કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ
ટેલીકાસ્ટ થવું જોઈએ,
ને કાં તો જીવતા હોઈએ ત્યારે,
મૃત્યુનુ એક રિહર્સલ થવું જોઈએ.
કોણ આવશે પ્રસંગમાં? કોણ મને
અડશે? કોણ કેટલું રડશે?
એ સમયે જો હું જ નહિ હોઉં,
તો યાર મને ખબર કેમ પડશે?
ઈશ્વરની બાજુમાં બેસીને,
FULL HDમાં મારે મારૂં મૃત્યુ જોવું છે,
મારા જેવી વ્યક્તિ મરી ગઈ,
એ વાત પર મારે પણ થોડું રોવું છે.
કેટલાક ચહેરાઓ છેક સુધી ધુંધળા દેખાયા,
એ ચહેરાઓ સ્પષ્ટ જોવા છે.
ચશ્માના કાચ, કારની વિંડસ્ક્રીન અને,
ઘરના અરીસાઓ મારે સાફ કરવા છે.
જેમને ક્યારેય ન કરી શકી એવા કેટલાક લોકોને,
જતા પહેલા મારે માફ કરવા છે!
મને અને મારા અહંકાર બન્નેને,
મારે જમીન પર સૂતેલા જોવા છે.
મારે ગણવા છે કે કેટલા કટકાઓ,
થાય છે મારા વટના?
મારે પણ જોવી છે મારી જીંદગીની,
સૌથી મોભાદાર ઘટના.
આમ કારણ વગર કોઈ હાર
પહેરાવે, એ ગમશે તો નહિ.
પણ તે સમયે એક સેલ્ફી પાડી લેવી છે.
ગમતા લોકોની હાજરીમાં કાયમ
ને માટે સૂતા પહેલા, એકવાર મારે
મારી જાતને જગાડી લેવી છે.
એક વાર મારે મૃત્યુનુ રિહર્સલ કરવું છે.
હે ઈશ્વર,
કાંતો તું મૃત્યુનુ ફોરકાસ્ટ કર,
ને કાં તો મારા મૃત્યુનું સ્વર્ગમાં
તું લાઈવ ટેલીકાસ્ટ કર.
“અનામી કવિની રચના” વોટ્સપ પર મિત્ર દ્વારા મોકલાયેલી.