genius. You thought of everything.
A truly wonderful woman ”

Said the Lord. “Indeed she is.
■ She has the power to amaze a man.
■ She can handle troubles and carry heavy loads.
■ She holds happiness, love and opinions.
■ She smiles when she feels like screaming.
■ She sings when she feels like crying, cries when she’s happy and laughs when she’s scared.
■ She fights for what she believes in.
■ Her love is unconditional.
“Her heart breaks when a relative or friend dies, but she finds the strength to continue living.”

The angel asked: So she is a perfect being?
The Lord replied: No. It has only one drawback.
“She often forgets what she’s worth.”

કેટલી સાચી વાત કરી કે સ્ત્રી ઘણીવાર ભુલી જાય છે કે પોતાનુ મૂલ્ય શું છે. પોતાનુ સ્વ સાચવી મક્કમ પણે, નિડરતાથી પોતાની વાત રજૂ કરવી પણ સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેની બારીક લક્ષ્મણરેખાનુ ઉલ્લંઘન ક્યારેય ના કરવું એટલી સમજ આવી જાય તો એક સ્ત્રી ફક્ત પોતાની જ નહિ જગતની ઉન્નતિ કરી શકે. આજે ભારતમાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” એ જાહેરાતો ખૂબ સાંભળવા મળે છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ પોકાર કર્યો છે અને એ સત્ય છે કે જો દીકરીઓને ભણતર મળશે તો આપોઆપ સમાજ સામે નિર્ભિક રીતે લડવાનો આત્મનિર્ભર થવાનો સાચા અર્થમાં પુરુષ સમોવડી થવાનુ ગૌરવ પ્રાપ્ત કરી શકશે.
સાચું નારીત્વ સ્વમાનભેર સ્વાતંત્ર્યથી જીવવામાં છે, સ્વચ્છંદતાનો મુખવટો પહેરી કોઈ હરિફાઈમાં ભાગ લેવામાં નહિ!!!

શૈલા મુન્શા તા. ૦૨/૨૮/૨૦૨૩
www.smunshaw.wordpress.com

February 24th 2023

હાઈકુ

૧ – ખોતર્યા કરે,
વહેતું એ ઝરણું;
દર્દ ધરાનુ!

૨ – ઝીલે ઝરણું,
ખાલીપો પર્વતનો;
આદિ અનાદિ!

૩ -ગિરિ શૃંગથી,
ઝરમર ઝરતું;
હસે ઝરણું!

૪ – શીખવતું શું?
એ વહેતું ઝરણું,
વહેતા રે’વું!

શૈલા મુન્શા તા. ૦૧/૨૨/૨૦૨૩

December 31st 2022

ગુજરાત દર્શન- પ્રવાસ વર્ણન તા.૨૨/૧૨/૧૯૯૩ ભાગ પહેલો.

ગડઢા સ્વામિનારાયણ મંદિર

ડિસેમ્બર મહિનો આવે અને લગભગ ૨૯ વર્ષ પહેલાં કરેલો ગુજરાત પ્રવાસ યાદ આવે. હમણા કબાટના ખાના સાફ કરતાં એક જુની નોટબુક હાથમાં આવી જેમાં આ પ્રવાસની વિગતો લખાઈ હતી અને એ સ્મરણોને લખાણમાં મુકવાનુ મન થયું.
તા. ૨૨/૧૨/૯૩ બુધવાર.
પહેલીવાર ફક્ત અમે બે ભાઈઓનુ કુટુંબ આ પ્રવાસના સહભાગી બન્યા. હું પ્રશાંત, અમારા બે બાળકો શ્વેતા અને સમીત, મારા દિયર દેરાણી કિરણ અને ગીરા અને એમનો દીકરો કુણાલ એમ સાત જણની સવારી ગુજરાતના પ્રવાસે ઉપડી. સત્તર વર્ષની શ્વેતા અને પંદર વર્ષના સમીત, કુણાલનો ઉત્સાહ અમારા કરતાં પણ વધુ હતો.
અઠવાડિઆથી પ્રવાસની તૈયારી અને સાથે લઈ જવાના નાસ્તા બનાવી ડબ્બા તૈયાર કરી પ્રવાસના આગલા દિવસે અમે મુંબઈથી અમદાવાદ પહોંચી ગયા. દિયરનુ ઘર અમદાવાદ અને ત્યાંથી અમારો પ્રવાસ શરુ થયો.
અમારા જેઠ શ્રી શશિકાંત મુન્શા જે ત્યારે IAS Officer હતાં, એમણે પુરા પ્રવાસની રુપરેખા, દરેક જગ્યાએ રાતવાસો કરવાની સગવડ, ડ્રાઈવર સાથે આઠ વ્યક્તિ બેસી શકે એવી મેટાડોર જેવી સઘળી વ્યવસ્થા કરી આપી હતી.
ગણપતિદાદા અને જય સ્વામિનારાયણ જયજયકાર સાથે ૨૩મી સવારે ૬.૩૦ વાગે કિરણના ઘરેથી મેટાડોરમાં પ્રસ્થાન કર્યું. લગભગ દસ વાગ્યે સાળંગપુર પહોંચ્યા. સરસ દર્શનનો લાભ મળ્યો અને સાથે ગરમ સુખડીનો પ્રસાદ અરોગ્યો. ચા નસ્તો કરી આગળ પ્રયાણ કર્યું અને લગભગ બાર વાગ્યે ગઢડા પહોંચ્યા.
ગઢડામાં ઘેલા નદી પર અક્ષર પુરુષોત્તમનુ આરસનુ મંદિર આવેલું છે. ત્યાં દર્શન કરી સ્વામીજીની સમાધિ પર ગયાં. મંદિર અને એનુ પરિસર કોઈપણ હીલ સ્ટેશન કરતાં વધુ રળિયામણુ છે. શ્રધાળુઓને રહેવા માટેના નિવાસ સ્થાન આધુનિક સગવડ ભરેલા અને શાંત મનોહર સ્થાન સહુને પરમ શાંતિનો અનુભવ કરાવે એવું છે. બધા જ સ્વામિનારાયણ મંદિરમાં સહુ માટે ભોજનની વ્યવસ્થા હમેશ હોય જ છે. સાત્વિક ભોજનનો આનંદ લઈ ગોંડલ તરફ પ્રયાણ કર્યું
ગોંડલ એટલે રાજા મહારાજાઓનુ નગર. ગોંડલમાં જોવાલાયક ઘણા સ્થળો છે. વિશેષ ધ્યાન ખંચે છે સ્વામિનારાયણનુ મંદિર અને યોગીબાપાની યાદમાં બનાવેલો પ્રદશન હોલ. મંદિરની અંદરની કોતરણી ને શિલ્પ અદ્ભૂત અને જોવાલાયક. ત્યાં યોગીબાપાની સમાધિ અને ધ્યાન મંદિર છે. ધ્યાન મંદિરમાં બેસીએ ત્યારે એવી પરમ શાંતિનો અનુભવ થાય અને મંદિર પાછળ બનાવેલા આરસના ઓટલા પર બેઠા પછી એ કુદરતના સાનિધ્યમાંથી ખસવાનુ મન ના થાય.
ચાર સાડાચારે ત્યાંથી ચા નાસ્તો કરી વીરપુર જલારામ બાપા ના દર્શન કર્યા અને ત્યાંના બજારમાં ફરવા નીકળ્યા. સમીત કુણાલને તો દિવાલ પર લટકાવવાના ખંજર ભાલા ખૂબ ગમી ગયા અને એક યાદગીરી માટે એ ખરીદી લીધાં.
વીરપુરથી નીકળી રાતે સાડા આઠ વાગે જુનાગઢ પહોંચ્યા. ગુજરાત ટુરીઝમની તોરણ હોટલમાં શશિકાંતભાઈએ અગાઉથી જ અમારા રહેવાની વ્યવસ્થા કરી હતી. ત્યાં રાત્રિભોજન કરી વહેલા સુવાની તૈયારી કરવા માંડી. સહુ થાક્યાં પણ હતા અને સવારે વહેલા ઉઠી ગીરનાર જવાનુ હોવાથી ધબોનારાયણ થયાં
જુનાગઢની ભુમિ પર પગ મુકતાં જ મારી નજર સામે શ્રી કનૈયાલાલ મુન્શીની નવલકથા ગુજરાતનો નાથ અને રાણકદેવી, સિધ્ધરાજ જયસિંહ, કાક મંજરી ના પાત્રો તરવરવા માંડ્યા. એ ઐતિહાસિક વર્ણન સપનામાં તાદૃશ્ય થઈ ઉઠ્યું….

શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com

November 23rd 2022

જીતવું છે!!

ભીખ જોઈતી નથી, બસ જીતવું છે;
દોડ પાકી, સવલતોથી હારવું છે!

કાં દિશા દેખાડ, કાં હિંમત લડતની;
ઘા ભલે મન પર, હસીને ખેલવું છે!

હાથચાલાકી કરે સહુ લોક જગમાં,
અવગણી ધારા, સહજ થૈ જીવવું છે!

ગમ નથી કોઈ, ગુમાવ્યું મેળવ્યું શું;
મોહ માયા આવરણને તોડવું છે!

મોતનો ડર ના બને અવરોધ મારો,
હર ડગર જીવન ખુશીથી માણવું છે!!

શૈલા મુન્શા તા. ૧૧/૨૦/૨૦૨૨

October 18th 2022

અશ્રુ છુપાય ના!!

હૈયાનાં પૂર તો રોક્યા રોકાય ના,
આંખ બંધ તોયે અશ્રુ છુપાય ના!

ઊડે યાદના પારેવા આભલાંની કોર,
ઝુલે મોતીનાં તોરણ રુદિયાની ઓરઃ
ઝાંઝર રણઝણતી, દીસે શમણાંનો દોર;
ભાતીગળ ચંદરવો શોભે હાથીને મોર!

ઢુંઢતી અગોચર, તોયે દેખાય ના,
આંખ બંધ તોયે અશ્રુ છુપાય ના!

મહેંદીભર્યાં થાપા દરવાજે ઓપતા,
કંકુભર્યાં પગલાં આંગણ શોભાવતાં,
આટાપાટાની રમત જીવન બે જોડતા;
સૂરો શરણાઈના સ્મરણો ગોપાવતાં!!

જાતી એ વેલડીને કેમે જોવાય ના,
આંખ બંધ તો યે અશ્રુ છુપાય ના!!!

શૈલા મુન્શા તા. ૧૩/૧૦/૨૦૨૨
www.smunshaw.wordpress.com

September 20th 2022

નવીનભાઈ બેન્કર -શ્રધ્ધાંજલિ

બીજી પુણ્યતિથિએ નવીનભાઈને ભાવભરી શ્રધ્ધાંજલિ

अच्छा चलता हुं,
दुआओमें याद रखना;
मेरे झिकरका जुबांपे स्वाद रखना।

दिलके संदूकोमें
मेरे अच्छे काम रखना,
चिठ्ठि तारोमें भी;
मेरा तु सलाम रखना।

अंधेरा तेरा मैने ले लिया,
मेरा उजला सितारा तेरे नाम किया;

महेफिलमें तेरी,
हम ना रहे जो;
गम तो नहि है!

तेरे रुखसे अपना रास्ता,
मोडके चला!
चांद हुं मैं,
अपनी खुश्बू छोडके चला।

मनकी माया रख के
तेरे तकिये तले,
बैरागीका सुती चौला;
ओढके चला।

આ ગીત એના બોલ અને આ મુવી “ઐ દિલ હૈ મુશ્કિલ” મને ગમતાં ઘણા મુવીઓમાંનું એક છે. આજે આ ગીત સાંભળી રહી હતી અને યાદ આવી ગયા નવીનભાઈ.
જિંદગીના અંતિમ પડાવે આ ગીત એના શબ્દો એમની જિંદગીની દાંસ્તા વર્ણવે છે. મન મોજીલા નવીનભાઈ મરણને કેટલી સહજતાથી લઈ શક્યા એ એમની ઈમૈલ દ્વારા ઘણા મિત્રોને ખબર છે. નાટકના જીવ છેલ્લી ઘડી સુધી એમની વાતો સાચી છે કે કોઈ નાટકિય અદા એના ભ્રમમાં જ અપણે રહીએ. કેટલો ખજાનો ભર્યો હતો એમની પાસે! કેટલાય કલાકારો, લેખકો, કવિઓની મુલાકાતથી ભરેલા એમના આલ્બમો, અઢળક ફોટા, પુસ્તકોનો ખજાનો!!!
એમના જ શબ્દોમાં,
“આ યાદોની તવારિખની વાતો લખું તો એક આખું પુસ્તક થઈ જાય”
સલમાનખાનને હું વેસ્ટહેમર સ્ટ્રીટ પર એક ગીટાર સ્ટોરમાં લઈ ગયેલો. સંજય દત્તને હોટેલ હિલ્ટનની બાજુમાં આવેલી કોલોરાડો નાઈટક્લબમાં રાત્રે એક વાગ્યે લઈ ગયેલો. શક્તિકપૂરને વોલમાર્ટ માં ખરીદી કરવા લઈ ગયેલો. વીલન રણજીતને અને એક્ટ્રેસ મધુને હિલક્રોફ્ટ પર આવેલા એક રેસ્ટોરન્ટમાં ઢૉસા ખવડાવવા લઈ ગયેલો.. લતા મંગેશકર માટે ડીનર લઈને હોટલ પર ગયેલો અને તેમણે જમી લીધું ત્યાં સુધી હું તેમની સાથે રહેલો. સલમાન અને સંગીતા બિજલાનીના ફોટા, મેં હિલ્ક્રોફ્ટ પરની હિલ્ટન હોટલના પાર્કીંગ લોટમાં પાડ્યા હતા. બબિતા ( કરિશ્મા અને કરીનાની મમ્મી) ને લઈને આઇ-ટેન અને ગેસ્નર પાસેના એક મોલમાં ખરીદી કરાવવા લઈ ગયેલો અને કરિશ્માનો શો અમે સાથે બેસીને માણ્યો હતો. જયા ભાદુરી, પદ્મારાણી, હેમા માલિની સાથે પણ ખુબ યાદો છે.”
પોતાની જાત વિશે પણ હસી શકે એવું ઉમદા વ્યક્તિત્વ નવીનભાઈનુ.
પોતાની ઓળખ આપવાની એમની રમુજી રીત તો જુઓ,

“અમારે હ્યુસ્ટનમાં એક ‘કાકા’ રહે છે. આમ તો એ ખરેખર ઉંમરને હિસાબે કાકા જ છે. પણ એ જુદા જુદા સ્થળે જુદા જુદા નામથી ઓળખાય છે.

દર ગુરૂવારે એ હિલક્રોફ્ટ એવન્યુ પર આવેલા પટેલ બ્રધર્સમાં ગુજરાત સમાચાર અને ગુજરાત ટાઇમ્સ નામના ગુજરાતી છાપાં ખરીદવા જાય ત્યારે પહેલા ફોન પર પુછી લે કે ‘ભાઈ, છાપાં આવી ગયા ? કાઉન્ટર પરથી જવાબ મળે કે ‘હા…આવી ગયા. આવી જાવ, કાકા’. એ પછી જ કાકા સ્ટોર પર જાય એટલે પેલો કાઉન્ટર પર ઉભેલો માણસ બીજાને કહે કે ‘પેલા છાપાવાળા કાકા આવી ગયા છે . તેમને બન્ને છાપાં આપી દો..’ અહીં એ કાકા,’ છાપાવાળા કાકા ‘તરીકે જ ઓળખાય.

એ જ સ્ટ્રીટ પર, શુભલક્ષ્મી ગ્રોસરી સ્ટોર પર, ગરમ ગરમ રોટલીનું પેકેટ લેવા જાય ત્યારે, કાઉન્ટર પરની છોકરી , અંદર રોટલી કરતા બહેનને ફોન પર જણાવે કે ‘પેલા રોટલીવાળા કાકા આવી ગયા છે. તેમનું પેકેટ બહાર કાઉન્ટર પર આપી જાવ.’
અહીં આ કાકાનું નામ ‘રોટલીવાળા કાકા’ તરીકે જ જાણીતું.

મંદીરમાં, પત્નીના ડ્રાઇવર તરીકે , જાય ત્યારે બાંકડે બેઠેલા અન્ય કાકાઓ તેમને ‘નાસ્તિક કાકા’ તરીકે ઓળખે. બાંકડે બેઠેલાઓને ‘નાસ્તિક’ અને ‘રેશનલ’ વચ્ચેના ભેદની ખબર નથી હોતી.

મંદીરાના કોઇ ઉત્સવ વખતે, મંદીરની દીકરીઓ આ કાકાને તેમના ગ્રુપના ફોટા પાડવા અને એ અંગે અહેવાલ લખવા વિનંતી કરે ત્યારે એ કાકા ‘ફોટાવાળા કાકા’ તરીકે ઓળખાય.

અહીં કોઇને તેમના ઓરીજીનલ નામની ખબર જ નથી. અને આ ફુલણજી કાગડો પોતે કોઇ બહુ મોટો જાણીતો માણસ થઈ ગયો છે એવા ભ્રમમાં જીવે છે.
શ્રીરામ…શ્રીરામ…”
આવા અને કેટલાય અનુભવો ગુજરાતી સાહિત્ય સરિતાના એમના બ્લોગ “એક અનુભૂતિ એક અહેસાસ” પર વાંચવા મળશે.
એમના જીવન વિશે, ભાઈ બહેનો, પત્ની, સમાજ, વિશેષ મુલાકાતો અને એમના વિવિધ ફોટાઓથી આ બ્લોગ પોતે જ એક ખજાનાથી કમ નથી.
મારૂં અને પ્રશાંતનુ એ સૌભાગ્ય છે કે એમની સાથે કેટલીય ઉમદા પળો માણવાનો મોકો મળ્યો છે, એમના નાટકિય હાવભાવમાં ખૂબ બધા પ્રસંગોનુ વર્ણન સાંભળતાં સમયનુ ભાન નથી રહ્યું. ખાવાના શોખીન પણ ગુજરાતી વાનગી સિવાય ખાસ બીજું ના ભાવે. મારા ઘરમાં નાસ્તાના ડબ્બા, એમને ભાવતી કાજુ કતરી બધું એમને ખબર અને જાતે ડબ્બો ખોલી ખાવાની આઝાદી!!!

પોતાના વિચારોને કોઈ ડર વગર રજૂ કરવાની ખુમારી ધરાવતા, આવી બહુમુખી પ્રતિભા માટે જ જાણે આ ગીત સર્જાયું હોય એવું લાગે છે.

अच्छा चलता हुं,
दुआओमें याद रखना;
मेरे झिकरका जुबांपे स्वाद रखना।

महेफिलमें तेरी,
हम ना रहे जो;
गम तो नहि है!

तेरे रुखसे अपना रास्ता,
मोडके चला!
चांद हुं मैं,
अपनी खुश्बू छोडके चला।

અસ્તુ,

શૈલા મુન્શા તા.૨૦/૦૯/૨૦૨૨

September 9th 2022

સંભારણું -૧૧- શ્રધ્ધાંજલિ

શ્રાવણ મહિનો આવે અને ભારતમાં તહેવારોની મોસમ શરુ થઈ જાય. ભારતમાં આમ તો બારેમાસ કોઈને કોઈ તહેવાર ઉજવાતા હોય છે. અનેકતામાં એકતા અને સર્વધર્મ સમભાવનાના આપણા દેશમાં તહેવારોની ક્યાં ઓછપ હોય છે!
હમણા ગણેશોત્સવના તહેવારની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પરંપરાગત ઘરમાં અને સાર્વજનિક રુપે આ તહેવાર ઉજવાય છે. શ્રી લોકમાન્ય ટિળકે પરતંત્ર ભારતની જનતામાં જોશ અને દેશભાવના જાગૃત કરવા આ તહેવારની શુભ શરૂઆત કરી હતી અને આજે ફક્ત ભારતમાં જ નહિ, દુનિયાભરમાં ખૂબ ઉત્સાહપૂર્વક બાપ્પાની પધરામણી અને વિસર્જન થાય છે.
તહેવારો સાથે મારા અંગત સંબંધો અને લાગણી જોડાયેલા છે.સામાન્યતઃ કદાચ બધાને અમુક તહેવાર પ્રતિ વિશેષ લાગણી કે લગાવ હોઈ શકે!!
જ્યારે પણ ગણેશોત્સવનો તહેવાર આવે છે, મારું મન અચૂક સ્મરણોના એ મુકામ પર પહોંચી જાય છે જે મારા જીવનની વસમી વાસ્તવિકતા, દર્દને ઝંઝોડી દે છે!!
૧૯૭૨ ભાદરવા સુદ બીજ! એ કાળ ચોઘડિયે અમે ભાઈ બહેનોએ અમારી માતાને અકસ્માતમાં ગુમાવી. એ કારમી પળ એ યાતના મારા જીવન સાથે સતત વણાયેલી છે જેને હું એક પળ પણ વીસરી શકતી નથી. પિતા તો અમે પહેલા જ ગુમાવ્યા હતા અને આ બીજો કારમો વજ્રાઘાત!! મારી સાથે નાની બહેન અને સાવ નાનકડો ભાઈ જેને સમજ પણ નહોતી કે શું થઈ રહ્યું છે?
મારું આ સંભારણું ફક્ત દુઃખદ યાદોનુ જ નથી, પણ એ દુઃખમાં જે સહારો મળ્યો એ સ્મરણનોને મોગરાના ફુલની જેમ મઘમઘતા રાખવાનો છે. નાના, નાનીએ તો અમને સંભાળી જ લીધાં, પણ મારી બાળપણની સખી નયના અને એનો પરિવાર જે મને એમની ત્રીજી દીકરી જ ગણતા એની બહુ મોટી ઓથ મળી.
બે દિવસ પછી ભાદરવા સુદ ચોથ. ગણપતિ બાપ્પાની પધરામણીનો દિવસ. નયનાને ત્યાં વર્ષોથી બાપ્પાની પધરામણી થાય અને હું અને મારો પરિવાર એ ઉત્સવનો અવિભાજ્ય અંગ હોઈએ.
મને બરાબર યાદ છે ૧૯૭૨નો એ દિવસ!! મમ્મીના અવસાનને બે દિવસ થયા હતા, મારી એ નાસમજ ઉમરમાં મને કોઈ ધાર્મિક રિવાજોનો ખ્યાલ નહોતો, કે કોઈ સૂતક લાગે એવો ખ્યાલ નહોતો. નાના ઘણા સુધારાવાદી હતા અને મારા મમ્મીની ખાસ બહેનપણીનો દીકરો રાજુ અમને નયનાને ત્યાં લઈ ગયો. ત્યાં પણ બધાએ સહજતાથી અમને આવકાર્યા, આરતીમાં ભાગ લેવા દીધો અને ખાસ તો મારા નાનકડા ભાઈ પાસે પ્રેમથી આરતી કરાવી, મોદક ખવડાવી ખુશ કરી દીધો.

મમ્મીના અવસાન પછી અને મારા લગ્ન પછી મારા માટે પિયર જવાના એક નહિ પણ ત્રણ ત્રણ ઘર હતાં. નાના નાની તો કલકત્તા હતા અને મારા ભાઈ બહેન પણ એમની સાથે કલકત્તા હતાં, પણ મુંબઈમાં નયનાનુ ઘર, જ્યોત્સનાબહેન અને નીલા જે મારી નાની બહેનની ખાસ સખી હતી એનુ ઘર.
આજે એ દિવસો યાદ કરું છું ત્યારે મન અહોભાવથી તૃપ્ત થઈ જાય છે. નયનાને ત્યાં મારા બાળકોના જન્મ પછી જ્યારે પણ જઉં, ઘર આખું મારા બાળકો પાછળ ઘેલું થઈ જાય, કારણ ઘરમાં હજી બીજા કોઈ નાના બાળકનુ આગમન નહોતું થયું. એ લાડ અને પ્રેમ નાના, નાનીનો મારા બાળકોને અનરાધાર મળ્યો અને આજે પણ મારી દીકરી અને દીકરો એમને મામા, કે માસી કહીને જ બોલાવે છે.

મને બરાબર યાદ છે નયનાનો નાનો ભાઈ રાજેશ ત્યારે મુછ રાખતો અને મારી નાનકડી દીકરી શ્વેતા જ્યારે પણ રાજેશના હાથમાં હોય, શ્વેતાના ગાલને મુછથી હેરાન કરતો, પણ શ્વેતાને મજા આવતી અને એ મુછ ખેંચવાનો પ્રયાસ કરતી. આજે પણ જ્યારે વાત થાય રાજેશ શ્વેતાના નટખટ તોફાનોને યાદ કરતો રહે છે.
નીલાના મમ્મી પદ્માબહેન જેને અમે સહુ બા કહેતા, એમણે ઘરમાં પારણાઘર શરું કર્યું હતું અને હું લગભગ બે ચાર મહિને એમને ત્યાં રહેવા જતી. મારા બાળકોને ત્યાં ખૂબ મજા આવતી અને પારણાંઘરના શિક્ષકો પણ એમને વિશેષ લાડ કરતાં. નીલાના લગ્ન પછી દિપક એના પતિનો પણ એટલો જ સાથ સહકાર મળતો રહ્યો.
જ્યોત્સનાબહેન મારા મમ્મીના અવસાન પછી તરત મારે ત્યાં આવ્યા, પપ્પાના અવસાન પછી મમ્મી હમેશા આછા કલરની સાડી પહેરતી, ભુરી, કે બદામી કે રાખોડી. જ્યોત્સનાબહેન જેને રાજુ, વિહારની જેમ અમે પણ મા કહીને જ બોલાવતા એમણે મારા કબાટમાંથી એ બધી સાડીનુ પોટલું વાળી અનાથાશ્રમમાં મોકલાવી દીધું અને સરસ રંગીન સાડીઓનો જથ્થો મારા કબાટમાં ગોઠવી દીધો. મમ્મી જે સ્કૂલમાં શિક્ષિકા હતી ત્યાં મને મમ્મીની જગ્યાએ નોકરી આપી મમ્મી પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો અને મા નહોતા ઈચ્છતા કે હું એવી આછા કલરની સાડી પહેરી નોકરીએ જઉં. જ્યોત્સનાબહેનનો દીકરો રાજુ જ્યારે અમે બે બહેનોને ભાઈ નહોતો ત્યારે એક રક્ષાબંધને દરવાજે આવી ઊભો, રાખડી બંધાવી અને આજ પર્યંત સગા ભાઈથી વિશેષ સંબંધ જાળવ્યો છે.
સ્મરણોની આ કેડી પર જ્યારે પાછળ ફરીને નજર કરું છું ત્યારે હૈયું ખુશીથી છલકાઈ ઉઠે છે. કેટલો પ્રેમ, આદર, લાગણી હું પામી છું. બા નથી રહ્યાં, મા નથી રહ્યાં, નયનાના મમ્મી, પપ્પા નથી રહ્યાં પણ સંબંધોના તાર એટલા જ મજબૂત રહ્યાં છે.
આ બધામાં અત્યારે મારી મમ્મીની જગ્યાએ સુશીમામી મમ્મી બની રહ્યાં એ તો કેમ જ વિસરાય! મારા નાના ભાઈ બહેનને પોતાની સોડમાં લીધાં અને અમને ક્યારેય મમ્મીની ખોટ ના વરતાવા દીધી, એ મોસાળ એ મામા માસી સહુના અતૂટ પ્રેમે હમેશ અમારા જીવનને સહ્ય બનાવ્યું છે.
ભાદરવા સુદ બીજ ફક્ત મારા મમ્મી જ નહિ પણ મારા સાસુની પણ પુણ્ય તિથિ. લગ્ન પછી જયાબહેન, મારા સાસુએ કદી મને મમ્મીની ખોટ વરતાવા દીધી નહોતી અને મારા બાળકો પણ પુરા નસીબદાર કે દાદા દાદીની છત્રછાયા અને હેતમાં મોટા થયાં.
આટલો પ્રેમ મેળવવા હું ભાગ્યશાળી બની એનુ સઘળું શ્રેય મારી મમ્મીએ જે આંબો વાવ્યો હતો એના મીઠા ફળ મને માણવા મળ્યાં
આજે ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ મમ્મીના અવસાનને બરાબર પચાસ વર્ષ થયાં.
એ મમ્મીના ગુણ અને સંબંધ સાચવવાની સુઝ અને પ્રેમાળ સ્વભાવ વ્યાજ સહિત હું અને મારા ભાઈ બહેન માણી રહ્યાં છીએ. માતા પિતાની યાદ તો સદા આપણા જીવન સાથે જોડાયેલી હોય છે, એ સુવાસ ક્યારેય કરમાતી નથી, એક મીઠું સંભારણું બની સદા મહેકતી રહે છે!
નત મસ્તકે આ શ્રધ્ધાંજલિ મારી મમ્મી અને સાથે મા સ્વરુપે પ્રેમ વરસાવનાર સર્વ માતાઓને!!

અસ્તુ,

શૈલા મુન્શા સપ્ટેમ્બર ૯/૨૦૨૨
www.smunshaw.wordpress.com

August 31st 2022

ડો. ઉષાબહેન ઉપાધ્યાય

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તથા આપણાં સહુના આદરણીય ડો. ઉષાબહેન ઉપાધ્યાય નિવૃતિ લઈ રહ્યા છે ત્યારે એમના પ્રત્યેની લાગણી, એમની સાથે ગાળેલ મધુર સમયને શબ્દોમાં વ્યક્ત કરવાનો મને મોકો મળ્યો એને હું મારું સદ્ભાગ્ય ગણુ છું.
ગયા વર્ષની વાત છે. ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની ૨૦૧૯માં હું ઉપપ્રમુખ હતી.
ડો.ઉષાબહેન ઉપાધ્યાયનુ નામ સાંભળ્યું હતું, એમની જૂઈ મેળાની પ્રવૃતિ વિશે થોડીઘણી માહિતી હતી. ૨૦૧૯માં ઉષાબહેન
નોર્થ અમેરિકાની લીટરરી એકેડેમીના માનવંતા મહેમાન બની આવ્યા હતાં. અમે એમને ગુજરાતી સાહિત્ય સરિતા હ્ય્સ્ટન તરફથી મુખ્ય અતિથિ રુપે અત્રે પધારવાનુ આમંત્રણ આપ્યું, જે એમને સહર્ષ સ્વીકારી એમના સ્વભાવની નમ્રતાનો પરિચય આપી દીધો. તેઓ અઠવાડિયું વહેલા આવ્યા અને અમને એમના સહવાસનો લાભ મળ્યો.
એક દિવસ અમારા સલાહકાર દેવિકાબહેનને ત્યાં રહી, હ્યુસ્ટનનુ જાણીતા BAPS મંદિરની મુલાકાતે અમે સહુ ગયાં.

ત્યાંથી હું એમને મારા ઘરે લઈ આવી, અને ત્રણ દિવસ એમની સાથે રહેવાનો મોકો મળ્યો. આટલા મોટા પદ પર ગુજરાતી ભાષાના સંવર્ધનનુ કાર્ય કરનાર, ભારતમાં ખાસ સ્ત્રીલેખિકાને મંચ મળે, એમની પ્રતિભા ખીલે એ માટે જૂઈ મેળાની સ્થાપના કરી એની સુગંધ ચારેકોર ફેલાવનાર બહુમુખી પ્રતિભાની સાદગી અને સરળ સ્વભાવે મારો સંકોચ દુર કરી એક સખીપણાનો અહેસાસ કરાવી દીધો. હ્યુસ્ટન સાહિત્ય સરિતાના સભ્યોને વિશેષ લાભ મળે એ માટે મારા ઘરે ખાસ સર્જકો સાથે એક સાંજમાં ડો. ઉષાબહેનને અંગત રીતે સાંભળવાનો અને મળવાનો સહુ સર્જકોને લાભ મળ્યો. બીજા દિવસે અમારા પ્રમુખ શ્રી અલીભાઈ સાથે અમે આખો દિવસ નાસામાં ગાળ્યો. નાસાના ચીફ સાયંટીસ્ટ અને અમારી સાહિત્ય સરિતાના સભ્ય શ્રી કમલેશભાઈ લુલ્લા ખાસ ઉષાબહેનને મળવા આવ્યા અને નાસામાં એમના યોગદાનની માહિતી આપી.

બહોળા શ્રોતાગણની હાજરીમાં ડો.ઉષાબહેને ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યો અને અનેક મહેમાનોને પોતાની જૂઈ જેમ મઘમઘતી વાણીના અસ્ખલિત પ્રવાહથી રસ તરબોળ કરી દીધા.
જૂઈમેળાની પૂર્વભૂમિકા, નામકરણ અને પ્રસારની રસપ્રદ માહિતી આપી. પુરોગામી સ્ત્રી લેખિકાઓના ઊંડા સંશોધન પછી તૈયાર કરેલા પુસ્તકો ‘શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ’, ‘રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા’અને તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ ‘અમેરિકા નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા’ની સવિશેષ માહિતી આપી. સાથે સાથે તેમણે પુરોગામી કવિઓની ઉત્તમ પંક્તિઓ ટાંકી કવિતા એટલે શું?, કાવ્યત્ત્વ કેવું અને ક્યાં ઝબકતું હોય છે તે તથા કાવ્યસર્જનની પ્રક્રિયા વગેરે સ્વાનુભવો સાથે સુપેરે સમજણ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.
સાહિત્ય સરિતાની કમિટીએ સાથે મળી ઉષાબહેનને સન્માન પત્ર, સંસ્થાના ઈતિહાસની ઝાંખી કરાવતું પુસ્તક અને ખાસ તો ડો. કમલેશ લુલ્લાના સૌજન્યથી, હ્યુસ્ટનની Fortbend County Judge Proclamation Award અર્પણ કર્યો.


બીજું મારું પરમ સૌભાગ્ય કે આ વર્ષે યોજાયેલ આંતર રાષ્ટ્રિય જૂઈ મેળામાં એક કવયિત્રિ તરીકે મારી ત્રણ રચના રજૂ કરવાનુ મને સૌભાગ્ય મળ્યું.
કોરોનાની મહામારીને કારણે જૂઈ મેળાનુ આયોજન ના થઈ શક્યું, પણ ઉષાબહેન એમ હિંમત હારે એમ નહોતા. ૨૮ જુન ૨૦૨૦ ના દિવસે ભવ્ય આંતરરાષ્ટ્રિય જૂઈમેળાનુ આયોજન કર્યું જેમાં ૬૫ જેટલી દેશ વિદેશથી કવયિત્રિઓ જોડાઈ. આટલા ભવ્ય આયોજન પાછળની અથાક મહેનત, સાત કલાક ચાલેલા આ ફેસબુક લાઈવ કાર્યક્રમનુ સંચાલન, આગોતરા વ્યવસ્થિત વોટ્સેપ ગ્રુપથી સહુનુ માઈક ટેસ્ટીંગ, કલાક કલાકના જુદા સૂત્રધાર. અમેરિકાથી કે લંડન વગેરેથી જોડાનાર કવયિત્રિના સમયનુ ધ્યાન ઓહોહો….
સમયસર કાર્યક્રમ શરૂ થયો અને સમયસર પત્યો.
મારું અહોભાગ્ય કે મારો પરિચય સ્વયં ડો. ઉષાબહેને આપ્યો. દિવ્ય્ભાસ્કર, મુંબઈ સમાચાર વગેરે છાપાંમાં આ કાર્યક્રમનો વિસ્તાર પૂર્વક અહેવાલ આવ્યો હતો. એમાં દેશ વિદેશમાંથી રજૂ થયેલી કેટલીક રચનાઓમાં ત્રણેક કવયિત્રિની પંક્તિઓ નામ સાથે છપાઈ હતી, એમાં એક નામ મારું હતું.


ઉષાબહેન એમની લેખન પ્રવૃતિ, જૂઈમેળાનો વિકાસ, વિવિધ સંસ્થામાં ભાષાના વિકાસને લઈ આગવું પ્રદાન આપે એજ અભ્યર્થના…
આપણે સહુ અને અંગત રીતે હું અભિન્ન લાગણીથી એમની સાથે જોડાયેલી છુ. એમની સાથે રહેવાનો જે લાભ મળ્યો છે એ મારા જીવનનો અવિસ્મરણિય સમય છે. મારા જીવનમાં એમણે કરેલ અમૂલ્ય યોગદાનને હું મારી અંગત મૂડી ગણુ છું
આદર અને ભાવ સાથે પ્રભુને એટલી જ પ્રાર્થના કે ઉષાબહેનનુ સ્વાસ્થ્ય હમેશા નિરોગી રહે અને હમેશ સહુના માર્ગદર્શક બની રહે.

અસ્તુ,
શૈલા પ્રશાંત મુન્શા તા ઓક્ટોબર ૦૬.૨૦૨૦

June 20th 2022

સંભારણું – ૧૦-૧૯૭૨ થી ૨૦૨૨

src=”http://shailamunshaw.gujaratisahityasarita.org/files/2022/06/teacher-300×300.jpg” alt=”” width=”300″ height=”300″ class=”alignnone size-medium wp-image-1328″ />

આજે ઘણા સમયે ડાયરી હાથમાં લીધી, કારણ એક તો નીંદર આંખથી વેરણ થઈ ગઈ હતી. નિંદ્રાદેવીને શરણે જવાના પ્રયાસ નાકામ થતાં લાગ્યા ત્યારે થયું મનમાં ઊભરાતા વિચારોના વંટોળ જંપવા નહિ દે, અને ક્યાંથી જંપવા દે!!! આવતી કાલની સવાર બસ મારા જીવનના એક અધ્યાયની છેલ્લી સવાર! વર્ષો વિતાવેલી શિક્ષિકાની કારકિર્દીને આખરી સલામ!!!
યૌવનના પગથારે કોઈ ખાસ ઘટના કે બનાવ એક ડાયરીમાં ટપકાવવાની આદત હતી, થોડા વર્ષો એ ક્રમ ચાલ્યો અને વિસરાયો, પણ અમેરિકા આવી સામાનમાં સાથે રાખેલી ડાયરીએ ફરી રોજિંદા પ્રસંગો રુપે અવનવા પ્રસંગો ટપકાવવાની એ ટેવ સજીવન થઈ.

૧૯૭૨ થી ૨૦૨૨
પચાસ વર્ષનો સમયગાળો!! મારા જીવનનુ અવિસ્મરણીય સંભારણું,
૧૯૭૨નો એ ગોઝારો દિવસ જ્યારે અમે અમારી મમ્મીને એક જીવલેણ અકસ્માતમાં ગુમાવી. પપ્પાનુ અવસાન પહેલાં જ થઈ ગયું હતું અને મમ્મી નૂતનવિદ્યામંદિર સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરી અમારો ઉછેર કરી રહી હતી. મારું કોલેજનુ ભણતર હજી પુરું જ થયું હતું અને આ કારમો આઘાત સહેવાનો વારો આવ્યો. મારાથી નાની બહેન અને સાવ નાનકડો ભાઈ.
કહેવાય છે કે રાતે અસ્ત થતો સૂર્ય સવારે ઉદય પામે જ છે એમ મારા જીવનમાં બે સૂર્યનો ઉદય થયો. અમારા નાના, નાનીએ અમારો હાથ ઝાલી અમને પાંખમાં લીધાં અને સ્કૂલના સંચાલકોએ મને મમ્મીની જગ્યાએ સ્કૂલમાં શિક્ષિકાની નોકરી આપી મારા મમ્મી પ્રત્યેનો આદર અને અહોભાવ એ રીતે વ્યક્ત કર્યો.
જે સ્કૂલમાં હું મમ્મીની દીકરી બની પ્રસંગોપાત જતી ત્યાં એક સહ શિક્ષિકા તરીકે સહુએ મને વહાલ અને પ્રેમથી અપનાવી લીધી. મારા વડીલ શિક્ષકગણની હું લાડકી દીકરી જ રહી, સહુની દોરવણી અને માર્ગદર્શને સરળતાથી હું જીવનનો એ અધ્યાય શરુ કરી શકી. એકવીસ વર્ષના એ સમયગાળામાં કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું!!
દર વર્ષે આવતાં નવા વિદ્યાર્થીઓ જેમને મેં દસમા, અગિયારમાં ધોરણમાં ભણાવ્યા એ આજ સુધી મને એટલો પ્રેમ અને આદર આપી રહ્યાં છે, સતત સંપર્કમાં છે. ૧૯૭૨થી ૧૯૯૩, હજારો વિદ્યાર્થીઓ આજે એમના જીવનમાં પ્રગતિ કરી રહ્યાં છે અને એમની પ્રગતિનુ શ્રેય જ્યારે અમ શિક્ષકોને આપે છે ત્યારે જીવતર ધન્ય થયું લાગે છે. ૨૦૦૦ની સાલમાં અમેરિકા આવવાનુ થયું પણ નૂતનવિદ્યામંદિર, એ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની યાદનો ખજાનો મારા હૈયામાં સંઘરાયેલો રહ્યો. મારી ૨૦૧૮ની ભારત મુલાકાત એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યાદગાર બનાવી દીધી. મારા માટે ખાસ મોટા મેળાવડાનુ આયોજન કર્યું. મમ્મી સાથે કામ કરી ચુકેલા અને મારી સાથે પણ કામ કરી ચુકેલા કેટલાક વડીલ શિક્ષકોને મળવાનો, એમનો વાત્સલ્યભર્યો હાથ આશીર્વાદરુપે મસ્તકે અનુભવવાનો અનેરો લહાવો મળ્યો સાથે કેટલાકના અવસાનના સમાચાર દિલને રડાવી ગયા.
એ બાળકો જે આજે તો પચાસની ઉમરે પહોંચવા આવ્યા છે, એમની સાથે વિતાવેલી એ સાંજ અને સ્કૂલના જુના અનુભવો, અમારી ખાસિયતો, અનુભવોના પ્રસંગો ફરી એમના મુખે સાંભળી હાસ્યના ફુવારાથી હોલ ઝાકમઝાળ થઈ ગયો. કેટલાય સ્મરણોનુ નવું ભાથું યાદોના ખજાનામાં ઉમેરાયું!!!
૨૦૦૧ થી અમેરિકામાં પણ મારો મનગમતો વ્યવસાય શિક્ષિકાનો જ અપનાવ્યો, ફક્ત ફરક એટલો હતો કે અહીં અમેરિકામાં દિવ્યાંગ બાળકો, માનસિક રીતે થોડા અસ્વસ્થ બાળકો સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો. અહીં આવી નવી શિક્ષણ પધ્ધતિ અને બાળકોને મળતા વિવિધ લાભ વિશે ઘણુ શીખવા મળ્યું.
અમેરિકામાં બાળકોને બધા જ પ્રકારની સગવડ અને ખાસ કરી ભણતર માટે જે સુવિધા છે એને ણ્ચ્ળ (ણૉ ચઃઈળ્ડ ળૅટ ઍઃઈણ્ડ) કહેવાય છે. જ્યાં બાળકોને અને એમના ભણતરને સર્વ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. બધી જ પબ્લિક સ્કૂલમાં બારમા ધોરણ સુધી વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે. વિદેશી બાળકોને અંગ્રેજી શિખવાડવા દરેક સ્કૂલમાં ખાસ સુવિધા હોય.
ભારતમાં ભલે હું માધ્યમિક વિભાગના બાળકોને ભણાવતી હતી, પણ અમેરિકામાં પ્રાથમિક વિભાગ જેને ઍલેમેંતર્ય સ્ચૂલ કહેવાય છે ત્યાં ૨૧ વર્ષ નાના ત્રણ થી છ વર્ષના દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું અને જીવનમાં ઘણા નવા અનુભવોનુ ભાથું ભેગું કર્યું. દરેક બાળકની પીડા, જુદી જુદી લાગણી, જુદા જુદા લેબલ એમની માનસિક અવસ્થા પ્રમાણે, અને સાથે માતા પિતાનુ વર્તન એમની સાથે!!
દુનિયાની નજરે દિવ્યાંગ બાળકો, મારી નજરે કોઈ સામાન્ય બાળક થી કમ નથી એ મને સમજાયું. આ નિર્દોષ દેવદૂતોનો અઢળક પ્રેમ હું પામી. બે દિવસની ગેરહાજરી પછી જ્યારે સ્કૂલે પહોંચુ અને બધા બાળકો કિલકારી કરતાં વિંટળાઈ વળે એ સુખ જેણે માણ્યું હોય એ જ જાણે!! એમના નટખટ તોફાનો અને મસ્તીએ મને એમના રોજિંદા પ્રસંગો લખવા પ્રેરણા આપી અને “બાળ ગગન વિહાર” પુસ્તક રુપે એ પ્રસંગો પ્રસિધ્ધ થયાં. એ પુસ્તકના પ્રસંગોએ ભારતના ખંભાત શહેરના રાજેશભાઈને દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાના નવા વિચાર મળ્યાં અને એમનો આભાર વ્યક્ત કરતો પત્ર મળ્યો ત્યારે મને મારું કાર્ય અને જીવવું સાર્થક લાગ્યું.
હમણાં ૮ જુન ૨૦૨૨ શિક્ષિકા તરીકેના મારા જીવનના એક અધ્યાયનુ સમાપન થયું. શિક્ષિકા તરીકે નિવૃત થઈ. પચાસ વર્ષ મોટા થી નાના બાળકો વચ્ચે વિતેલી જીંદગી!! ભારત અને અમેરિકા, બધેથી મળેલો અને આજે પણ મળતો રહેલો નિઃસ્વાર્થ પ્રેમ, એ મારો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે.
નિવૃત થવાનો વિચાર કર્યો ત્યારથી મન વિતેલા વર્ષોનુ સરવૈયું કાઢી રહ્યું હતું અને પલ્લું બસ પ્રેમ, પ્રેમ, આદર અને મળેલી લાગણીથી ઝુકેલું હતું.
હ્યુસ્ટનની મોટી સ્કૂલ ડિસ્ટ્રીક (ઃઔસ્તોન ઈંદેપેંદેંત શ્ચૂલ ડિસ્ત્રિત) એના શ્પેઇઅલ નીદ ડેપર્ત્મેંત તરફથી લગભગ ૪૦૦ જેટલી સ્કૂલમાંથી મને મળેલો એસ્ત ટેઅચેર આસ્સિસ્તંત નો ખિતાબ મારા માટે સર્વોત્તમ પુરસ્કાર છે.

સ્કૂલના છેલ્લા દિવસે પ્રિંન્સીપાલ, સહુ સાથી શિક્ષકો, સ્ટાફ તરફથી મળેલું માન સન્માન અને વિશેષ તો મારા નાના બાળકો અને એમના માતા પિતા તરફથી મળેલા લાગણીસભર પત્રો એ મારા જીવનનુ અતિ મુલ્યવાન સંભારણું છે.
કાલ હું નહિ રહું, પણ મારા વિદ્યાર્થીઓના મનમાં શૈલાબહેનની એક મીઠી યાદ જરુર રહેશે અને એ જ તો મારી મુડી છે!!!!

અસ્તુ,
શૈલા મુન્શા તા.જુન ૦૮/૨૦૨૨
વ્વ્વ.સ્મુંશવ.વોર્દ્પ્રેસ્સ.ઓમ

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.