October 9th 2021

સંભારણું -૪-હરિ હળવે હંકારો

હરિ હળવે હળવે હંકારો મારું ગાડું ભરેલ ભારે,
મેં તો લગામ દીધી હાથ હરિને પ્રભુ ચાહે તો પાર ઉતારો”

વર્ષો જૂનું આ ભજન જે ક્યારેય જૂનું તો થયું જ નથી, ભલે આજે રોકેટ યુગ આવી ગયો. હમણાં આ ભજન એક મિત્રની પ્રથમ પુણયતિથિની ભજન સંધ્યામાં સાંભળ્યું અને મનમાં વિચારોના ઘોડા દોડવા માંડ્યા. કેટલી આરત ભરી છે આ ભજનમાં! બાળક જન્મે ત્યારે તો આ ગાડું સાવ ખાલી જ હોય છે વર્ષો પસાર થતાં થતાંમાં તો પાપ પુણ્યના કેટલાય પોટલાં ભરાતા જાય છે.
આ સાથે હમણા વોટ્સેપ પર મળેલો એક સંદેશ પણ મજાનો છે અને અર્થસભર પણ!!
જન્મ અને મરણ પર વહેંચાતી મીઠાઈ જેના નામે વહેંચાય છે એ ભલા ક્યાં એ ખાઈ શકે છે, છતાં એ ભ્રમમાં કે બધું મારું જ છે અને મેં જ બધું પ્રાપ્ત કર્યું છે એ ભાર માથે લઈ માનવી સતત જીવતો હોય છે.

“જન્મ થવા પર વહેંચાતી મીઠાઈ થી
શરુ થતી આ જિંદગીની રમત
શ્રાદ્ધના દૂધપાક પર
આવીને પુરી થાય છે.
બસ….
આજ તો જીવનની મીઠાશ છે,
દુર્ભાગ્ય તો એ છે કે
માણસ આ બન્ને વખતની બન્ને મીઠાઈ
પોતે ખાઈ નથી શકતો
છતાં પણ
બધું મારુ જ છે
ના ભ્રમમાં જિંદગી જીવે છે”

આજે આ સ્મરણોના પટારામાં કોઈ એવો મણકો શોધી રહી છું જે વ્યક્તિની સારપ અને કોઈના અહંકારના પોટલાં ખોલે.
વર્ષો પહેલાં અમારા પાડોશમાં એક મા દિકરો રહેતાં હતાં, એકનો એક દિકરો અને પિતાની છત્રછાયા નાનપણમાં ગુમાવી એટલે સહજ રીતે તે માતાની વધુ નિકટ હોય. સંસ્કારી ઘરની દીકરી પુત્રવધૂ બની ઘરમાં આવી. થોડા દિવસ તો નવી આવેલી પુત્રવધૂને ઘરના રીતરિવાજથી માહિતગાર થતાં લાગ્યાં. ધીરે ધીરે સાસુની દખલગીરી દરેક વાતમાં દેખાવા માંડી, એકનો એક દીકરો છે, મમ્મીએ જ મોટો કર્યો છે એમ સમજી નીનાએ બને એટલો સહકાર આપવા માંડ્યો. એક વર્ષ પછી દીકરીનો જન્મ થયો અને સાસુનો ગુસ્સો બન્ને પર વરસવા માંડ્યો, નવજાત બાળકીને વહાલ કરવાને બદલે સાસુનુ એ બ્રહ્મવાક્ય બની ગયું કે”પથરો જણ્યો” નીનાએ પોતાના માવતરની વગોવણી ના થાય એ માટે સહન કર્યે રાખ્યું. પાડોશીના નાતે નીના કોઈકવાર અમારા ઘરે આવતી, પણ પાછળ જ એની સાસુ આવી જ સમજો, જાણે નીના કોઈ વાત અમને કરી દેવાની હોય!!
આવી તકલીફો વચ્ચે નીનાને ફરી દિવસ રહ્યાં. પ્રસુતિ માટે નીનાને પિયર મોકલતાં સાસુએ ચોખ્ખું ફરમાન કર્યું કે જો દીકરી જન્મે તો પાછા આવવાની કોઈ જરુર નથી. ફરી દીકરીનો જન્મ થયો. માવડિયા પતિએ ફોન સુધ્ધાં ના કર્યો. અંતે માતા પિતાની સમજાવટે નીનાએ છૂટાછેડા લેવાનુ નક્કી કર્યું. પોતે ભણેલી હતી અને બન્ને દીકરીઓની સંભાળ લઈ શકે એમ હતી.
વર્ષો સ્વાભિમાનથી એકલા રહી નોકરી કરી નીનાએ દીકરીઓને એન્જિનિયર બનાવી, વધુ અભ્યાસ માટે લંડન મોકલી. એણે લગામ પ્રભુને હાથ સોંપવાને બદલે, પોતાની દુઃખી અવસ્થા પર આંસૂ વહેવડાવવાને બદલે હિંમતભેર પરિસ્થિતિનો સામનો કર્યો. અજે જ્યારે નીનાની દીકરીઓને સ્વમાનભેર જીવતાં, વિદેશની ધરતી પર નામ રોશન કરતાં જોઉં છું, ફેસબુક પર સ્વતંત્ર રીતે દેશદેશાવર ફ્રરવાના ફોટા જોઉં છું તો હૈયું હરખથી છલકાઈ ઊઠે છે. બાજુમાં રહેતાં મનોજની માતા તો અવસાન પામી, પણ એની જિંદગી અત્યારે જે કારમી હાલતમાં પસાર થઈ રહી છે તે પણ જોઈ રહી છું. ડાયાબીટીશ, હાર્ટની તકલીફ અને એકલવાયું જીવન!!
જનમ સાથે જોડાયેલું ખાલી ગાડું કેટકેટલા પોટલાં, અભિમાન, અહંકાર માલિકીભાવ સત્તા, રુઆબથી ક્યારે ભરાતાં જાય છે એ સમજ આવતાં આવતાં અંત પાસે આવી જાય છે!!
વહિદા રહેમાન, જયાભાદુરી, ધર્મેંદ્રની ફિલ્મ “ફાગુન” યાદ આવી ગઈ. એની કથા પણ કાંઈ આવી જ છે, અને અંતમાં “તીસરી કસમ” ફિલ્મના ગીતના બોલ યાદ આવી ગયા.
“दुनिया बनानेवाले
क्या तेरे मनमें समाई
काहे को दुनिया बनाई
तूने काहेको दुनिया बनाई
मीत मिलाके तूने सपने जगाए
सपने जगाके तूने
काहे को दे दी जुदाई
तूने काहे को दुनिया बनाई!!!

આ વિચાર સાથે હરિને પ્રાર્થના, જીવનરુપી આ ગાડું ઘણા સદગુણ, દુર્ગુણોથી ભરેલું છે, મુકામ સુધી પહોંચતા ક્યાંક વધુ ઠોકર ના વાગે એ સંભાળજો, હરિ હળવે હળવે હંકારજો!!!!
ડાયરીના પાના આવા જ સંભારણાથી તો ભરાતાં જાય છે…….

શૈલા મુન્શા તા. ૦૨/૧૦/૨૦૨૧
www.shailamunshaw.gujaratisahitysarita.

August 26th 2025

ગૌરીસુત

પુત્ર શિવના ઈશાનપુત્ર કહેવાયા
ને માત ગૌરીના સુત ગૌરીસુત કહેવાયા
સ્કંદ(કાર્તિકેય)વડિલબંધુ નામે સ્કંદપુર્વજ કહેવાયા
બ્રહ્માંડના છે પ્રણેતા વિશ્વામુખ કહેવાયા
ધારી ગજ મસ્તક ગજાનન કહેવાયા
સુંઢ ધરી હાથીની ગજાવકત્ર કહેવાયા
મોટા ઉદરવાળા લંબોદર કહેવાયા
સ્વામી છે બુધ્ધિના, બુધ્ધિનાથ કહેવાયા
પૂજે દુનિયા આખી દેવાદેવ કહેવાયા
આકાર ઓમ સમો તો ઓમકારા કહેવાયા
ને બધા ગણોના મુખી ગણપતિ કહેવાયા
ગણપતિ બાપ્પા મોરિયા ઘર ઘર ગુંજે નાદ
ગણપતિ પુજન હર શુભ કાર્યની શરુઆત
વિઘ્નોને દુર કરનારા વિઘ્નહર્તા કહેવાયા
નમું નત મસ્તકે, કરું વિશ્વકામના
હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા, હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા.

શૈલા મુન્શા તા.૨૬/૦૮/૨૦૨૫

August 17th 2025

સંભારણું – ૬ -૮ – પ્રિન્સિપાલ

આજનું આ સંભારણું અમારી શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી ઈન્દુબહેનને સમર્પિત છે. ઓગસ્ટ ૮/૨૦૨૫ના રોજ એમણે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં. અમે સહુ એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એમનો ૧૦૦મો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. મેં ૧૯૬૭માં અગિયારમું ધોરણ પાસ કર્યું, અને આજે પણ ઈન્દુબહેનને અમે યાદ છીએ.

પાયાની કેળવણી અને કેળવણીનો પાયો. કેળવણીની વાત કરીએ તો સાથે કર્તા પણ આવે અર્થાત કેળવણી આપનાર, અધ્યાપક, શિક્ષક; સાદી ભાષામાં કહીએ તો ગુરૂ.
જન્મભૂમિ પ્રવાસી મુંબઈના સમાચાર પત્રમાં તા.૧૪/૧૧/૨૦૨૧ એ શ્રી ઈન્દુબહેન પટેલ મારા શાળા જીવનના પ્રિન્સિપાલ માટે છપાયેલ લેખ આ સંભારણું લખવામાં નિમિત્ત છે. જોગાનુજોગ આજનો દિવસ ભારતમાં બાળદિન તરીકે ઉજવાય છે અને બાળકોના જીવનમાં માત પિતા, તેનો પરિવાર અને ત્યારબાદનું ઘડતર નિશાળમાં થતું હોય છે. આવી જ અમારી શાળાના આજીવન શિક્ષિકા, પ્રિન્સિપાલ ઈન્દુબહેન વિશે વિસ્તારપૂર્વક લેખ છાપાંમાં આવે એનાથી વધુ બાળદિનની ઉજવણી બીજી કઈ હોઈ શકે!!!!
કલ્યાણી અને અલકા અમારી શાળાની સહપાઠી, છેલ્લાં ત્રણ મહિનાથી એક લેખ લખવાનો મનસૂબો કરી રહ્યાં હતાં, અને એ લેખ હતો અમારી શાળાના પ્રિન્સિપાલ, અમારાં સહુના માર્ગદર્શક ઈન્દુબહેન પટેલ. ભારત સ્વતંત્ર થયું એ અરસામાં વિલે પાર્લે પૂર્વમાં નાનકડી ગલીમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળા. નામ એનું શ્રી નવસમાજ મંડળ સેકેંડરી હાઈસ્કૂલ. શરૂઆતમાં આ શાળા ચૈતન્ય બાળમંદિરના નામે ઓળખાતી. અમારા માટે એ ખૂબ જ ગૌરવની વાત છે કે આ શાળાનું ઉદઘાટન ભારતના તે સમયના ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદ હસ્તે થયું હતું. ઈન્દુબહેન શરૂઆતનાં વર્ષોથી જ શાળામાં જોડાયેલાં અને આજીવન શાળા સાથે સંકળાયેલા રહ્યાં. કેટકેટલાં ઉમદા શિક્ષકોએ અમારા ઘડતરમાં અગત્યનુ યોગદાન આપ્યું છે, એ સહુ મોતીઓને એક સૂત્રે સાંકળનાર એવું વિલક્ષણ મોતી એ અમારી શાળાનાં પ્રિન્સિપાલ ઈન્દુબહેન પટેલ.
અત્યારે ઈન્દુબહેન ૧૦૦ વર્ષ પૂરા કરી ચૂક્યાં છે, આજની તારીખે પણ એમની સાથેની પ્રત્યેક મુલાકાતમાં તાજગીનો અનુભવ થાય. કોઈ પ્રકારની ફરિયાદ નહિ, કોઈ અપેક્ષા નહિ, પોતે સંપૂર્ણ સ્વસ્થ. જ્યારે મળીએ ત્યારે ઉમળકાભેર આવકારે, અને ભાવભીનાં આદર સત્કારથી નવાજે. એમના નિખાલસ ચહેરા પર મંદ સ્મિત હમેશા હોય જ. જીવન જીવવાનો અભિગમ એમની પાસેથી શીખવા જેવો. આવી વિલક્ષણ વ્યક્તિએ કરેલા અથાક પરિશ્રમ અને નિઃસ્વાર્થ ત્યાગની સાધના દ્વારા અમારી કેળવણીનો પાયો મંડાયો હતો.
ઈન્દુબહેન દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે ઓળખે. કોના કુટુંબમાં કેટલાં સભ્યો છે, ઘરની શું પરિસ્થિતિ છે, એ બધાથી વાકેફ રહેતાં.
મારા માટે ૨૦૧૮ની મારી ભારત યાત્રા એક વિશેષ સંભારણા જેવી બની ગઈ હતી. સહુથી વધુ મારો મહાઆનંદ વડીલ શ્રી ઈંદુબેન પટેલ મારા પ્રિન્સિપાલને મળવાનો. ત્રાણુ વર્ષની વયે એજ એકવડો બાંધો, ટટાર શરીર અને એ જ ખાદીના વસ્ત્રો. તેમના પિતાશ્રી સ્વ. જયસુખલાલ પટેલ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખાદીધારી વ્યક્તિ. એમણે પોતાની લાડકી દીકરીને સંપૂર્ણ પીઠબળ આપેલુંં. આજીવન અવિવાહિત રહીને ઈન્દુબહેને કેળવણીના ક્ષેત્રમાં યોગદાન આપવાનું અને જીવનભર ખાદીના વસ્ત્રો અંગીકાર કરવાનું નક્કી કર્યું ત્યારે પિતાનો સંપૂર્ણ સહકાર મળેલો.
મુંબઈના વિલે પાર્લે પરાંમા વર્ષોથી એ જ મકાનમાં એમનો નિવાસ. સાદગીભર્યું જીવન,અપરણિત અને આજે પણ એકલા રહી પોતાની દૈનિક ક્રિયા બધું જાતે જ કરે છે.
મેં એસ.એસ.સી ૧૯૬૭માં પાસ કર્યું. મારી શાળા ચૈતન્ય બાળમંદિરમાંથી વિકાસ પામી માધમિક શાળા બની ગઈ. અમારી શાળામાં દર વર્ષે ત્યારે એક ક્લાસ વધારવામાં આવતો અને અમારો એસ.એસ.સી.નો બીજો ક્લાસ હતો. ૧૯૬૭ પછી ઈન્દુબહેનને મળવાના અવસર ઓછાં થતાં ગયાં, પણ એમણે જે સાહિત્યનો રંગ અમને લગાડ્યો એ મારા માટે આશીર્વાદ બની ગયો. મને બરાબર યાદ છે સાતમા ધોરણની શરૂઆતમાં અમને શ્રી કનૈયાલાલ મુન્શીની નવલકથા “પાટણની પ્રભુતા” વાંચવાનુ કહ્યું હતું અને બધા વાંચે એટલા માટે વાર્ષિક પરિક્ષામાં એ નવલકથામાંથી વીસ માર્કનો સવાલ પૂછશે એવી જાણ કરી હતી.
એ ઉમદા સાહિત્યના વાંચને મારામાં વધુ સારા પુસ્તકો વાંચવાની તલપ જાગી. આમ પણ નાનપણથી નિંબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધામાં ઘણા ઈનામ મળ્યાં હતાં અને અમેરિકા આવ્યા પછી થોડી સમયની મોકળાશે લેખનકાર્ય પણ શરૂ થયું હતું. ભારતમાં શિક્ષિકા હતી અને અહીં આવ્યા પછી પણ શિક્ષિકા જ રહી, ફરક એટલો કે અહીં દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું. એ બાળકોના નિર્દોષ તોફાનો, એમની તકલીફો પર નાના રોજિંદા પ્રસંગો લખવાનુ શરું કર્યું અને પછી એ “બાળ ગગન વિહાર” પુસ્તક રુપે પ્રસિધ્ધ કર્યું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં મેં ખાસ ઈન્દુબહેનનો ઉલ્લેખ કર્યો છે કે એમની પ્રેરણાએ જ મને ઉમદા સાહિત્ય વાંચની ટેવ પડી અને આગળ જતાં મારા લખાણમાં પ્રગતિ થતી રહી.
મેં “બાળ ગગન વિહાર” પુસ્તક ઈન્દુબહેનને મોકલાવ્યું હતું, જ્યારે હું ૨૦૧૮માં એમને મળી ત્યારે આટલા વર્ષો પછી પણ ઈન્દુબહેનને હું, મારા ઘરના સહુ, અમારી વિશેષતા યાદ હતી. મેં નાની વયે માતા પિતાની છત્રછાયા ગુમાવી એ એમને બરાબર યાદ હતું. મારી મમ્મીના હાથનો નાસ્તો એમણે ચાખ્યો હતો એટલે મમ્મીની રસોઈના વખાણ અને મારી નાની બહેન પારુલ બધાના સમાચાર વિગતવાર પૂછ્યાં. મારા અમેરિકાના દિવ્યાંગ બાળકો પર લખેલા પ્રસંગોનુ પુસ્તક એમણે વાંચ્યું હતું અને મારી પ્રવૃતિથી એ ખૂબ જ ખૂશ હતા. ઘણી વાતો કરી. એ મુલાકાત મારા જીવનનું એ અમૂલ્ય સંભારણું છે.
૨૦૧૮માં અમે બધા ૧૯૬૭ના S.S.C batch ના મિત્રો મળ્યા. ઘણાને હું પચાસ વર્ષે મળી. જુની યાદો ક્લાસમાં કરેલી ધમાલ મસ્તી, જાણે બાળપણ પાછું આવી ગયું. કેટલા સંભારણા અને કેટલીય વાતો લખતાં ખુટે એમ નથી.
પ્રભુ કૃપાથી ૨૦૧૮ની સફર ખુબ આનંદદાયક રહી. વરસાદે પુરી રહેમત રાખી, ક્યાંય અટકવા ના દીધી, તબિયતે પુરો સાથ આપ્યો. દશ વર્ષ પછી વતનની ધરતી પર પગ મુક્યો અને પૂરા પ્રેમથી આપ્તજનોથી માંડી મિત્રોએ હરખભેર પોતાની બનાવી દીધી. એવું લાગ્યું હું જાણે અહીં જ છું, ક્યાંય ગઈ નથી, ક્યાંય ગઈ નથી!!
જન્મભૂમિના લેખે કેટલાં સ્મરણ તાજા કરાવી દીધાં. ઈન્દુબહેનના હાથ નીચે કેટલાય વિદ્યાર્થીઓ તૈયાર થયા હશે પણ એમણે કોઈ પર હાથ ઉપાડ્યો નથી અને જ્યારે મેં એમને મારા ભારતના મારા હાથ નીચે ભણી ગયેલા ૧૯૮૫, ૧૯૮૭ના વર્ષના વિદ્યાર્થીઓએ મારા સન્માનમાં મોટા પાયે આયોજન કરેલાં મેળાવડાની વાત કરી અને જે આદરપૂર્વક એ સહુ આજે પણ યાદ કરે છે એ જાણી તો એ એટલાં ખૂશ થઈ ગયાં કે મારો ખભો થાબડી કહે “વાહ તેં એક શિક્ષિકા તરીકે આજે મારું પણ ગૌરવ વધારી દીધું”
મારી ૨૦૧૮ની ભારતયાત્રા મારા માટે અમૂલ્ય સંભારણું બની ગઈ છે. જે ઊર્જાથી ઈન્દુબહેને અમને સિંચ્યા હતાં તેનું આજ મૂળસ્ત્રોત, અમારી કેળવણીનો પાયો વર્ષો પહેલાં નંખાયેલો, પરંતુ પાયાની એ કેળવણીનો રંગ અમે વર્ષો પછી પારખ્યો.
ખૂબ આભાર કલ્યાણી અને અલકાનો. એમના લેખમાંથી ઘણી માહિતી મેં મારા લેખમાં લીધી છે.
ઈશ્વરને એટલી જ પ્રાર્થના છે કે અમારા લાડીલા ઈન્દુબહેન હંમેશા સ્વસ્થ રહે અને એમના આશીર્વાદ સદા અમારા સહુ પર વરસતા રહે.

અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com

July 16th 2025

ખળભળી મચી છે આજે!

અરમાનોની દુનિયામાં ખળભળી મચી છે આજે!
કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો તૂટી છે આજે!

માંડીને ગુંચળુ સાપણ જેમ ફુત્કારે ભલેને ઈચ્છા,
બની ટોપલી મદારીની, મુરઝાય છે આજે!

સપનાની દુનિયાને ક્યાં નડે છે અંતર જોજનોના,
ભરવા છલાંગ આભે જોઈએ હિંમત, ખુટી છે આજે!

રણ વચાળે છો દેખાય ઝાંઝવા, છીપાવે ના તરસ,
મધદરિયે ચોપાસ પાણી તો યે પ્યાસ રોકી છે આજે!

સાચવવા સંબંધો પ્રેમ ને જતનથી છે અઘરા જીવનભર,
કૃષ્ણ સુદામાની મૈત્રી સહુ કોઈને ક્યાં મળી છે આજે!

અરમાનોની દુનિયામાં ખળભળી મચી છે આજે,
કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો તૂટી છે આજે!!

શૈલા મુન્શા તા. ૧૬/૦૭ ૨૦૨૫

April 24th 2025

કુદરતનું માન

સમીર સંગ ઝુમતી આ ડાળી,
કરે છે માવજત જેની આ માળી.

ખીલ્યો છે ગુલમહોર જેવો ચારેકોર,
ને મઘમઘે છે આંબાની ડાળે એવો મોર.

ઉડતાં પતંગિયા ફુલોની આસપાસ,
ટહુકો મધુરો ગુંજતો કોયલનો ચોપાસ.

લીલુડી ધરતીએ લહેરાતી ફસલ સોનેરી,
મોંઘી મિરાત, શોભા કુદરતની અનેરી.

શીદ થાય તાંડવ, સુનામી, ધરતીકંપનો હાહાકાર?
બને દુશ્મન આ માનવી, કરે કેવો અહંકાર.

મારે છલાંગ આંબવા સૂરજને ચાંદ,
ના ટકે અભિમાન, પડે ઝીલવો ઘા;
જો ના રાખો કુદરતનું માન,
જો ના રાખો કુદરતનું માન

શૈલા મુન્શા તા.૨૪/૦૪/૨૦૨૫

September 23rd 2024

બાળ ગગન વિહાર પુસ્તક પરિચય

“બાળ ગગન વિહાર” મારૂં લખાણ પહેલી વાર પુસ્તક રૂપે આપની સમક્ષ રજુ કરતી વખતે અવનવી લાગણી નો અનુભવ થાય છે સાથે સાથે દિલમા ધરબાયેલા આ બીજ ને ખાતર પાણી સીંચી એક અનુપમ છોડ રૂપે વિકસાવવા મા મદદરૂપ થનાર ચહેરા નજર સમક્ષ આવે છે.
એ સહુનો હ્રદય પૂર્વક થી આભાર માન્યા વગર હું ને મારૂં પુસ્તક અધુરાં છે. વાંચન ની ભુખ બાળપણ થી હોવાં છતાં ભારત મા હતી ત્યાં સુધી લખવા નો વિચાર ન આવ્યો. અમેરિકા આવ્યા બાદ ગુજરાતી સાહિત્ય સરિતા નો પરિચય થયો. સાહિત્ય રસિક મિત્રો મહિનામા એકવાર મળે ને સાહિત્ય ની વાતો થાય. ત્યાં વિજયભાઈ શાહ, જાણીતા સાહિત્યકારે મને લખવા નો અનુરોધ કર્યો અને એમ સાહિત્ય જગતમા પાપા પગલી પાડવાની શરૂઆત થઈ.એમનો આભાર માનુ એટલો ઓછો છે. અમેરિકા ની શાળામા શિક્ષીકા તરીકે કામ શરૂ કર્યું ને ત્રણ થી પાંચ વર્ષ ના બાળકોનો ક્લાસ સંભાળવાનો આવ્યો જેને PPCD (Pre Primery children with disability) કહે છે. આ બાળકોના રોજના તોફાનો, નિર્દોષ મસ્તી વગેરે થી મને “રોજીંદા પ્રસંગો” લખવાની પ્રેરણા મળી અને આજે એ પ્રસંગો અને રોજ નરી આંખે દેખાતા, બનતા બનાવો એક પુસ્તક રૂપે આપની સમક્ષ રજુ કરતાં ધન્યતાની લાગણી અનુભવું છું. આ પ્રસંગો બ્લોગ રૂપે દુનિયાભર મા વંચાતા અને ભારત ના નાનકડા શહેર ખંભાત થી રાજેશભાઈ પટેલ નો પત્ર મને આવ્યો. ત્યાં ની શાળામા મારા બાળ પ્રસંગોને એક લેસન તરીકે ક્લાસમા વાંચી એમાથી બાળકોને ઉપયોગી થાય એવા સુચનો અમલમા મુકાય છે ની વાત એમણે લખી હતી. રાજેશભાઈ જેવા શિક્ષક નો પત્ર મારા માટે ઘણો અમુલ્ય છે અને મારા લખાણ થી કોઈ એક બાળકના જીવન મા કાંઈક પ્રગતિ થાય એ મારા માટે ઘણા અહોભાગ્યની વાત છે.
દુનિયાભર માથી આવતાં સુચનો એ મને હમેશ વધુ સારૂં લખવાની પ્રેરણા આપી છે, મારાં પતિ અને મારાં સંતાનો એ હમેશ મારા કાર્યને પ્રોત્સાહન આપ્યું છે. એ સહુના સાથ વગર કદાચ આ મુકામ પર ન પહોંચાત. મારા લખાણને આપ સહુ આવકારશો અને મારી ક્ષતિ તરફ મારૂં ધ્યાન દોરશો એજ અપેક્ષા સહિત અત્રે સર્વનો જે મારા પુસ્તકરૂપી માનસ સંતાન ને શબ્દ દેહ આપવામા સહાય રૂપ થયા છે, એમનો ખરા મન થી આભાર માનુ છું.
આપના અમુલ્ય સલાહ સુચનો આવકાર્ય છે.
smunshaw22@yahoo.co.in

દ્વારા મારો સંપર્ક કરી શકો છો.
અસ્તુ,
શૈલા મુન્શા.
હ્યુસ્ટન, ટેક્ષ્સાસ
અમેરિકા

July 11th 2024

હાઈકુ

૧ – વીજ ઝબૂકે,
ગોરંભાય ભીતર;
સ્મૃતિની વર્ષા.

૨ – ઘેરાય નભ,
ને વાદળ ગરજે;
તરસે ધરા.

૩ – ભીંજાય તન,
પહેલા વરસાદે;
નયન કોરાં

૪ – પ્યાસના બુઝે,
ચોતરફ છે પાણી;
મધદરિયે!

શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com

May 20th 2024

મિત્રો

સતીશભાઈની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે,
તથા પરિખ પરિવારના સહુ સભ્યોને
દીર્ઘ આયુની મંગળ કામના સહિત,

મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
મિત્રોની મીઠી યાદ કદી વિસરાતી નથી!

સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે,
કરી જે દોસ્તી એકવાર, ક્યારેય ભુલાતી નથી!

રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે,
મિત્રતાની ઈમારત કાળથી એ મિટાતી નથી!

મળ્યા ન મળ્યા રોજ, રહ્યાં આઘા ભલે વર્ષોથી,
મળ્યા જે ક્ષણે, એ જ મસ્તી રોકી રોકાતી નથી!

પહોંચ્યા ઉમરના એ મુકામે, કદી સાંપડે એકલતા,
વાતો દિલોની, મિત્ર વિના કોઈને કહેવાતી નથી!

મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
મિત્રોની મીઠી યાદ કદી વિસરાતી નથી!!

સતીશભાઈ આપ સદા સ્વસ્થ અને સેવાભાવી રહો એ જ મનોકામના સહિત,
શૈલા પ્રશાંત મુન્શા તરફથી સમર્પિત આ કાવ્ય
શૈલા મુન્શા

April 17th 2024

સ્ટોપ સાઈન

સ્ટોપ સાઈન પર સંપુર્ણપણે રોકાવાની ‘ગુડ હેબીટ’ જરુરી છે! યોગ્ય કાળજી ન લેનારને 100 ડોલરનો (રુપીયા 8,300/-) દંડ થાય. રોડ એક્સીડેન્ટ ત્યારે જ રોકાય જ્યારે ટ્રાફીકા નીયમો સખ્તાઈપુર્વક પાળવામાં આવે. આપણે ત્યાં ટ્રાફીકના નીયમોની જાણકારી જ ઓછી છે એટલે નીયમોનું પાલન થતું નથી.

જ્યાં સ્ટોપ સાઈન ત્યાં
આખું અમેરીકા ઉભું રહી જાય છે !
✒ રમેશ સવાણી

નીખીલ બદલાણી

રોડ એક્સીડેન્ટ ત્યારે જ રોકાય જ્યારે ટ્રાફીકા નીયમો સખ્તાઈપુર્વક પાળવામાં આવે. આપણે ત્યાં ટ્રાફીકના નીયમોની જાણકારી જ ઓછી છે એટલે નીયમોનું પાલન થતું નથી.

ન્યુજર્સીના પારસીપેની વીસ્તારની વસાહતમાં દરેક ક્રોસ રોડ આગળ ‘Stop’ની સાઈન હોય છે. વાહન ચાલકે આ સાઈન પાસે વાહનને ઉભું રાખી દેવું પડે અને ક્રોસ રોડ પરથી આવતા વાહનોને પસાર થવા દેવા પડે. કોઈ વાહન આવતું ન હોય તો ‘સ્ટોપ’ સાઈન પાસે રોકાયા વીના વાહન ચલાવી શકાય નહીં. રાત્રે બે વાગ્યે વાહન લઈને જતા હોઈએ ત્યારે કોઈ ટ્રાફીક આવતો ન હોય તો પણ સ્ટોપ સાઈન પર એક વખત ઉભા રહીને જ આગળ વધી શકાય. આ બાબતની મને શરુઆતમાં નવાઈ લાગતી હતી; પરન્તુ સ્ટોપ સાઈન પર સંપુર્ણપણે રોકાવાની ‘ગુડ હેબીટ’ જરુરી છે! ટુંકમાં જ્યાં સ્ટોપ સાઈન ત્યાં આખું અમેરીકા ઉભું રહી જાય છે! યોગ્ય કાળજી ન લેનારને 100 ડોલરનો (રુપીયા 8,300/-) દંડ થાય.

ડ્રાઈવર મેન્યુઅલના પેજ-32 પર ‘Safety Pledge to Nikhil/Stop for Nikhil–સલામતીની પ્રતીજ્ઞા/નીખીલ માટે ઉભા રહો’ વીશે જણાવ્યું છે. આ માટે 1 માર્ચ 2016ના રોજ કાયદો બન્યો છે. શું છે આ પ્રતીજ્ઞા?

ધ પ્લેજ-પ્રતીજ્ઞા
“રસ્તા પરના અન્ય લોકોની સલામતી સુનીશ્ચીત કરવા માટે, મારી કારના મુસાફરો અને હું ડ્રાઈવર તરીકે, જ્યારે હું વાહન ચલાવીશ ત્યારે ટ્રાફીક નીયમોનું પાલન કરવાની/વધુ સાવધ/ સર્વોચ્ચ સચેત રહેવા પ્રતીજ્ઞા લઉં છું-

સંપુર્ણ સ્ટોપ થઈશ!

સ્ટોપ સાઈન પર સંપુર્ણપણે સ્ટોપ થઈશ. અને લાલ લાઈટ હોય ત્યારે ક્યારેય પસાર થઈશ નહીં.

એલર્ટ રહીશ!

હું મારા હાથને સ્ટીયરીંગ વ્હીલ પર અને મારું મન રસ્તા પર રાખીશ.

સલામત વાત કરીશ!

હું ડ્રાઈવીંગ કરતી વખતે હેન્ડ્સ-ફ્રી સેલફોન સીસ્ટમનો ઉપયોગ કરીશ; પરન્તુ ટેક્સ્ટ મેસેજ નહીં કરું કે હેન્ડહેલ્ડ ફોનનો ઉપયોગ કરીશ નહીં, જરુર પડે તો રોડની એક બાજુ વાહન ઉભું રાખી વાત કરીશ.

આગળથી પ્લાન કરીશ!

હું મારી જાતને કોઈપણ ગંતવ્ય પર જવા માટે વધારાની 5 મીનીટ આપીશ.”

મને જીજ્ઞાસા થઈ કે નીખીલનું નામ અહીં કેમ? 11 જુન 2011 રોજ, સાઉથ ઓરેન્જમાં એક કાર લેનોક્સ એવન્યુને ક્રોસ કરતી વખતે ‘સ્ટોપ’ સાઈન ચુકી ગઈ હતી. જેથી સુનીલ બદલાણીના વાહન સાથે અથડાઈ હતી. તે સમયે ત્રીજી કારે સુનીલ બદલાણીની કારને ટક્કર મારી હતી. સુનીલભાઈનો પુત્ર નીખીલ (11) પાછળની સીટમાં બેઠો હતો, તેને માથામાં જીવલેણ ઈજા થતાં ઘટનાસ્થળે જ તે મૃત્યુ પામ્યો! નીખીલના પરીવારે નીખીલને ઉદાસીમાં નહીં પરન્તુ આનન્દમાં યાદ કરવામાં આવે તે માટે વીચાર્યું. પીતા સુનીલભાઈ, માતા સંગીતાબેન બદલાણી અને તેમના ભાઈ Anay-અનયે નીખીલના નામે એક ફાઉન્ડેશન બનાવ્યું અને ‘સ્ટોપ ફોર નીખીલ’ સુત્ર સાથે રાહદારીઓ અને ટ્રાફીક સુરક્ષા માટે ઝુંબેશ શરુ કરી. નીખીલ માયાળુ/સંગીત પ્રત્યે ઉત્સાહી/શૈક્ષણીક રીતે હોશીયાર હતો. તેથી વીદ્યાર્થીઓ, સંગીતકારો તરીકે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા યુવાનોને શીષ્યવૃત્તી પુરી પાડવાનું કામ શરુ કર્યું. સાઉથ ઓરેન્જ વીલેજની ટાઉનશીપે ક્રોસરોડને ‘નીખીલ માર્ગ’ નામ આપ્યું છે. નીખીલના પીતાએ પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઓર્ડર, અનીદ્રા, ચીંતા અને ડીપ્રેશન સબબ દાવો કર્યો હતો, જે 3.55 મીલીયન ડોલરમાં (રુપીયા 29,42,49,915/-માં) સેટલ થયો હતો !

અમદાવાદની જ વાત કરીએ. વસ્ત્રાપુરની વસાહતોના ક્રોસ રોડ પાસે ‘Stop’ સાઈન જોવા મળતી નથી, એના કારણે ઘણા અકસ્માતો થાય છે. બીજા શહેરોની પણ આ હાલત છે. સ્ટોપ એટલે સ્ટોપ, આટલું આપણે શીખી શક્યા નથી! વળી રોડ પર બાળકો ભોગ બને ત્યારે તેમાંથી બોધપાઠ લઈ ‘સ્ટોપ ફોર નીખીલ’ જેવી ઝુંબેશ શરુ કરવા કે સ્થળ/રોડને ભોગ બનનાર બાળકનું નામ આપવાને બદલે ખંધા રાજકીય નેતાના/સંપ્રદાયોના સ્વામીઓના નામ આપવામાં આવે છે!

‘નીખીલ પ્રતીજ્ઞા’ સુચવે છે કે અમેરીકામાં નાગરીકનું મહત્વ છે!

તા. 4 માર્ચ, 2024ના રોજ ‘ફેસબુક’ પર પ્રગટ થયેલ લેખકની પોસ્ટ (સ્રોત : https://www.facebook.com/ramesh.savani.756/posts/pfbid034jtGDqX3Nqvyr1eJoroSxQuXea7vuScFPMMfS5xGvPWUAQYAHG3cuaggaiyZibsjl )માંથી, લેખકના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા દર શુક્રવારે સવારે મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 12–04–2024

April 7th 2024

સંભારણું -૧૪ – ધાબું

ધાબું શબ્દ આજની પેઢી માટે કદાચ અજાણ્યો હોઈ શકે, પણ ગુજરાતમાં વસતાં લોકો એનો અર્થ બરાબર જાણતા હશે એની મને ખાત્રી છે.
હમણાં જ શિવરાત્રી ગઈ અને સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ કે શિવ શિવ કરતી ઠંડી ગઈ. ફાગણ આવી ગયો અને ઋતુ બદલાવા માંડી. ગરમીનો અણસારો થવા માંડ્યો. આજકાલ તો ગ્લોબલ વોર્મીંગને કારણે આખી દુનિયામાં મોસમના વરતારા ખોટા પડતાં જાય છે. ગરમી ત્યાં ઠંડી અને ઠંડી ત્યાં ગરમી, કમોસમનો વરસાદ અને કરાં! અરે હમણાં થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં વરસાદ અને બરફના કરાં પડ્યાં અને ફટાફટ social media પર upload પણ થઈ ગયાં. આ social media ને કારણે દુનિયા એકદમ નાની થઈ ગઈ છે. એના ફાયદા અને ગેરફાયદા તો છે જ પણ આજે એની ચર્ચા નથી કરવી.
આજે એવા જ એક Whatsapp ફોટાએ મને બાળપણને દરવાજે પહોંચાડી દીધી. ફોટો હતો એક ધાબાનો, ધાબાના આમ તો બે અર્થ થાય, એક તો હાઈવે પર ખાવાની નાની દુકાન જે ખાસ તો ટ્રક ડ્રાઈવરોને જમવા આરામ કરવાની જગ્યા કહેવાય, પણ એનું ખાવાનું ઘણીવાર એટલું મજેદાર હોય કે કારમાં ફરવા નીકળેલા મુસાફરો, એક શહેરથી બીજા શહેર જતાં લોકો પણ ત્યાં જમવા રોકાય. બીજો અર્થ ધાબું એટલે કે અગાશી. આજના બાળકોને તો આ ધાબું અને એની મોજ કશાની ખબર નહિ હોય.
મુંબઈ જેવા શહેરમાં તો કોઈએ ધાબે સુવાની લિજ્જત નહિ માણી હોય પણ ગુજરાતમાં બંગલામાં રહેતાં લોકો આજે પણ એ મોજ માણતા હશે.
મને યાદ આવી ગયાં મારા એ બાળપણના દિવસો જ્યારે ઉનાળાની રજાઓમાં અમદાવાદ કાકાને ત્યાં જવાનું થતું હતું. અમે તો બે બહેનો પણ કાકાને ત્યાં ત્રણ દીકરા અને ત્રણ દીકરી. આમ અમે આઠ ભાઈબહેનો ભેગા થતાં અને ઘરમાં મસ્તીનો માહોલ છવાઈ જતો. દિવસની ગરમી તો ત્રાહિમામ એટલે ઘરમાંજ જાતજાતની રમતોમાં સમય પસાર કરતાં પણ જેવા સૂરજદાદા આથમતા કે વાતાવરણમાં શીતળતા પ્રસરવા માંડતી. સાંજનુ વાળું પતાવી ક્યારેક કાંકરિયા તળાવની સહેલ કરવા નીકળતા તો ક્યારેક એલિસબ્રીજની પાળે બેસતાં. પાછા ફરતાં એક ક્રમ ચોક્કસ હોય. જનતાનો આઈસક્રીમ ખાવાનો અથવા બરફના ગોળાની લારી પર ગોળો ખાવાનો. કોઈ કાલાખટ્ટા નંખાવે, કોઈ ખસનું શરબત, કોઈ લાલ પીળા રંગનું મિશ્રણ કરાવે. પેટમાં ઠંડક કરી ઘરે આવી સીધાં ધાબે સુવા જવાનું. કપડાં બદલવાનાને નાઈટ ડ્રેસ પહેરવાનો એ બધું કોને ખબર હતું! હાથ પગ ધોઈ ને ફ્રોક કાઢી પેટીકોટ પહેરી સુવાનું અને છોકરાંઓ શર્ટ કાઢી ગંજી પહેરી સુઈ જાય. મનજીભાઈએ ગાદલાં પાથરી બધી તૈયારી કરી જ રાખી હોય. પાણીનું માટલું ગ્લાસ બધું ગોઠવી રાખ્યું હોય.
એક વાત તો કરવાની રહી જ ગઈ. ઘરમાં તો કાકા ઓફિસથી આવે એટલે અમે બધાં ભાઈ બહેનો ડાહ્યાંડમરાં થઈ ગોઠવાઈ જઈએ. કાકાનો કડપ જ એવો. વઢે નહિ પણ એ જમાનામાં કદાચ બધા બાળકો એક પ્રકારની આમાન્યા રાખતાં હશે, પણ જેવા ધાબે પહોંચીએ એટલે અમે રાજા. એરકંડિશનની પણ જરૂર ના પડે એવી મજાની ઠંડક થઈ ગઈ હોય. સુવાની કોને ઉતાવળ હોય, બસ અંતાક્ષરી ને ગામગપાટાં ચાલુ. આકાશમાં કોણ વધારે તારા ગણે એની હરિફાઈ કરીએ. પુનમની રાત હોય તો ચાંદનીનો પ્રકાશ આખા આભને રુપેરી અજવાશથી ભરી દે, અને અમાસની રાત હોય તો અગણિત તારા જે ચંદ્રપ્રકાશમાં ઓઝપાઈ ગયા હોય તે નભને પોતાના ઝીણા ઝીણા ઝગમગાટથી ભરી દે.
ધીરે ધીરે નિદ્રાદેવી અમને એની આગોશમાં સમાવી દે અને સવાર પડે સૂરજદાદા એના કોમળ કિરણોથી અમને ચેતનાવસ્થામાં લઈ આવે. વહેલી પરોઢે તો રજાઈ ઓઢવી પડે એટલી ઠંડક થઈ ગઈ હોય.
નાનપણના એ મીઠા સ્મરણો અને ધાબે સુવાની લિજ્જત જેણે માણી હોય એ જરૂર મારી વાત સાથે સંમત થશે. આજે એરકંડિશન બેડરુમમાં પણ એવી મીઠી નિંદર નથી આવતી, અને આજે અગાશી હોય તોપણ લોકો ધાબે સુવા જવાનું ટાળે છે. કુદરત સાથે ચેડાં કરી માનવીએ વાતાવરણને પ્રદુષિત કરી દીધું છે. સીમેન્ટ કોંક્રીટના જંગલ ઊભા કરી વૃક્ષોનો, જંગલોનો નાશ કરવા માંડ્યો છે એટલે જ તો દિવસે અને રાત્રે ગરમીનું પ્રમાણ વધવા માંડ્યું છે ત્યાં ધાબે સુવા જવાનું તો જાણે અશક્ય બનતું જાય છે!
એક Whatsapp ફોટાએ મનની મંજુષામાં લપાયેલી બાળપણની સુનહરી યાદોને તાજી કરી દીધી. કાશ એ દિવસો ફરી માણવા મળે!!

અસ્તુ,
શૈલા મુન્શા તા. ૭/૦૪/૨૦૨૪
www.smunshaw.wordpress.com

March 18th 2024

રે’વાદે,- ગઝલ

ચાંદ સૂરજ આંબવાનું રે’વાદે,
આભ આઘે, માપવાનું રે’વાદે.

જાત પર રાખી ભરોસો જીવી જો,
વારસામાં આપવાનું રે’વાદે.

સુખની પળ આવશે જીવનમાં જો,
વાત સાચી માનવાનું રે’વાદે

ઢાળ હો ત્યાં ચાલશો પગ સંભાળી,
સીધે મારગ, ભાગવાનું રે’વાદે.

ખેલ પૈસાનો અમીરોના જગમાં,
વાંક હરદમ કાઢવાનું રે’વાદે!

શૈલા મુન્શા. તા.૧૮/૦૩/૨૦૨૪
www.smunshaw.wordpress.com

Next Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.