November 23rd 2025

સંભારણું – સરોજબેન ૯ – સપ્ટેમ્બર ૧૯૭૨

શ્રાવણ મહિનો આવે અને ભારતમાં તહેવારોની મોસમ શરુ થઈ જાય. ભારતમાં આમ તો બારેમાસ કોઈને કોઈ તહેવાર ઉજવાતા હોય છે. અનેકતામાં એકતા અને સર્વધર્મ સમભાવનાના આપણા દેશમાં તહેવારોની ક્યાં ઓછપ હોય છે!
હમણા ગણેશોત્સવના તહેવારની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પરંપરાગત ઘરમાં અને સાર્વજનિક રુપે આ તહેવાર ઉજવાય છે. શ્રી લોકમાન્ય ટિળકે પરતંત્ર ભારતની જનતામાં જોશ અને દેશભાવના જાગૃત કરવા આ તહેવારની શુભ શરૂઆત કરી હતી અને આજે ફક્ત ભારતમાં જ નહિ, દુનિયાભરમાં ખૂબ ઉત્સાહપૂર્વક બાપ્પાની પધરામણી અને વિસર્જન થાય છે.
તહેવારો સાથે મારા અંગત સંબંધો અને લાગણી જોડાયેલા છે.સામાન્યતઃ કદાચ બધાને અમુક તહેવાર પ્રતિ વિશેષ લાગણી કે લગાવ હોઈ શકે!!
જ્યારે પણ ગણેશોત્સવનો તહેવાર આવે છે, મારું મન અચૂક સ્મરણોના એ મુકામ પર પહોંચી જાય છે જે મારા જીવનની વસમી વાસ્તવિકતા, દર્દને ઝંઝોડી દે છે!!
૧૯૭૨ ભાદરવા સુદ બીજ! એ કાળ ચોઘડિયે અમે ભાઈ બહેનોએ અમારી માતાને અકસ્માતમાં ગુમાવી. એ કારમી પળ એ યાતના મારા જીવન સાથે સતત વણાયેલી છે જેને હું એક પળ પણ વીસરી શકતી નથી. પિતા તો અમે પહેલા જ ગુમાવ્યા હતા અને આ બીજો કારમો વજ્રાઘાત!! મારી સાથે નાની બહેન અને સાવ નાનકડો ભાઈ જેને સમજ પણ નહોતી કે શું થઈ રહ્યું છે?
મારું આ સંભારણું ફક્ત દુઃખદ યાદોનુ જ નથી, પણ એ દુઃખમાં જે સહારો મળ્યો એ સ્મરણનોને મોગરાના ફુલની જેમ મઘમઘતા રાખવાનો છે. નાના, નાનીએ તો અમને સંભાળી જ લીધાં, પણ મારી બાળપણની સખી નયના અને એનો પરિવાર જે મને એમની ત્રીજી દીકરી જ ગણતા એની બહુ મોટી ઓથ મળી.
બે દિવસ પછી ભાદરવા સુદ ચોથ. ગણપતિ બાપ્પાની પધરામણીનો દિવસ. નયનાને ત્યાં વર્ષોથી બાપ્પાની પધરામણી થાય અને હું અને મારો પરિવાર એ ઉત્સવનો અવિભાજ્ય અંગ હોઈએ.
મને બરાબર યાદ છે ૧૯૭૨નો એ દિવસ!! મમ્મીના અવસાનને બે દિવસ થયા હતા, મારી એ નાસમજ ઉમરમાં મને કોઈ ધાર્મિક રિવાજોનો ખ્યાલ નહોતો, કે કોઈ સૂતક લાગે એવો ખ્યાલ નહોતો. નાના ઘણા સુધારાવાદી હતા અને મારા મમ્મીની ખાસ બહેનપણીનો દીકરો રાજુ અમને નયનાને ત્યાં લઈ ગયો. ત્યાં પણ બધાએ સહજતાથી અમને આવકાર્યા, આરતીમાં ભાગ લેવા દીધો અને ખાસ તો મારા નાનકડા ભાઈ પાસે પ્રેમથી આરતી કરાવી, મોદક ખવડાવી ખુશ કરી દીધો.

મમ્મીના અવસાન પછી અને મારા લગ્ન પછી મારા માટે પિયર જવાના એક નહિ પણ ત્રણ ત્રણ ઘર હતાં. નાના નાની તો કલકત્તા હતા અને મારા ભાઈ બહેન પણ એમની સાથે કલકત્તા હતાં, પણ મુંબઈમાં નયનાનુ ઘર, જ્યોત્સનાબહેન અને નીલા જે મારી નાની બહેનની ખાસ સખી હતી એનુ ઘર.
આજે એ દિવસો યાદ કરું છું ત્યારે મન અહોભાવથી તૃપ્ત થઈ જાય છે. નયનાને ત્યાં મારા બાળકોના જન્મ પછી જ્યારે પણ જઉં, ઘર આખું મારા બાળકો પાછળ ઘેલું થઈ જાય, કારણ ઘરમાં હજી બીજા કોઈ નાના બાળકનુ આગમન નહોતું થયું. એ લાડ અને પ્રેમ નાના, નાનીનો મારા બાળકોને અનરાધાર મળ્યો અને આજે પણ મારી દીકરી અને દીકરો એમને મામા, કે માસી કહીને જ બોલાવે છે.

મને બરાબર યાદ છે નયનાનો નાનો ભાઈ રાજેશ ત્યારે મુછ રાખતો અને મારી નાનકડી દીકરી શ્વેતા જ્યારે પણ રાજેશના હાથમાં હોય, શ્વેતાના ગાલને મુછથી હેરાન કરતો, પણ શ્વેતાને મજા આવતી અને એ મુછ ખેંચવાનો પ્રયાસ કરતી. આજે પણ જ્યારે વાત થાય રાજેશ શ્વેતાના નટખટ તોફાનોને યાદ કરતો રહે છે.
નીલાના મમ્મી પદ્માબહેન જેને અમે સહુ બા કહેતા, એમણે ઘરમાં પારણાઘર શરું કર્યું હતું અને હું લગભગ બે ચાર મહિને એમને ત્યાં રહેવા જતી. મારા બાળકોને ત્યાં ખૂબ મજા આવતી અને પારણાંઘરના શિક્ષકો પણ એમને વિશેષ લાડ કરતાં. નીલાના લગ્ન પછી દિપક એના પતિનો પણ એટલો જ સાથ સહકાર મળતો રહ્યો.
જ્યોત્સનાબહેન મારા મમ્મીના અવસાન પછી તરત મારે ત્યાં આવ્યા, પપ્પાના અવસાન પછી મમ્મી હમેશા આછા કલરની સાડી પહેરતી, ભુરી, કે બદામી કે રાખોડી. જ્યોત્સનાબહેન જેને રાજુ, વિહારની જેમ અમે પણ મા કહીને જ બોલાવતા એમણે મારા કબાટમાંથી એ બધી સાડીનુ પોટલું વાળી અનાથાશ્રમમાં મોકલાવી દીધું અને સરસ રંગીન સાડીઓનો જથ્થો મારા કબાટમાં ગોઠવી દીધો. મમ્મી જે સ્કૂલમાં શિક્ષિકા હતી ત્યાં મને મમ્મીની જગ્યાએ નોકરી આપી મમ્મી પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો અને મા નહોતા ઈચ્છતા કે હું એવી આછા કલરની સાડી પહેરી નોકરીએ જઉં. જ્યોત્સનાબહેનનો દીકરો રાજુ જ્યારે અમે બે બહેનોને ભાઈ નહોતો ત્યારે એક રક્ષાબંધને દરવાજે આવી ઊભો, રાખડી બંધાવી અને આજ પર્યંત સગા ભાઈથી વિશેષ સંબંધ જાળવ્યો છે.
સ્મરણોની આ કેડી પર જ્યારે પાછળ ફરીને નજર કરું છું ત્યારે હૈયું ખુશીથી છલકાઈ ઉઠે છે. કેટલો પ્રેમ, આદર, લાગણી હું પામી છું. બા નથી રહ્યાં, મા નથી રહ્યાં, નયનાના મમ્મી, પપ્પા નથી રહ્યાં પણ સંબંધોના તાર એટલા જ મજબૂત રહ્યાં છે.
આ બધામાં અત્યારે મારી મમ્મીની જગ્યાએ સુશીમામી મમ્મી બની રહ્યાં એ તો કેમ જ વિસરાય! મારા નાના ભાઈ બહેનને પોતાની સોડમાં લીધાં અને અમને ક્યારેય મમ્મીની ખોટ ના વરતાવા દીધી, એ મોસાળ એ મામા માસી સહુના અતૂટ પ્રેમે હમેશ અમારા જીવનને સહ્ય બનાવ્યું છે.
ભાદરવા સુદ બીજ ફક્ત મારા મમ્મી જ નહિ પણ મારા સાસુની પણ પુણ્ય તિથિ. લગ્ન પછી જયાબહેન, મારા સાસુએ કદી મને મમ્મીની ખોટ વરતાવા દીધી નહોતી અને મારા બાળકો પણ પુરા નસીબદાર કે દાદા દાદીની છત્રછાયા અને હેતમાં મોટા થયાં.
આટલો પ્રેમ મેળવવા હું ભાગ્યશાળી બની એનુ સઘળું શ્રેય મારી મમ્મીએ જે આંબો વાવ્યો હતો એના મીઠા ફળ મને માણવા મળ્યાં
આજે ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ મમ્મીના અવસાનને બરાબર પચાસ વર્ષ થયાં.
એ મમ્મીના ગુણ અને સંબંધ સાચવવાની સુઝ અને પ્રેમાળ સ્વભાવ વ્યાજ સહિત હું અને મારા ભાઈ બહેન માણી રહ્યાં છીએ. માતા પિતાની યાદ તો સદા આપણા જીવન સાથે જોડાયેલી હોય છે, એ સુવાસ ક્યારેય કરમાતી નથી, એક મીઠું સંભારણું બની સદા મહેકતી રહે છે!
નત મસ્તકે આ શ્રધ્ધાંજલિ મારી મમ્મી અને સાથે મા સ્વરુપે પ્રેમ વરસાવનાર સર્વ માતાઓને!!

અસ્તુ,

શૈલા મુન્શા સપ્ટેમ્બર ૯/૨૦૨૨

November 18th 2025

હાઈકુ –

૧ – આપી તે પાંખ
ઉડવાને ગગન,
બિછાવી જાળ!

૨ – અક્ષરો દોરે,
તસ્વીર સમાજની
કાગળ પર!

૩ – નિઃશબ્દ વાણી,
એકને જીવન ને
બીજે માતમ!

૪ – ખસે પથ્થર
ભાંગતી ઈમારત
જેમ જીવન!

૫ – આંખો બોલતી,
સિવાઈ ગયા હોઠ;
ગોપાવી દર્દ!

૬ – ખુશી ચહેરે,
દુનિયાની નજરે;
કમાડ બંધ!

૭ – યાદ છે આજે,
વિસરાઈ જાશે શું?
કદાચ કાલે.

૮ – મુલ્ય કેટલું,
સમજાયું જ આજે
સહવાસનું.

૯ – સંબંધ બચ્યાં,
આંગળીના ટેરવે;
લાગણી બુઠ્ઠી!

શૈલા મુન્શા તા.૧૮/૧૧/૨૦૨૫
www.smunshaw.wordpress.com

November 2nd 2025

ગૌરી પુત્ર ગણપતિ

પુત્ર શિવના, ઈશાનપુત્ર કહેવાયા,
માત ગૌરીના પુત્ર ગૌરીપુત્ર કહેવાયા.
સ્કંદ વડિલબંધુના નામે સ્કંદપુર્વજ કહેવાયા,
બ્રહ્માંડના છે પ્રણેતા વિશ્વામુખ કહેવાયા
ધારી ગજ મસ્તક, ગજાનન કહેવાયા
સુંઢ ધરી હાથીની, ગજાવક્ત્ર કહેવાયા
છે મોટા ઉદરવાળા, લંબોદર કહેવાયા
સ્વામી છે બુધ્ધિના, બુધ્ધિનાથ કહેવાયા
પૂજે દુનિયા આખી, દેવાદેવ કહેવાયા
આકાર ઓમ સમો તો ઓમકારા કહેવાયા
વિઘ્નોને દુર કરનારા વિઘ્નહર્તા કહેવાયા
ને બધા ગણોના મુખી ગણપતિ કહેવાયા
ગણપતિ બાપ્પા મોરિયા ઘર ઘર ગુંજે નાદ,
ગણપતિ પૂજન હર શુભ કાર્યની શરૂઆત
નમું છું નત મસ્તકે, કરૂં વિશ્વકામના
હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા, હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા

શૈલા મુન્શા તા. ૦૨/૧૧/૨૦૨૫
www.smunshaw.wordpress.com

October 15th 2025

એક ડગલું આગળ રહે કુદરત!

માનવી તો ઘણુંય ઈચ્છે આંબવા સૂરજ,
ભુલે, જ્યાં એક ડગલું આગળ રહે કુદરત.

નજર સામે દેખાય નભને ધરતી એકાકાર,
ના મળે કદી, ભ્રમ નજરનો સરજાવે કુદરત.

કરીં ભેગા તણખલાં બનાવે નિજ માળો પંખી,
આંધીના સપાટે તણખલાં વિખરાવે કુદરત.

ઊભો સુકાની ઝાલીને શઢ, કિનારો નજર સામે;
ડુબીએ નાવ, ક્ષણમાં લાવે સુનામી એ કુદરત.

માનવી તો ઘણુંય ઈચ્છે આંબવા સૂરજ,
ભુલે, જ્યાં એક ડગલું આગળ રહે કુદરત.

શૈલા મુન્શા તા. ૧૫/૧૦/૨૦૨૫

October 11th 2025

દેવિકાબહેન

પ્રિય દેવિકાબેનને,
સીત્તેરમી વર્ષગાંઠની વધામણી

જન્મની ક્ષણ ભલે ના હોય યાદ,
પણ વીતતા વર્ષો ક્યાં ભુલાય છે?
વિતેલું બાળપણ બાળકો અને,
એમનાય બાળકોમાં પાછું જીવાય છે!!

જન્મદિવસ ભલે ઉજવાતો એક દિન,
પણ હર પળ જીવન આગળ વધતું જાય છે!!!
ઉજવીએ આજે એવો જન્મદિન,
આપવા શુભેચ્છા એમને જગત તરસે!!
સીત્તેર વર્ષે સદા યુવાન દેવિકાબેન,
અક્ષરની ઓળખથી પહોંચ્યા કલમને કરતાલે!
વાણી જેમની ગુજરાતીને ભુમિ મા ગુજરાત છે,
વેશભૂષા ભલેને વિદેશી, પણ ગૌરવ ગુજરાતીપણાનુ છે.
શબ્દ, અક્ષર અને કલમની સાધના જેમની અવિરત ચાલતી રહે છે,
જેમની ઓળખ ઉગમણી કોરથી આથમણી કોરના ઉજાશે પહોંચી છે,
એવા હ્યુસ્ટનના ગૌરવવંતા કવિયત્રી દેવિકાબેનને,
જન્મદિવસની ખૂબ ખૂબ વધામણીને, કોટિ કોટિ અભિનંદન

શૈલા મુન્શા-પ્રશાંત મુન્શા
તા. ૭ ફેબ્રુઆરી ૨૦૧૮

વિજ્ઞાન વિજ્ઞાન

August 26th 2025

ગૌરીસુત

પુત્ર શિવના ઈશાનપુત્ર કહેવાયા
ને માત ગૌરીના સુત ગૌરીસુત કહેવાયા
સ્કંદ(કાર્તિકેય)વડિલબંધુ નામે સ્કંદપુર્વજ કહેવાયા
બ્રહ્માંડના છે પ્રણેતા વિશ્વામુખ કહેવાયા
ધારી ગજ મસ્તક ગજાનન કહેવાયા
સુંઢ ધરી હાથીની ગજાવકત્ર કહેવાયા
મોટા ઉદરવાળા લંબોદર કહેવાયા
સ્વામી છે બુધ્ધિના, બુધ્ધિનાથ કહેવાયા
પૂજે દુનિયા આખી દેવાદેવ કહેવાયા
આકાર ઓમ સમો તો ઓમકારા કહેવાયા
ને બધા ગણોના મુખી ગણપતિ કહેવાયા
ગણપતિ બાપ્પા મોરિયા ઘર ઘર ગુંજે નાદ
ગણપતિ પુજન હર શુભ કાર્યની શરુઆત
વિઘ્નોને દુર કરનારા વિઘ્નહર્તા કહેવાયા
નમું નત મસ્તકે, કરું વિશ્વકામના
હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા, હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા.

શૈલા મુન્શા તા.૨૬/૦૮/૨૦૨૫

August 17th 2025

સંભારણું – ૬ -૮ – પ્રિન્સિપાલ

આજનું આ સંભારણું અમારી શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી ઈન્દુબહેનને સમર્પિત છે. ઓગસ્ટ ૮/૨૦૨૫ના રોજ એમણે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં. અમે સહુ એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એમનો ૧૦૦મો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. મેં ૧૯૬૭માં અગિયારમું ધોરણ પાસ કર્યું, અને આજે પણ ઈન્દુબહેનને અમે યાદ છીએ.

પાયાની કેળવણી અને કેળવણીનો પાયો. કેળવણીની વાત કરીએ તો સાથે કર્તા પણ આવે અર્થાત કેળવણી આપનાર, અધ્યાપક, શિક્ષક; સાદી ભાષામાં કહીએ તો ગુરૂ.
જન્મભૂમિ પ્રવાસી મુંબઈના સમાચાર પત્રમાં તા.૧૪/૧૧/૨૦૨૧ એ શ્રી ઈન્દુબહેન પટેલ મારા શાળા જીવનના પ્રિન્સિપાલ માટે છપાયેલ લેખ આ સંભારણું લખવામાં નિમિત્ત છે. જોગાનુજોગ આજનો દિવસ ભારતમાં બાળદિન તરીકે ઉજવાય છે અને બાળકોના જીવનમાં માત પિતા, તેનો પરિવાર અને ત્યારબાદનું ઘડતર નિશાળમાં થતું હોય છે. આવી જ અમારી શાળાના આજીવન શિક્ષિકા, પ્રિન્સિપાલ ઈન્દુબહેન વિશે વિસ્તારપૂર્વક લેખ છાપાંમાં આવે એનાથી વધુ બાળદિનની ઉજવણી બીજી કઈ હોઈ શકે!!!!
કલ્યાણી અને અલકા અમારી શાળાની સહપાઠી, છેલ્લાં ત્રણ મહિનાથી એક લેખ લખવાનો મનસૂબો કરી રહ્યાં હતાં, અને એ લેખ હતો અમારી શાળાના પ્રિન્સિપાલ, અમારાં સહુના માર્ગદર્શક ઈન્દુબહેન પટેલ. ભારત સ્વતંત્ર થયું એ અરસામાં વિલે પાર્લે પૂર્વમાં નાનકડી ગલીમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળા. નામ એનું શ્રી નવસમાજ મંડળ સેકેંડરી હાઈસ્કૂલ. શરૂઆતમાં આ શાળા ચૈતન્ય બાળમંદિરના નામે ઓળખાતી. અમારા માટે એ ખૂબ જ ગૌરવની વાત છે કે આ શાળાનું ઉદઘાટન ભારતના તે સમયના ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદ હસ્તે થયું હતું. ઈન્દુબહેન શરૂઆતનાં વર્ષોથી જ શાળામાં જોડાયેલાં અને આજીવન શાળા સાથે સંકળાયેલા રહ્યાં. કેટકેટલાં ઉમદા શિક્ષકોએ અમારા ઘડતરમાં અગત્યનુ યોગદાન આપ્યું છે, એ સહુ મોતીઓને એક સૂત્રે સાંકળનાર એવું વિલક્ષણ મોતી એ અમારી શાળાનાં પ્રિન્સિપાલ ઈન્દુબહેન પટેલ.
અત્યારે ઈન્દુબહેન ૧૦૦ વર્ષ પૂરા કરી ચૂક્યાં છે, આજની તારીખે પણ એમની સાથેની પ્રત્યેક મુલાકાતમાં તાજગીનો અનુભવ થાય. કોઈ પ્રકારની ફરિયાદ નહિ, કોઈ અપેક્ષા નહિ, પોતે સંપૂર્ણ સ્વસ્થ. જ્યારે મળીએ ત્યારે ઉમળકાભેર આવકારે, અને ભાવભીનાં આદર સત્કારથી નવાજે. એમના નિખાલસ ચહેરા પર મંદ સ્મિત હમેશા હોય જ. જીવન જીવવાનો અભિગમ એમની પાસેથી શીખવા જેવો. આવી વિલક્ષણ વ્યક્તિએ કરેલા અથાક પરિશ્રમ અને નિઃસ્વાર્થ ત્યાગની સાધના દ્વારા અમારી કેળવણીનો પાયો મંડાયો હતો.
ઈન્દુબહેન દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે ઓળખે. કોના કુટુંબમાં કેટલાં સભ્યો છે, ઘરની શું પરિસ્થિતિ છે, એ બધાથી વાકેફ રહેતાં.
મારા માટે ૨૦૧૮ની મારી ભારત યાત્રા એક વિશેષ સંભારણા જેવી બની ગઈ હતી. સહુથી વધુ મારો મહાઆનંદ વડીલ શ્રી ઈંદુબેન પટેલ મારા પ્રિન્સિપાલને મળવાનો. ત્રાણુ વર્ષની વયે એજ એકવડો બાંધો, ટટાર શરીર અને એ જ ખાદીના વસ્ત્રો. તેમના પિતાશ્રી સ્વ. જયસુખલાલ પટેલ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખાદીધારી વ્યક્તિ. એમણે પોતાની લાડકી દીકરીને સંપૂર્ણ પીઠબળ આપેલુંં. આજીવન અવિવાહિત રહીને ઈન્દુબહેને કેળવણીના ક્ષેત્રમાં યોગદાન આપવાનું અને જીવનભર ખાદીના વસ્ત્રો અંગીકાર કરવાનું નક્કી કર્યું ત્યારે પિતાનો સંપૂર્ણ સહકાર મળેલો.
મુંબઈના વિલે પાર્લે પરાંમા વર્ષોથી એ જ મકાનમાં એમનો નિવાસ. સાદગીભર્યું જીવન,અપરણિત અને આજે પણ એકલા રહી પોતાની દૈનિક ક્રિયા બધું જાતે જ કરે છે.
મેં એસ.એસ.સી ૧૯૬૭માં પાસ કર્યું. મારી શાળા ચૈતન્ય બાળમંદિરમાંથી વિકાસ પામી માધમિક શાળા બની ગઈ. અમારી શાળામાં દર વર્ષે ત્યારે એક ક્લાસ વધારવામાં આવતો અને અમારો એસ.એસ.સી.નો બીજો ક્લાસ હતો. ૧૯૬૭ પછી ઈન્દુબહેનને મળવાના અવસર ઓછાં થતાં ગયાં, પણ એમણે જે સાહિત્યનો રંગ અમને લગાડ્યો એ મારા માટે આશીર્વાદ બની ગયો. મને બરાબર યાદ છે સાતમા ધોરણની શરૂઆતમાં અમને શ્રી કનૈયાલાલ મુન્શીની નવલકથા “પાટણની પ્રભુતા” વાંચવાનુ કહ્યું હતું અને બધા વાંચે એટલા માટે વાર્ષિક પરિક્ષામાં એ નવલકથામાંથી વીસ માર્કનો સવાલ પૂછશે એવી જાણ કરી હતી.
એ ઉમદા સાહિત્યના વાંચને મારામાં વધુ સારા પુસ્તકો વાંચવાની તલપ જાગી. આમ પણ નાનપણથી નિંબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધામાં ઘણા ઈનામ મળ્યાં હતાં અને અમેરિકા આવ્યા પછી થોડી સમયની મોકળાશે લેખનકાર્ય પણ શરૂ થયું હતું. ભારતમાં શિક્ષિકા હતી અને અહીં આવ્યા પછી પણ શિક્ષિકા જ રહી, ફરક એટલો કે અહીં દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું. એ બાળકોના નિર્દોષ તોફાનો, એમની તકલીફો પર નાના રોજિંદા પ્રસંગો લખવાનુ શરું કર્યું અને પછી એ “બાળ ગગન વિહાર” પુસ્તક રુપે પ્રસિધ્ધ કર્યું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં મેં ખાસ ઈન્દુબહેનનો ઉલ્લેખ કર્યો છે કે એમની પ્રેરણાએ જ મને ઉમદા સાહિત્ય વાંચની ટેવ પડી અને આગળ જતાં મારા લખાણમાં પ્રગતિ થતી રહી.
મેં “બાળ ગગન વિહાર” પુસ્તક ઈન્દુબહેનને મોકલાવ્યું હતું, જ્યારે હું ૨૦૧૮માં એમને મળી ત્યારે આટલા વર્ષો પછી પણ ઈન્દુબહેનને હું, મારા ઘરના સહુ, અમારી વિશેષતા યાદ હતી. મેં નાની વયે માતા પિતાની છત્રછાયા ગુમાવી એ એમને બરાબર યાદ હતું. મારી મમ્મીના હાથનો નાસ્તો એમણે ચાખ્યો હતો એટલે મમ્મીની રસોઈના વખાણ અને મારી નાની બહેન પારુલ બધાના સમાચાર વિગતવાર પૂછ્યાં. મારા અમેરિકાના દિવ્યાંગ બાળકો પર લખેલા પ્રસંગોનુ પુસ્તક એમણે વાંચ્યું હતું અને મારી પ્રવૃતિથી એ ખૂબ જ ખૂશ હતા. ઘણી વાતો કરી. એ મુલાકાત મારા જીવનનું એ અમૂલ્ય સંભારણું છે.
૨૦૧૮માં અમે બધા ૧૯૬૭ના S.S.C batch ના મિત્રો મળ્યા. ઘણાને હું પચાસ વર્ષે મળી. જુની યાદો ક્લાસમાં કરેલી ધમાલ મસ્તી, જાણે બાળપણ પાછું આવી ગયું. કેટલા સંભારણા અને કેટલીય વાતો લખતાં ખુટે એમ નથી.
પ્રભુ કૃપાથી ૨૦૧૮ની સફર ખુબ આનંદદાયક રહી. વરસાદે પુરી રહેમત રાખી, ક્યાંય અટકવા ના દીધી, તબિયતે પુરો સાથ આપ્યો. દશ વર્ષ પછી વતનની ધરતી પર પગ મુક્યો અને પૂરા પ્રેમથી આપ્તજનોથી માંડી મિત્રોએ હરખભેર પોતાની બનાવી દીધી. એવું લાગ્યું હું જાણે અહીં જ છું, ક્યાંય ગઈ નથી, ક્યાંય ગઈ નથી!!
જન્મભૂમિના લેખે કેટલાં સ્મરણ તાજા કરાવી દીધાં. ઈન્દુબહેનના હાથ નીચે કેટલાય વિદ્યાર્થીઓ તૈયાર થયા હશે પણ એમણે કોઈ પર હાથ ઉપાડ્યો નથી અને જ્યારે મેં એમને મારા ભારતના મારા હાથ નીચે ભણી ગયેલા ૧૯૮૫, ૧૯૮૭ના વર્ષના વિદ્યાર્થીઓએ મારા સન્માનમાં મોટા પાયે આયોજન કરેલાં મેળાવડાની વાત કરી અને જે આદરપૂર્વક એ સહુ આજે પણ યાદ કરે છે એ જાણી તો એ એટલાં ખૂશ થઈ ગયાં કે મારો ખભો થાબડી કહે “વાહ તેં એક શિક્ષિકા તરીકે આજે મારું પણ ગૌરવ વધારી દીધું”
મારી ૨૦૧૮ની ભારતયાત્રા મારા માટે અમૂલ્ય સંભારણું બની ગઈ છે. જે ઊર્જાથી ઈન્દુબહેને અમને સિંચ્યા હતાં તેનું આજ મૂળસ્ત્રોત, અમારી કેળવણીનો પાયો વર્ષો પહેલાં નંખાયેલો, પરંતુ પાયાની એ કેળવણીનો રંગ અમે વર્ષો પછી પારખ્યો.
ખૂબ આભાર કલ્યાણી અને અલકાનો. એમના લેખમાંથી ઘણી માહિતી મેં મારા લેખમાં લીધી છે.
ઈશ્વરને એટલી જ પ્રાર્થના છે કે અમારા લાડીલા ઈન્દુબહેન હંમેશા સ્વસ્થ રહે અને એમના આશીર્વાદ સદા અમારા સહુ પર વરસતા રહે.

અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com

July 16th 2025

ખળભળી મચી છે આજે!

અરમાનોની દુનિયામાં ખળભળી મચી છે આજે!
કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો તૂટી છે આજે!

માંડીને ગુંચળુ સાપણ જેમ ફુત્કારે ભલેને ઈચ્છા,
બની ટોપલી મદારીની, મુરઝાય છે આજે!

સપનાની દુનિયાને ક્યાં નડે છે અંતર જોજનોના,
ભરવા છલાંગ આભે જોઈએ હિંમત, ખુટી છે આજે!

રણ વચાળે છો દેખાય ઝાંઝવા, છીપાવે ના તરસ,
મધદરિયે ચોપાસ પાણી તો યે પ્યાસ રોકી છે આજે!

સાચવવા સંબંધો પ્રેમ ને જતનથી છે અઘરા જીવનભર,
કૃષ્ણ સુદામાની મૈત્રી સહુ કોઈને ક્યાં મળી છે આજે!

અરમાનોની દુનિયામાં ખળભળી મચી છે આજે,
કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો તૂટી છે આજે!!

શૈલા મુન્શા તા. ૧૬/૦૭ ૨૦૨૫

April 24th 2025

કુદરતનું માન

સમીર સંગ ઝુમતી આ ડાળી,
કરે છે માવજત જેની આ માળી.

ખીલ્યો છે ગુલમહોર જેવો ચારેકોર,
ને મઘમઘે છે આંબાની ડાળે એવો મોર.

ઉડતાં પતંગિયા ફુલોની આસપાસ,
ટહુકો મધુરો ગુંજતો કોયલનો ચોપાસ.

લીલુડી ધરતીએ લહેરાતી ફસલ સોનેરી,
મોંઘી મિરાત, શોભા કુદરતની અનેરી.

શીદ થાય તાંડવ, સુનામી, ધરતીકંપનો હાહાકાર?
બને દુશ્મન આ માનવી, કરે કેવો અહંકાર.

મારે છલાંગ આંબવા સૂરજને ચાંદ,
ના ટકે અભિમાન, પડે ઝીલવો ઘા;
જો ના રાખો કુદરતનું માન,
જો ના રાખો કુદરતનું માન

શૈલા મુન્શા તા.૨૪/૦૪/૨૦૨૫

September 23rd 2024

બાળ ગગન વિહાર પુસ્તક પરિચય

“બાળ ગગન વિહાર” મારૂં લખાણ પહેલી વાર પુસ્તક રૂપે આપની સમક્ષ રજુ કરતી વખતે અવનવી લાગણી નો અનુભવ થાય છે સાથે સાથે દિલમા ધરબાયેલા આ બીજ ને ખાતર પાણી સીંચી એક અનુપમ છોડ રૂપે વિકસાવવા મા મદદરૂપ થનાર ચહેરા નજર સમક્ષ આવે છે.
એ સહુનો હ્રદય પૂર્વક થી આભાર માન્યા વગર હું ને મારૂં પુસ્તક અધુરાં છે. વાંચન ની ભુખ બાળપણ થી હોવાં છતાં ભારત મા હતી ત્યાં સુધી લખવા નો વિચાર ન આવ્યો. અમેરિકા આવ્યા બાદ ગુજરાતી સાહિત્ય સરિતા નો પરિચય થયો. સાહિત્ય રસિક મિત્રો મહિનામા એકવાર મળે ને સાહિત્ય ની વાતો થાય. ત્યાં વિજયભાઈ શાહ, જાણીતા સાહિત્યકારે મને લખવા નો અનુરોધ કર્યો અને એમ સાહિત્ય જગતમા પાપા પગલી પાડવાની શરૂઆત થઈ.એમનો આભાર માનુ એટલો ઓછો છે. અમેરિકા ની શાળામા શિક્ષીકા તરીકે કામ શરૂ કર્યું ને ત્રણ થી પાંચ વર્ષ ના બાળકોનો ક્લાસ સંભાળવાનો આવ્યો જેને PPCD (Pre Primery children with disability) કહે છે. આ બાળકોના રોજના તોફાનો, નિર્દોષ મસ્તી વગેરે થી મને “રોજીંદા પ્રસંગો” લખવાની પ્રેરણા મળી અને આજે એ પ્રસંગો અને રોજ નરી આંખે દેખાતા, બનતા બનાવો એક પુસ્તક રૂપે આપની સમક્ષ રજુ કરતાં ધન્યતાની લાગણી અનુભવું છું. આ પ્રસંગો બ્લોગ રૂપે દુનિયાભર મા વંચાતા અને ભારત ના નાનકડા શહેર ખંભાત થી રાજેશભાઈ પટેલ નો પત્ર મને આવ્યો. ત્યાં ની શાળામા મારા બાળ પ્રસંગોને એક લેસન તરીકે ક્લાસમા વાંચી એમાથી બાળકોને ઉપયોગી થાય એવા સુચનો અમલમા મુકાય છે ની વાત એમણે લખી હતી. રાજેશભાઈ જેવા શિક્ષક નો પત્ર મારા માટે ઘણો અમુલ્ય છે અને મારા લખાણ થી કોઈ એક બાળકના જીવન મા કાંઈક પ્રગતિ થાય એ મારા માટે ઘણા અહોભાગ્યની વાત છે.
દુનિયાભર માથી આવતાં સુચનો એ મને હમેશ વધુ સારૂં લખવાની પ્રેરણા આપી છે, મારાં પતિ અને મારાં સંતાનો એ હમેશ મારા કાર્યને પ્રોત્સાહન આપ્યું છે. એ સહુના સાથ વગર કદાચ આ મુકામ પર ન પહોંચાત. મારા લખાણને આપ સહુ આવકારશો અને મારી ક્ષતિ તરફ મારૂં ધ્યાન દોરશો એજ અપેક્ષા સહિત અત્રે સર્વનો જે મારા પુસ્તકરૂપી માનસ સંતાન ને શબ્દ દેહ આપવામા સહાય રૂપ થયા છે, એમનો ખરા મન થી આભાર માનુ છું.
આપના અમુલ્ય સલાહ સુચનો આવકાર્ય છે.
smunshaw22@yahoo.co.in

દ્વારા મારો સંપર્ક કરી શકો છો.
અસ્તુ,
શૈલા મુન્શા.
હ્યુસ્ટન, ટેક્ષ્સાસ
અમેરિકા

Next Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.