સંભારણું – ૬-૧૯૭૨ થી ૨૦૨૨ – આ જીવન શિક્ષિકા
src="http://shailamunshaw.gujaratisahityasarita.org/files/2022/06/sambharnu-300×283.png" alt="" width="300" height="283" class="alignnone size-medium wp-image-1338"
અષાઢમાં આવતો ગુરુ પૂર્ણિમાનો તહેવાર બધા શિક્ષકોના જીવનનો મહત્વનો અને યાદગાર દિવસ હોય છે. મારા માટે આ પચાસ વર્ષની યાત્રા અતિ મુલ્યવાન સંભારણું છે.
આજે ઘણા સમયે ડાયરી હાથમાં લીધી, કારણ એક તો નીંદર આંખથી વેરણ થઈ ગઈ હતી. નિંદ્રાદેવીને શરણે જવાના પ્રયાસ નાકામા થતાં લાગ્યાં ત્યારે થયું મનમાં ઊભરાતા વિચારોના વંટોળ જંપવા નહિ દે, અને ક્યાંથી જંપવા દે!!! આવતી કાલની સવાર બસ મારા જીવનના એક અધ્યાયની છેલ્લી સવાર! વર્ષો વિતાવેલી શિક્ષિકાની કારકિર્દીને આખરી સલામ!!!
યૌવનના પગથારે કોઈ ખાસ ઘટના કે બનાવ એક ડાયરીમાં ટપકાવવાની આદત હતી, થોડા વર્ષો એ ક્રમ ચાલ્યો અને વિસરાયો, પણ અમેરિકા આવી સામાનમાં સાથે રાખેલી ડાયરીએ ફરી રોજિંદા પ્રસંગો રુપે અવનવા પ્રસંગો ટપકાવવાની એ ટેવ સજીવન થઈ.
૧૯૭૨ થી ૨૦૨૨
પચાસ વર્ષનો સમયગાળો!! મારા જીવનનુ અવિસ્મરણીય સંભારણું,
૧૯૭૨નો એ ગોઝારો દિવસ જ્યારે અમે અમારી મમ્મીને એક જીવલેણ અકસ્માતમાં ગુમાવી. પપ્પાનું અવસાન પહેલાં જ થઈ ગયું હતું અને મમ્મી નૂતનવિદ્યામંદિર સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરી અમારો ઉછેર કરી રહી હતી. મારું કોલેજનું ભણતર હજી પુરું જ થયું હતું અને આ કારમો આઘાત સહેવાનો વારો આવ્યો. મારાથી નાની બહેન અને સાવ નાનકડો ભાઈ.
કહેવાય છે કે રાતે અસ્ત થતો સૂર્ય સવારે ઉદય પામે જ છે એમ મારા જીવનમાં બે સૂર્યનો ઉદય થયો. અમારા નાના, નાનીએ અમારો હાથ ઝાલી અમને પાંખમાં લીધાં અને સ્કૂલના સંચાલકોએ મને મમ્મીની જગ્યાએ સ્કૂલમાં શિક્ષિકાની નોકરી આપી મારા મમ્મી પ્રત્યેનો આદર અને અહોભાવ એ રીતે વ્યક્ત કર્યો.
જે સ્કૂલમાં હું મમ્મીની દીકરી બની પ્રસંગોપાત જતી ત્યાં એક સહ શિક્ષિકા તરીકે સહુએ મને વહાલ અને પ્રેમથી અપનાવી લીધી. મારા વડીલ શિક્ષકગણની હું લાડકી દીકરી જ રહી, સહુની દોરવણી અને માર્ગદર્શને સરળતાથી હું જીવનનો એ અધ્યાય શરુ કરી શકી. એકવીસ વર્ષના એ સમયગાળામાં કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું!!
દર વર્ષે આવતાં નવા વિદ્યાર્થીઓ જેમને મેં દસમા, અગિયારમાં ધોરણમાં ભણાવ્યા એ આજ સુધી મને એટલો પ્રેમ અને આદર આપી રહ્યાં છે, સતત સંપર્કમાં છે. ૧૯૭૨થી ૧૯૯૩, હજારો વિદ્યાર્થીઓ આજે એમના જીવનમાં પ્રગતિ કરી રહ્યાં છે અને એમની પ્રગતિનું શ્રેય જ્યારે અમ શિક્ષકોને આપે છે ત્યારે જીવતર ધન્ય થયું લાગે છે. ૨૦૦૦ની સાલમાં અમેરિકા જવાનુ થયું પણ નૂતનવિદ્યામંદિર, એ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની યાદનો ખજાનો મારા હૈયામાં સંઘરાયેલો રહ્યો. મારી ૨૦૧૮ની ભારત મુલાકાત એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યાદગાર બનાવી દીધી. મારા માટે ખાસ મોટા મેળાવડાનું આયોજન કર્યું. મમ્મી સાથે કામ કરી ચુકેલા અને મારી સાથે પણ કામ કરી ચુકેલા કેટલાક વડીલ શિક્ષકોને મળવાનો, એમનો વાત્સલ્યભર્યો હાથ આશીર્વાદરુપે મસ્તકે અનુભવવાનો અનેરો લહાવો મળ્યો સાથે કેટલાકના અવસાનના સમાચાર દિલને રડાવી ગયા.
એ બાળકો જે આજે તો પચાસની ઉમરે પહોંચવા આવ્યા છે, એમની સાથે વિતાવેલી એ સાંજ અને સ્કૂલના જુના અનુભવો, અમારી ખાસિયતો, અનુભવોના પ્રસંગો ફરી એમના મુખે સાંભળી હાસ્યના ફુવારાથી હોલ ઝાકમઝાળ થઈ ગયો. કેટલાય સ્મરણોનું નવું ભાથું યાદોના ખજાનામાં ઉમેરાયું!!!
૨૦૦૧ થી અમેરિકામાં પણ મારો મનગમતો વ્યવસાય શિક્ષિકાનો જ અપનાવ્યો, ફક્ત ફરક એટલો હતો કે અહીં અમેરિકામાં દિવ્યાંગ બાળકો, માનસિક રીતે થોડા અસ્વસ્થ બાળકો સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો. અહીં આવી નવી શિક્ષણ પધ્ધતિ અને બાળકોને મળતા વિવિધ લાભ વિશે ઘણુ શીખવા મળ્યું.
અમેરિકામાં બાળકોને બધા જ પ્રકારની સગવડ અને ખાસ કરી ભણતર માટે જે સુવિધા છે એને NCLB (NO CHILD LEFT BEHIND) કહેવાય છે. જ્યાં બાળકોને અને એમના ભણતરને સર્વ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. બધી જ પબ્લિક સ્કૂલમાં બારમા ધોરણ સુધી વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે. વિદેશી બાળકોને અંગ્રેજી શિખવાડવા દરેક સ્કૂલમાં ખાસ સુવિધા હોય.
ભારતમાં ભલે હું માધ્યમિક વિભાગના બાળકોને ભણાવતી હતી, પણ અમેરિકામાં પ્રાથમિક વિભાગ જેને પ્રાથમિક શાળા કહેવાય છે ત્યાં ૨૨ વર્ષ નાના ત્રણ થી છ વર્ષના દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું અને જીવનમાં ઘણા નવા અનુભવોનું ભાથું ભેગું કર્યું. દરેક બાળકની પીડા, જુદી જુદી લાગણી, જુદા જુદા લેબલ એમની માનસિક અવસ્થા પ્રમાણે, અને સાથે માતા પિતાનું વર્તન એમની સાથે!!
દુનિયાની નજરે દિવ્યાંગ બાળકો, મારી નજરે કોઈ સામાન્ય બાળક થી કમ નથી એ મને સમજાયું. આ નિર્દોષ દેવદૂતોનો અઢળક પ્રેમ હું પામી. બે દિવસની ગેરહાજરી પછી જ્યારે સ્કૂલે પહોંચુ અને બધા બાળકો કિલકારી કરતાં વિંટળાઈ વળે એ સુખ જેણે માણ્યું હોય એ જ જાણે!! એમના નટખટ તોફાનો અને મસ્તીએ મને એમના રોજિંદા પ્રસંગો લખવા પ્રેરણા આપી અને મારા બ્લોગ પર લખાતાં એ પ્રસંગો “બાળ ગગન વિહાર” પુસ્તક રુપે પ્રકાશિત થયાં. એ પુસ્તકના પ્રસંગોએ ભારતના ખંભાત શહેરના શિક્ષક રાજેશભાઈને દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાના નવા વિચાર મળ્યાં અને એમનો આભાર વ્યક્ત કરતો પત્ર જ્યારે મને મળ્યો ત્યારે મને મારું કાર્ય અને જીવવું સાર્થક લાગ્યું.
૮ જુન ૨૦૨૨ના દિવસે શિક્ષિકા તરીકેના મારા જીવનના એક અધ્યાયનું સમાપન થયું. શિક્ષિકા તરીકે નિવૃત થઈ. પચાસ વર્ષ મોટા થી નાના બાળકો વચ્ચે વિતેલી જીંદગી!! ભારત અને અમેરિકા, બધેથી મળેલો અને આજે પણ મળતો રહેલો નિઃસ્વાર્થ પ્રેમ, એ મારો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે.
નિવૃત થવાનો વિચાર કર્યો ત્યારથી મન વિતેલા વર્ષોનુ સરવૈયું કાઢી રહ્યું હતું અને પલ્લું બસ પ્રેમ, પ્રેમ, આદર અને મળેલી લાગણીથી ઝુકેલું હતું.
હ્યુસ્ટનની મોટી સ્કૂલ ડિસ્ટ્રીક (Houston Independent school District) એના special need Department તરફથી લગભગ ૪૦૦ જેટલી સ્કૂલમાંથી મને મળેલો Best Teacher Assistant નો ખિતાબ મારા માટે સર્વોત્તમ પુરસ્કાર છે.
સ્કૂલના છેલ્લા દિવસે પ્રિંન્સીપાલ, સહુ સાથી શિક્ષકો, સ્ટાફ તરફથી મળેલું માન સન્માન અને વિશેષ તો મારા નાના બાળકો અને એમના માતા પિતા તરફથી મળેલા લાગણીસભર પત્રો એ મારા જીવનનું અતિ મુલ્યવાન સંભારણું છે.
કાલ હું નહિ રહું, પણ મારા મોટા કે નાના વિદ્યાર્થીઓના મનમાં શૈલાબહેનની એક મીઠી યાદ જરુર રહેશે અને એ જ તો મારી મુડી છે!
મારા જીવનનું એક અતિ મુલ્યવાન સંભારણું છે.
અસ્તુ,
શૈલા મુન્શા તા.જુન ૦૮/૨૦૨૨
www.smunshaw.wordpress.com