ગુરૂપુર્ણિમા.
ગુરૂપુર્ણિમા, ભારતમા ઉજવાતો ગુરૂ વંદનાનો દિવસ. આપણી પ્રાચીન પરંપરા. રામાયણ, મહાભારતમાં કઈં કેટલાય ઉદાહરણ જોવા મળે જેવા કે, ગુરૂ જો ગુરૂ દક્ષિણામાં અંગૂઠો માંગે તો એકલવ્ય વિના વિલંબે અંગુઠો કાપી ગુરૂના ચરણે ધરે.
આજના જમાનામાં કોઈ ગુરૂ એવી દક્ષિણા માંગવાનુ નથી, પણ આજે કોઈ શિષ્ય ગુરૂને યાદ કરી એને ભાવ અંજલિ અર્પણ કરે એ જ મોટી વાત છે.
મારા માટે એ બહુ જ ગૌરવની વાત છે કે મારી ૪૦ વર્ષની એક શિક્ષક તરીકેની કારકિર્દી, એમાં બાવીસ વર્ષ મેં ભારતની શાળામાં હાઈસ્કૂલના શિક્ષિકા તરીકે વિધ્યાર્થીઓને શિક્ષણ આપ્યું. અત્યારે અમેરિકાની શાળામાં નાના દિવ્યાંગ બાળકો સાથે છેલ્લા અઢાર વર્ષોથી શૈક્ષણિક પ્રવૃતિમાં જોડાયેલી છું.
મારા છેલ્લા શ્વાસ સુધી હું એક શિક્ષક તરીકે જ બાળકો સાથે સમય વિતાવીશ એવી મારી મનોકામનામાં બળ પુરે છે મારા ભારતના વિધ્યાર્થીઓ.
અમેરિકામાં તો હું નાના દિવ્યાંગ બાળકો સાથે કામ કરૂ છું, જે મને ફક્ત અને ફક્ત નિર્વ્યાજ પ્રેમ જ આપે છે; પણ ભારતના બાળકો જે પોતે આજે પચાસે પહોંચવા આવ્યા છે, એ આજે બત્રીસ વર્ષ પછી મને અને મારા સમકાલીન શિક્ષકોને યાદ કરી ગુરૂપુર્ણિમા ઉજવે, જાહેર સમ્માન કરે, મારા જેવા દુર વસતા શિક્ષકોને વિડિયો અને ઓડિયો દ્વારા સાંકળી અહોભાવ વ્યક્ત કરે, એનાથી વિઃશેષ સન્માન શું હોઈ શકે!
૧૯૮૩ જ્યારે હું ૩૨ વર્ષની હતી અને દસમા ધોરણના વિધ્યાર્થીઓ ને ગુજરાતી શીખવાડતી એ દિવસો યાદ આવી ગયા. આજે ૩૨ વર્ષ પછી એ બાળકો જે આજે પોતે પોતાની દુનિયામાં સફળ માતા પિતા અને પોત પોતાના ક્ષેત્રમાં વ્યવસાયિક રીતે એટલા સફળ હોય એ ગુરૂપુર્ણિમા ઉજવે, મને ફોન કરે, મને પણ યાદ ન હોય એવી મારી શિખવેલી વાતો એમને જીવનમા ઉપયોગી થઈ એવો અહોભાવ વ્યક્ત કરે એજ સાચી ગુરૂપુર્ણિમા.
મને મોકલેલ આમંત્રણ પત્રિકાના શબ્દો, એમનો ભાવ અહીં રજુ કર્યા વગર આ લેખ અધુરો છે.
“ડંકો વાગ્યો”
“શાળાને વિદાય કરી ત્યારથી જીવનના અવિરત પ્રવાહમા તણાઈને કેટકેટલા વર્ષો વહી ગયા ત્યારે આજે સાવ અચાનક જ મારી શાળાના અવિસ્મરણિય દિવસો યાદ આવી ગયા. વિધ્યાર્થી સ્વરૂપે જ્યાં અમે અમારૂ બાળપણ ભરચક ધમાલ સાથે માણ્યુ તો સાથે સાથે ભણતર પ્રાપ્ત કરીને પાત્રતા મેળવી. અમને આકાર અને ઘડતર આપીને વિશ્વ ફલક પર લાયકાત આપનારી મારી શાળા અને મારા શિક્ષકો મને કેમ યાદ ના આવે?
ચાલો આજે બત્રીસ વર્ષ પછી ફરી એકવાર આપણે જીવનનુ પ્રગતિપત્રક જોવા માટે ભેગા થઈએ.”
આ આમંત્રણ જ્યારે મને મળ્યું તો હું અચંબિત થઈ ગઈ. આજના સમયમાં સંતાનોને ખુદના માતા પિતા માટે સમય નથી ત્યાં મારા ૩૨ વર્ષ પહેલાના વિધ્યાર્થીઓ સહુ શિક્ષકોને યાદ કરી ગુરુપુર્ણિમાનો પ્રસંગ દમામભેર જાહેરમાં ઉજવે, મારા જેવા વિદેશમાં વસતા શિક્ષકોનો સંપર્ક કરી આશીર્વાદ આપવા વિનંતિ કરે એ મારે મન મોટી ગુરુ દક્ષિણા હતી.
૧ ઓગસ્ટ ૨૦૧૫માં કાંદિવલી ની લોહાણા મહાજન વાડી મા ૧૯૮૩ ની સાલ ના મારા વિધ્યાર્થીઓ એ બહુ મોટા પાયા પર ગુરૂપુર્ણિમા ઉજવી.
આ આમંત્રણ આ ભાવ મારા માટે કોઈ સન્માનથી ઓછુ નથી. આવુ માન અને લાગણી, હજારો બાળકોનો પ્રેમ એક શિક્ષક માટે કેટલા ગૌરવની વાત છે એ તો એક શિક્ષક જ અનુભવી શકે.
ત્યારે તો હું પ્રત્યક્ષ રુપે હાજર નહોતી, પણ ૨૦૧૮માં જ્યારે હું ભારતની મુલાકાતે ગઈ ત્યારે મારા આ વિધ્યાર્થીઓએ મારા સન્માન માટે જે કર્યું એનુ વર્ણન કરવા શબ્દો ઓછા પડે એમ છે.
મારે આજે વાત કરવી છે એ નિઃસ્વાર્થ અને નિર્ભેળ પ્રેમની. ભારતમાં બાવીસ વર્ષ નુતન વિધ્યામંદિરમાં ગુજરાતી અને ઈતિહાસ ભુગોળના શિક્ષિકા તરીકે હાઈસ્કૂલના વિધ્યાર્થીઓને ભણાવ્યા.આ શાળા સાથે અમારો ત્રણ પેઢીનો સંબંધ. મારા મમ્મી એ સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયા. એમના આકસ્મિક અવસાન બાદ એમની જગ્યાએ મેં શિક્ષિકા તરીકે કાર્ય શરૂ કર્યું, અને જ્યારે નુતન વિધ્યામંદિરમાં ગુજરાતી સાથે અંગ્રેજી માધ્યમ શરૂ થયું ત્યારે મારી દિકરી અંગ્રેજી માધ્યમમાં Pre-K ની શિક્ષિકા તરીકે જોડાઈ.
બાવીસ વર્ષમાં કેટલાય વિધ્યાર્થીઓ મારી પાસે ભણી આગળ વધી ગયા. એમાના કેટલાક વિધ્યાર્થીઓને મારી ભારત મુલાકાતની આગોતરી જાણ હતી અને જે પ્રેમભાવે એ બધા મને મળ્યા, એમનો અહોભાવ અમ શિક્ષકો માટેનો આદરભાવ ને લાગણી જોઈ મારી આંખમાં હરખના આંસુ આવી ગયા. એ બધા પણ અત્યારે પચાસે પહોંચવા આવ્યા. એમની પ્રગતિ, એમના બાળકોની પ્રગતિની વાતો સાંભળી મન ભાવવિભોર બની ગયું…. કેટલાક તો વટથી પોતાને છેલ્લી પાટલીના બેસનારા તોફાની બારકસમાં પોતાની જાતને ગણાવતા, પણ આજે જીવનમાં જે ઉચ્ચ મુકામે પહોંચ્યા એનો બધો યશ અમ શિક્ષકોને આપતાં જે ચમક એમના ચહેરા પર દેખાઈ એ મારે મન મોંઘેરી મુડીથી કમ નથી. કોઈ અમદાવાદ તો કોઈ વલસાડ તો કોઈ મુંબઈના ખુણે ખુણેથી મને મળવા આવ્યા હતા. વાતોનો ખજાનો તો ખુટતો જ નહોતો. જે હોટેલમાં ભેગા થયા હતા ત્યાં હાસ્યની રમઝટ જામી હતી. જે શિક્ષકો આવી શક્યા એ બધા પણ આવ્યા હતા, અને જોવાની ખુબી એ હતી કે મારી મમ્મી સાથે કામ કરેલ જયશ્રીબેન નાણાવટી પણ ત્યાં હતા અને મેંં પણ બાવીસ વર્ષ એમની સાથે કામ કર્યું. કેટલીય યાદો એમની સાથે સંકળાયેલી. રૂક્ષ્મણીબેન જે મમ્મી સાથે હતા, એમની ભાળ મળતા હું એમને મળવા ગઈ તો એટલા રાજી રાજી થઈ ગયા. સ્ત્યાસી વર્ષે એમના પતિના અવસાન બાદ એકલા રહે છે અને પોતાનુ બધું કામ રસોઈ જાતે જ કરે છે. મને કહે “મારે તો તને મારી પાસે રાખવી હતી, ક્યાં અમેરિકા ભાગી ગઈ?”
વડોદરા કલાબેન બુચ પણ મમ્મી સાથેના સમયથી અને પછી અમે સાથે કામ કર્યું. જાતિએ નાગર એટલે રમુજ એમના જીવન સાથે જોડાઈ ગઈ હોય. નલીન ભાઈ એમના પતિ. નાનપણથી મમ્મી સાથે હું ને મારી બેન પારૂલ એમને ત્યાં જઈએ એટલે અમે તો એમના માટે છોકરી જેવા. મળવા માટે ફોન કર્યો અને મેં કહ્યું મારે કલાબેનને મળવું છે તો નલીનભાઈ બોલી ઉઠ્યા “કેમ મને નથી મળવાનુ? તું આવીશને તો મને પણ ગળ્યું ખાવાનુ મળશે, બાકી કલા તો મને કંદમુળ ખવડાવે છે આ ડાયાબિટીશની લાહ્યમાં” બન્નેની વય નેવું ની આસપાસની. ઘરમાં પણ વોકર લઈને ફરે. આ ઉમ્મરે પણ કલાબેનનો ઠસ્સો એવો ને એવો જ. કપાળે મોટો ચાંદલો અને એ જ હાસ્યની રેખા મોઢા પર. રસોડામાં ભેળની બધી સામગ્રી તૈયાર રાખી હતી. મને કહે બનાવવાની તારે છે, તારા ટેસ્ટ પ્રમાણે. પાછળ જ નલીનભાઈનો ટહુકો સંભળાયો મજેદાર તીખી મીઠી બનાવજે. તને દિકરી માની છે તો આટલો લાહવો તો લઈએને કામ કરાવવાનો.
કેવું મારૂં સૌભાગ્ય કે હું આ બધાને મળી શકી અને કેટલીય યાદો ફરી પાછી લીલીછમં વેલની જેમ મનને વીંટળાઈ વળી.
મારા સહુ વિધ્યાર્થીઓ ને આ પ્રસંગે આશિર્વાદ આપતુ નાનકડુ કાવ્ય રચ્યુ છે.
દીધું જે જ્ઞાન, દિપાવ્યું આજે,
નામ ગુરૂનુ ઉજાળ્યું આજે.
વાવ્યું જે બીજ જ્ઞાન નુ અમ સહુએ,
જુઓ કેવું વટવૃક્ષ બની ખીલ્યું આજે.
જાળવ્યો વારસો ગુરૂ-શિષ્ય પરંપરાનો,
ઉજવીને ગુરૂપૂર્ણિમા અમ જીવન મહેકાવ્યું આજે.
છે આશિષ અમ સહુ ગુરૂજન ના,
થાય ઉન્નતિ તમ સહુની, કુળ દિપાવ્યું આજે.
ખુબ ખુબ આશીર્વાદ સાથે,
શૈલા મુન્શાના સસ્નેહ વંદન.