દીમાન્તે
દીમાન્તે દશ વર્ષનો છે. એટલાન્ટા દાદી સાથે રહેતો હતો કારણ, માબાપ અલગ થયા અને માએ બીજા લગન કર્યા. થોડા વખત પહેલા દાદી ગુજરી ગઈ અને દીમાન્તે હ્યુસ્ટન આવ્યો એના બાપ પાસે. દીમાન્તે મંદબુધ્ધિનો બાળક તો છે જ પણ સાથે એનુ વર્તન પણ આક્રમક છે. થોડા દિવસ પહેલા એ અમારા “Life skill” ના ક્લાસમા આવ્યો. મંદબુધ્ધિના બાળકો જ્યારે અમારા ક્લાસમાથી(PPCD) Life skill ના ક્લાસમા જાય ત્યારે ત્યાં પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધી એક જ ક્લાસમા હોય. એ ક્લાસમા છ વર્ષથી માંડી ને દશ અગિયાર વર્ષના બાળકો હોય. દર વર્ષે એમની વય પ્રમાણે એમની ફાઈલ બદલાતી જાય અને લેબલ બદલાતું જાય કે ભાઈ હોસે હવે પહેલા માથી બીજા ધોરણ મા આવ્યો પણ ક્લાસ ના બદલાય.
દીમાન્તે જ્યારે એ ક્લાસમા આવ્યો ત્યારે દશ બાળકો પહેલેથી જ ક્લાસમા હતા ને જુદી જુદી વયના હતા. બેચાર દિવસ તો દીમાન્તે નુ વર્તન બહુ ચિંતાજનક નહોતુ. એ નવો અને એને માટે વાતાવરણ પણ નવું, પણ છેલ્લા ત્રણ દિવસથી એના તોફાને માઝા મુકી છે. ક્લાસમા કબાટ પર ચડી જાય, ખુરશી ઉપાડીને છૂટ્ટો ઘા કરે, ચીસાચીસ કરી મુકે. પહેલે દિવસે જેવો એ ટેબલ પર ઊભો થઈ કબાટ પર ચડ્યો કે બીજા બધા બાળકો ડરના માર્યા અમારા રૂમમા ધસી આવ્યા. અમારા બે ક્લાસ વચ્ચે કોમન દરવાજો છે. અમારા નાના બાળકો પણ આ કોલાહલથી ગભરાઈને રડવા માંડ્યા. અમારો દમાની આમ પણ ઘરમા એકનો એક, બહુ ઘોંઘાટ સહન ના કરી શકે એ તો આવીને મારી સોડમા ભરાઈ ગયો.
છેલા ત્રણ દિવસ થી જાણે ભૂકંપ કે સુનામી આવેને લોકો નાસભાગ કરે એવી હાલત થઈ છે. સાયકોલોજીસ્ટ ને social worker, Special Ed Dept. head બધાનો શંભુમેળો ભેગો થાય પણ તકલીફ એ થાય કે જ્યારે બધા આવ્યા હોય તો દીમાન્તે સામાન્ય બાળકની જેમ શાંતિથી પોતાનુ કામ કરતો હોય.
આ દેશની એક ખુબી છે બધું કામ પધ્ધતિસર થવું જોઈએ. દીમાન્તે માટે આટલા બધા બાળકો સાથે હોય એવો ક્લાસ યોગ્ય નથી. અણજાણતા એ કોઈ ને અથવા પોતાને હાનિ પહોંચાડી બેસે પણ આ બધું સાબિત થવું જોઈએ. એ કાગળીયાં કરવામા જ એટલો બધો સમય જાય દરમ્યાન જો કાંઈ થાય તો વાંક બધો શિક્ષકનો આવે.
દીમાન્તે નો પણ કાંઈ વાંક નથી. એ અબુધ બાળકને ખ્યાલ પણ નથી કે એ શું કરી રહ્યો છે, ઉપરાંત એટલાન્ટા મા એ ખાસ ક્લાસમા હતો જ્યાં બે થી ત્રણ બાળકો ક્લાસમા હોય અને બે શિક્ષક ધ્યાન રાખનારા હોય. અચાનક એ પણ બેત્રણ ને બદલે દશ બાર છોકરાઓના ક્લાસમા આવી ગયો જ્યાં એની ઊમરના પણ ત્રણ ચાર બાળકો છે અને થોડા ધમાલિયા પણ છે.
આપણે કહીએ છીએ ને કે સરકારી ઓફીસોમા માણસો જેમ જુના થાય તેમ ખાઈ બદે. સરકારના જમાઈ બની જાય ને દાદાગીરી કરતાં થઈ જાય તેમ આ બાળકો પાંચ વર્ષ એક જ ક્લાસમા હોય એટલે જાણે એમને પણ થોડો માલિકી ભાવ આવી જાય અને પોતાનુ ધાર્યું કરવાનો પ્રયત્ન કરે. સમજ તો બહુ હોય નહિ અને અનુકરણ જલ્દી શીખી જાય આ બધું દીમાન્તે ને ઉશ્કેરવા માટે પુરતું હતું.
ભગવાન કરે ને દીમાન્તે ને યોગ્ય વાતાવરણ મળી જાય અને એનો એના પ્રમાણમા વિકાસ થઈ શકે.
શૈલા મુન્શા. તા. ૦૫/૦૪/૨૦૧૧